રેલ્વેથી માંડી મોબાઇલ ટાવર કંપનીઓ મોટી દેવાદાર,વ્યાજ રાહત યોજનાના પ્રારંભે ટેકસ બ્રાન્ચનું વાસ્તવિક ચિત્ર
Rajkot તા.૧
Rajkot મનપાએ આજે ૧ ઓગષ્ટથી નાના મિલ્કત અને પાણીવેરા બાકીદારો માટે બંને ટેકસમાં કુલ રૂા. ૧૦ હજાર સુધીની વ્યાજ માફી યોજના લાગુ કરી છે. બે મહિનાની આ યોજનામાં ૧.૪૦ લાખથી વધુ આસામીને લાભ થવા ધારણા છે ત્યારે આજની સ્થિતિએ મનપાનું ટેકસનું કુલ માંગણુ ૧૪૦૦ કરોડ ઉપર હોવાનું ટેકસ શાખાના ચોપડે બોલે છે.
ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને રાહત આપવા સાથે મોટા માથા જેવા બાકીદારો, સરકારી કચેરીઓ, વિવાદમાં રહેલ મોબાઇલ ટાવર કંપનીના માલિકો પાસેથી પણ રીકવરી માટે નકકર પ્રયાસ આગળ વધારવા જોઇએ તેવો મત છે.
દર વર્ષે રાજકોટમાં બાકી લેણાનો આંકડો વધતો જાય છે. હવે આજની સ્થિતિએ ૧૮ વોર્ડની મિલ્કતોમાં ટેકસનું કુલ માંગણુ રૂા.૧૪૦૩.૯૬ કરોડ છે. નવાઇની વાત એ છે કે ૩૦ ટકાથી વધુ એટલે કે ૪૨૩.૨૯ કરોડનું તો ચડત વ્યાજ છે. તેમાં પાણી વેરાનું વ્યાજ જ ૨૧૩.૬૦ રહેલું છે.
આમ મનપાના કરોડો રૂપિયા બાકીદારો વગર વ્યાજે વાપરી રહ્યા છે. નાના અને મધ્યમ પરિવારોને વ્યાજ રાહત આપવા સાથે તંત્રએ મફતમાં કોર્પો.નું માંગણુ વાપરતા આસામીઓ સામે કોઇ નીતિ ઘડવાની જરૂર છે. જેમાં વર્ષો જુના રેલ્વે કચેરી સહિતના બાકીદારો સામેલ છે.
મનપા દ્વારા કરદાતાઓને રાહત આપવા તેમજ વધુમાં વધુ કરદાતાઓને નિયમિત વેરા ભરપાઈ તરફ પ્રોત્સાહિત કરવા વ્યાજ રાહત યોજના આજથી બે મહિના માટે શરૂ કરવામાં આવી છે. ૫૨૦ કરોડના ચાલુ વર્ષના ટાર્ગૅટ સામે અત્યાર સુધીમાં ૨૫૫ કરોડની આવક તંત્રને પ્રમાણિક કરદાતાઓની મદદથી થઇ છે.આ વર્ષે પણ ૫૬ હજાર લોકો કુલ ૧૦ હજાર સુધીના વ્યાજ માફીનો લાભ લે તેવું માનવામાં આવે છે. ગત વર્ષે વ્યાજ માફી યોજના અંતર્ગત કુલ રૂ. ૭૯.૦૬ કરોડની વેરા ભરપાઈ સામે રૂ. ૧૨.૭૬ કરોડનું વ્યાજ માફ કરવામાં આવ્યું હતું.
રાજકોટ મહાનગરમાં અંદાજે ૬.૧૦ લાખ કરદાતાઓ નોંધાયેલા છે. વ્યાજ માફી યોજનાના અમલીકરણથી નિયમિત વેરો ભરતા કરદાતાઓની સંખ્યા આશરે ૫.૨૦ લાખ સુધી પહોંચવાની તંત્રને આશા છે. ચાલુ વર્ષે ૧ એપ્રિલથી ૩૧ જુલાઇ સુધીમાં કુલ ૬૩,૧૪૬ કરદાતાઓએ વ્યાજ સાથે વેરાની ભરપાઈ કરી છે અને ૧૩.૬ર કરોડનું વ્યાજ ભર્યુ છે.હવે વ્યાજ માફી યોજના અમલમાં આવતા કરદાતાઓને અંદાજે રૂ. ૮.૭૪ કરોડની રકમ ક્રેડિટ સ્વરૂપે આપવામાં આવશે. જેમાં રેસીડન્સ કેટેગરીને રૂ. ૫.૮૮ કરોડ, નોન-રેસીડન્સ કેટેગરીને રૂ. ૨.૪૪ કરોડ તથા અનલીંક વોટર કનેકશન કેટેગરીને રૂ. ૪૨ લાખનો લાભ મળશે તેમ માનવામાં આવે છે. ચાલુ નાણાકીય વર્ષમાં ૩.૬૪ લાખ કરદાતાઓએ મિલકત વેરા અને પાણી વેરાની ૨૫૫.૭૮ કરોડની રકમ ભરી છે. હાલમાં બાકીદારોની કુલ સંખ્યા ૨.૪૬ લાખ છે. જેમાં રહેણાંક મિલકતોમાં રૂ. ૨૬૭.૮૨ કરોડ અને બિન રહેણાંક મિલકતોમાં રૂ. ૧૦૯.૧૧ કરોડ મળીને કુલ રૂ. ૩૭૬.૯૩ કરોડનું માંગણુ બોલે છે.

