Mehsanaતા.૭
કડી તાલુકાના નંદાસણ પાસે આવેલા રાજપુર ગામની આ ઘટના છે. પાંચમી ઓગસ્ટના રોજ સાંજે સવા પાંચ વાગ્યાની આસપાસ રાજપુર સીમમાં ઝુલાસણ રોડ પર આવેલી બંધ રેમ્બો કંપની પાસે આ હત્યા થઈ હતી. રાધેશ્યામ શર્મા નામના વ્યક્તિ, જેઓ પોતાની રિયલ સિક્યુરિટી એજન્સી ચલાવે છે, તેઓ પોતાની હેરિયર કાર લઈને સાઈટ ચેક કરવા ગયા હતા.
આ દરમિયાન અચાનક એક પીકઅપ ડાલુ અને રિક્ષા લઈને આવેલા શખ્સોએ તેમની કારને જોરદાર ટક્કર મારી હતી. કારમાંથી બહાર કાઢીને રાધેશ્યામભાઈ પર મોટા છરા, કુહાડી, લાકડી અને લોખંડની પાઇપ વડે હુમલો કરાયો હતો, જેમાં માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.
આ મામલે મૃતકના ભાઈ જીતેન્દ્ર શર્માએ નંદાસણ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. ડીવાયએસપી હાર્દિક પ્રજાપતિના નિવેદન અને પોલીસ ફરિયાદ મુજબ, આ હત્યા પાછળ ચોરીની શંકા મુખ્ય કારણ છે. આરોપી મોશીનખાન કુરેશી અગાઉ રેમ્બો કંપનીમાં ચોરીના ઈરાદે આવ્યો હતો. ત્યારે સિક્યુરિટી ગાર્ડ અને રાધેશ્યામભાઈએ તેને પકડીને ઠપકો આપ્યો હતો. આ જ બાબતની અદાવત રાખીને મોશીનખાને કાવતરું રચ્યું હતું. તેણે ઈરફાનમિયાં ચૌહાણ, યુનુસ ઉર્ફે ચીખલી અને મોઈન કુરેશી સહિતના માણસોને હથિયારો સાથે મોકલીને આ ઘાતકી હત્યા કરાવી હતી.
કડી વિભાગના ડીવાયએસપી હાર્દિક પ્રજાપતિએ વધુમાં જણાવ્યું છે કે, આ કેસમાં રાયોટિંગ વિથ મર્ડરનો ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે. નંદાસણ પોલીસ સાથે એલસીબી અને એસઓજીની ટીમો પણ આરોપીઓને પકડવા કામે લાગી છે. ઘટનાસ્થળે પોલીસ અધિક્ષક અને અન્ય ઉચ્ચ અધિકારીઓએ મુલાકાત લીધી હતી.
એફએસએલની મદદથી પુરાવાઓ એકત્ર કરવામાં આવી રહ્યા છે. બે દિવસ અગાઉ પણ આરોપી યુનુસ ઉર્ફે ચીખલીએ સિક્યુરિટી ગાર્ડને ધમકી આપી હતી કે જો રાધેશ્યામભાઈ તેમને રોકશે તો તેઓ તેમને જાનથી મારી નાખશે. હાલ પોલીસ આ સમગ્ર મામલે ફરાર આરોપીઓને સઘન રીતે શોધી રહી છે.

