Rajkot તા.5
મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસીએશનમાં સ્ટે કરાયેલી હોદેદારોની ચૂંટણીમાં કોઈ દખલગીરી કરવાનો સર્વોચ્ચ અદાલતે ઈન્કાર કરીને આકરી ટીપ્પણી કરી છે. તે જ ધોરણે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસો.માં પણ ચૂંટણી પ્રક્રિયા સામે ગુજરાત હાઈકોર્ટનો સ્ટે છે અને સમગ્ર મામલો હાલ હાઈકોર્ટમાં પેન્ડીંગ છે.
નવી સુનાવણી આગામી 12મી માર્ચે યોજાવાની છે. હાઈકોર્ટમાં થયેલી પીટીશનમાં કુલ 2033 પાના રજુ થયા છે અને તેમાં અનેકવિધ મુદ્દાઓના આક્ષેપ કરાયા હોવાનું બહાર આવ્યું છે.
રૂરલ ક્રિકેટ એસોસીએશન ઓફ પોરબંદર દ્વારા સૌરાષ્ટ્ર ક્રિકેટ એસો.ના વહીવટ અને અન્ય અનેક મુદ્દાઓને આગળ ધરીને આ પીટીશન કરવામાં આવી છે. એસો.ના મંત્રી કિરીટભાઈ સવજાણીએ આ મામલે આજે `સાંજ સમાચાર’ સાથેની વાતચીતમાં અદાલતમાં રજૂ કરાયેલા મુદ્દાઓ જણાવતા કહ્યું કે મુખ્યત્વે નાણાકીય ગેરરીતિની શંકાના કારણે વહિવટદાર શાસન દાખલ કરીને 10 વર્ષના હિસાબોને ફોરેન્સીક ઓડીટ કરાવવા તથા સૌરાષ્ટ્રના તમામ 20 ડીસ્ટ્રીકટ ક્રિકેટ એસોસીએશનોને મતાધિકાર આપવાની મુખ્ય માંગણીઓ છે.
મતાધિકાર, મેમ્બરશીપ મામલે આપખુદશાહી સહિતના મુદાઓને ટાંકવામાં આવ્યા છે. અને અનેકવિધ દલીલ પૂરાવા સાથેના 2033 પાનામાં વિગતો સોંપવામાં આવી છે. આ સમગ્ર પીટીશન થયા બાદ ગત ઓકટોબરમાં સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસીએશનની ચૂંટણી સામે હાઈકોર્ટે સ્ટે ફરમાવ્યો હતો.
30 ઓકટોબરે એસીએનાં હોદેદારોની ટર્મ પૂરી થતી હતી અને નવી ચૂંટણીની પ્રક્રિયા પણ ચાલુ થઈ ગઈ હતી તે દરમ્યાન હાઈકોર્ટે સ્ટે આપ્યો હતો. ત્યારથી એસોસીએશનના વર્તમાન હોદેદારો `ઈન્ચાર્જ’ ગણી શકાય કારણ કે તેઓની ત્રણ-ત્રણ વર્ષની બે ટર્મ પૂરી થઈ ગઈ છે અને લોઢા કમિટીના નિયમો હેઠળ સળંગ ત્રીજી ટર્મ હોદા પર રહી શકાતું નથી. ત્રણ વર્ષ બાદ જ ફરી તેઓ હોદા પર આવી શકે છે.
પીટીશનમાં એમ કહેવાયું છે કે, સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસીએશનમાં લોઢા કમિટીના રીપોર્ટ અને સુપ્રીમ કોટના ચૂકાદાનો અમલ કરવામાં આવતો નથી. દરેક જીલ્લા ક્રિકેટ એસોસીએશનને પ્રતિનિધિત્વ આપવામાં આવતું નથી એટલું જ નહીં સૌરાષ્ટ્રના દરેક જીલ્લામાં ક્રિકેટનો વિકાસ કરવાના પગલા પણ લેવામાં આવતા નથી. હકિકતમાં ક્રિકેટ બોર્ડ આ માટે 100 કરોડ રૂપિયા એસોસીએશનને ફાળવતી હોય છે પરંતુ તે રકમ વિકાસમાં વાપરવામાં આવતી નથી.
પીટીશનમાં રજૂ કરાયેલા મુદ્દાઓની વિગતોમાં તેમણે કહ્યું કે નાણાકીય વહીવટનો મુદો પણ ઉપસ્થિત કરાયો છે. એસોસીએશન અન્ડર-14થી માંડીને તાજાવાલા ટ્રોફી સહિતની અનેકવિધ ટુર્નામેન્ટ યોજે છે અને દરેક ટુર્નામેન્ટમાં માત્ર હોસ્પીટાલીટી બીલ 17 લાખથી માંડીને 35 લાખ સુધીના મુકવામાં આવે છે તે વિશે ધ્યાન દેવાયું છે આની સામે ટુર્નામેન્ટમાં કોઈ ખેલાડીઓ ઈજાગ્રસ્ત થાય તો તેની સારવાર માટે કોઈ ખર્ચ આપવામાં આવતો નથી. આ ખર્ચ જે તે ડીસ્ટ્રીકટ એસોસીએશનના માથે નાખી દેવામાં આવે છે.
આ સિવાય સૌરાષ્ટ્રના દરેક 20 ડીસ્ટ્રીકટ એસોસીએશનોને એસસીએમાં મતાધિકાર આપવાનો મુદ્દો પણ મુખ્ય છે. ભારતીય ક્રિકેટ બોર્ડમાં દરેક ક્રિકેટ એસોસીએશનને મતાધિકાર છે તે જ ધોરણે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસીએશનમાં મળવો જોઈએ.
નાણાકીય હિસાબો મામલે વહિવટદાર નિમીને છેલ્લા 10 વર્ષનું ફોરેન્સીક ઓડીટ કરાવવામાં આવે તો અનેક નવા ખુલાસા થવાની આશંકા છે. કારણ કે એસીએનું ઓડીટનું કામકાજ સંસ્થાના જ સભ્યને સોંપવામાં આવ્યું છે અને વર્ષોથી તેઓ જ ઓડીટ કરે છે નિયમ મુજબ સંસ્થાના સભ્યો હોય તેને હિસાબ ઓડીટનું કામ આપી શકાતું નથી.
સૌરાષ્ટ્ર ક્રિક્રેટ એસોસીએશનમાં અંદાજીત 470 સભ્યો છે તેમાં 120 જેટલા તોએક-બે પરિવાર કે તેમના સંબંધીત જ હોવાનું પીટીશનમાં ધ્યાન દોરવામાં આવ્યું છે. વર્ષોથી હોદાઓ પર તેઓનું જ વર્ચસ્વ રહ્યું છે. અન્ય સભ્યોમાં પણ સંબંધી પરિવાર કે અંગત લોકો જ હોવાનો પણ પીટીશનમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
દરમ્યાન રૂરલ ક્રિકેટ એસોસીએશન ઓફ પોરબંદર દ્વારા સમગ્ર મામલો હાઈકોર્ટમાં લઈ જવામાં આવ્યો હતો અને તેના પર સ્ટે પણ છે અને કાનૂની જંગ ચાલુ છે ત્યારે તેનું પરિણામ શું આવે છે તેના પર સમગ્ર ક્રિકેટ જગતની નજર રહી છે. સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસીએશન પણ પોતાના બચાવમાં અને આક્ષેપોનો હાઈકોર્ટમાં જવાબ આપતી હોવાનું સ્પષ્ટ છે.
આ તમામ આક્ષેપો હોય જેને લઈને આગામી સુનાવણી હાઇકોર્ટમાં 12 માર્ચ 2026ના થશે. પણ અત્રે ઉલ્લેખનીય છે કે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના ઇતિહાસમાં સંભવિત પ્રથમ વખત એવું બન્યું હશે જ્યારે કોર્ટે ચૂંટણી યોજવા પર સ્ટે આપ્યો હોય.

