Gandhinagar,તા.૧૪
રાજ્યના સચિવાલય પરિસરમાં એક દુઃખદ ઘટના બનવા પામી છે. જેમાં એસઆરપીના જવાને આપઘાત કરી પોતાનું જીવન ટૂંકાવ્યું હોવાની માહિતી મળી છે. આ ઘટના સચિવાલયના ગેટ નંબર ૩ નજીક બની હોવાનું પ્રાથમિક વિગતોમાં સામે આવ્યું છે.
માહિતી મુજબ મોડી રાત્રે અંદાજે ૨ વાગ્યા આસપાસ જવાને ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. ઘટનાની જાણ થતાં જ સુરક્ષા એજન્સીઓ અને પોલીસ તંત્ર તરત જ સ્થળ પર પહોંચી ગયું હતું અને કાર્યવાહી હાથ ધરી હતી.
આ મામલે સેક્ટર ૨૧ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે અને સમગ્ર ઘટનાની ગંભીરતાથી તપાસ શરૂ કરવામાં આવી છે. હાલમાં, જવાને આપઘાત કયા કારણોસર કર્યો તે અંગે કોઈ સ્પષ્ટ માહિતી સામે આવી નથી, અને કારણ અકબંધ છે.
પોલીસ દ્વારા જવાનના પરિવારજનો તેમજ સહકર્મીઓના નિવેદનો લેવામાં આવી રહ્યા છે. જેથી આ પગલું પાછળનું સાચું કારણ જાણી શકાય. વધુ વિગતો તપાસ પૂર્ણ થયા બાદ બહાર આવશે તેવી શક્યતા છે.આ ઘટનાએ સચિવાલય પરિસરમાં અને પોલીસ વિભાગમાં શોકની લાગણી ફેલાવી છે.

