New Delhi,તા.02
જુલાઇ મહિનામાં દિલ્હી સહિતના રાજ્યોમાં જેન-ઝી દ્વારા શિક્ષણમાં સુધારાની માગ સાથે મોટું આંદોલન કરાયું હતું. આ દરમિયાન વિવિધ રાજ્યોમાં આંદોલનકારી યુવાનો સામે અનેક એફઆઇઆર દાખલ કરાઇ હતી. જેને આખરે સુપ્રીમ કોર્ટ દ્વારા રદ કરી દેવામાં આવી છે. કોકરોચ જનતા પાર્ટીએ ફરિયાદો રદ કરવાની માગ સાથે પાંચમી ઓગસ્ટના આંદોલનની જાહેરાત કરી હતી. એવામાં સરકારે સુપ્રીમ કોર્ટમાં ફરિયાદો રદ કરવાની વિનંતી કરી હતી, જેને પગલે આખરે ફરિયાદો રદ થઇ ગઇ છે.
વિવિધ પરીક્ષાઓના પેપરો લીક થવાની ઘટનાઓ વધતા શિક્ષણમંત્રી પદેથી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા સહિતની માગણીઓ સાથે ૨૦મી જુલાઇના રોજ દિલ્હીના જંતર મંતરેથી સંસદ તરફ યુવાનો દ્વારા માર્ચ કાઢવામાં આવી હતી, જે બાદ અન્ય રાજ્યોમાં પણ યુવાનો રસ્તા પર ઉતર્યા હતા. આ દરમિયાન વિવિધ રાજ્યોમાં આંદોલનકારી વિદ્યાર્થીઓની સામે એફઆઇઆર દાખલ થઇ હતી. જેને રદ કરવાની માગણી આખરે સુપ્રીમ કોર્ટે સ્વીકારી લીધી છે. આશરે ૧૩ જેટલા આવા મામલા હવે બંધ કરી દેવામાં આવશે.
સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતની બેંચે તમામ ફરિયાદો રદ કરી દીધી હતી એટલુ જ નહીં નીટ પેપર લીક થયા બાદ પરીક્ષા રદ કરવામાં આવી હતી, આ દરમિયાન આત્મહત્યા કરનારા વિદ્યાર્થીઓના પરિવારને ત્રણ મહિનાની અંદર વળતર ચુકવી દેવા કેન્દ્ર સરકારને સુપ્રીમ કોર્ટે આદેશ કર્યો છે. કેન્દ્ર સરકારની વિનંતીને ધ્યાનમાં રાખીને સુપ્રીમ કોર્ટે વિદ્યાર્થીઓ સામેની તમામ ક્રિમિનલ કાર્યવાહીને રદ કરી દીધી હતી. સુપ્રીમે કહ્યું હતું કે યુવા આંદોલનકારીઓના ભવિષ્યને ધ્યાનમાં રાખીને અમે બંધારણ દ્વારા આર્ટિકલ ૧૪૨માં મળેલી સત્તાના આધારે ફરિયાદો રદ કરવાનો નિર્ણય લઇએ છીએ.
અગાઉ દિલ્હી પોલીસે દાવો કર્યો હતો કે આંદોલનકારીઓમાં ૨૮૦૦થી વધુ એવા લોકો પણ સામેલ હતા કે જેમની સામે અગાઉ અન્ય ગંભીર ગુનાઓમાં ક્રિમિનલ કેસો દાખલ છે. સુપ્રીમ કોર્ટે આવા તમામ લોકોની સામે ફરીથી એફઆઇઆર દાખલ કરવાની પોલીસને છૂટ આપી છે. આ તમામ એવા લોકો છે કે જેમને સીસીટીવી કે અન્ય કેમેરા દ્વારા દિલ્હીના જંતર મંતર પર ઓળખી કાઢવામાં આવ્યા હતા. બીજી તરફ કોકરોચ જનતા પાર્ટીના પ્રવક્તા સૌરવ દાસ સુપ્રીમ કોર્ટની બેંચ સમક્ષ હાજર રહ્યા હતા અને પક્ષનું નિવેદન વાંચી સંભળાવ્યું હતું.
જેમાં સૌરવ દાસે કહ્યું હતું કે સરકાર તરફથી ફરિયાદો રદ કરવા મુદ્દે સકારાત્મક વલણ અપનાવવામાં આવી રહ્યું છે જેને ધ્યાનમાં રાખીને તેમજ સુપ્રીમ કોર્ટના આદેશને ધ્યાનમાં રાખીને પાંચમી સપ્ટેમ્બરનું આંદોલન પરત ખેંચવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જ્યારે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી જે. પી. નડ્ડાએ કહ્યું હતું કે યુવાનો સરકારની પ્રાથમિકતા છે, પ્રદર્શનકારી વિદ્યાર્થીઓ સામેની ફરિયાદો પરત ખેંચવામાં આવશે. નોંધનીય છે કે સરકાર અત્યાર સુધી એફઆઇઆર રદ કરવાને લઇને કોઇ ફોડ નહોતી પાડી રહી. જેને પગલે કોકરોચ જનતા પાર્ટીએ આંદોલનની ચીમકી આપી હતી. અંતે સરકારે પોતાનું વલણ નરમ કરવું પડયું હતું.

