Bishkek/New Delhi,તા.02
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કિર્ગિસ્તાનમાં યોજાયેલ શાંઘાઇ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન સમિટમાં ભાગ લીધો હતો. આ સમિટમાં પાકિસ્તાનના વડાપ્રધાન શહબાઝ શરીફ પણ જોડાયા હતા, જેની સામે મોદીએ આતંકવાદ પર વાત કરી હતી અને રશિયન પ્રમુખ પુતિન, ચીનના પ્રમુખ શી જિનપિંગને આતંકવાદનો હથિયાર તરીકે ઉપયોગ કરનારા દેશો સામે આક્રામક વલણ અપનાવવા કહ્યું હતું.
પાણીનો હથિયાર તરીકે ઉપયોગ ના થવો જોઇએ : પાક. પીએમ શરીફે મોદીની હાજરીમાં સિંધુ જળ સંધિ મુદ્દો ઉઠાવ્યો
નરેન્દ્ર મોદી આ સમિટ દરમિયાન રશિયન પ્રમુખ પુતિન, ઇરાનના રાષ્ટ્રપતિ અને ચીનના પ્રમુખ શી જિનપિંગને પણ મળ્યા હતા અને આતંકવાદને લઇને પાકિસ્તાનને આડેહાથ લીધુ હતું. મોદીએ પાક. પીએમ શરીફની હાજરીમાં આતંકવાદનો મુદ્દો ઉઠાવ્યો હતો અને કહ્યું હતું કે આજે પણ માનવતા સામે આતંકવાદ મોટો ખતરો છે. આતંકવાદના ઇકોસિસ્ટમ જેમ કે નાણાકીય સહાય, ફન્ડિંગ નેટવર્ક વગેરે સામે આક્રામક પગલા લેવા મોદીએ એસસીઓ દેશોને અપીલ કરી હતી. વડાપ્રધાન મોદીએ મુખ્યત્વે ત્રણ પાયા પર વાત કરી હતી જેમાં સિક્યોરિટી, કનેક્ટિવિટી અને ઓપોર્ચ્યુનિટીનો સમાવેશ થાય છે.
શાંઘાઇ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન સમિટ ભારતને ૧૩ જેટલા મુદ્દાઓ પર ફળી હતી, જેમાં મુખ્યત્વે આતંકવાદ, કટ્ટરવાદ જેવા સુરક્ષાના મુદ્દાઓ સામે પહોંચી વળવા માટે સાથ સહકાર પર ભારતે ભાર મુક્યો હતો. ભારતે આતંકવાદનો મુદ્દો ઉઠાવ્યો હતો જેનો કોઇ જ જવાબ ના હોવાથી પાકિસ્તાને બાદમાં પાણી મુદ્દે વલોપાત કર્યો હતો. પાકિસ્તાનના વડાપ્રધાન શહબાઝ શરીફે પાણીનો ક્યારેય પણ હથિયાર તરીકે ઉપયોગ ના કરવો જોઇએ. જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલા બાદ ભારતે પાક. સાથેની સિંધુ જળ સંધિ તોડી નાખી હતી, જેને પગલે પાક.માં પાણીના ફાફાં પડી રહ્યા છે ત્યારે પાક. પીએમ દ્વારા આ મુદ્દો ઉઠાવાયો હતો.
બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતના નાગરિકો માટે એક વીડિયો સંદેશો જારી કર્યો હતો. મોદીએ કહ્યું હતું કે ૭.૮ ટકાના વિકાસદરે દેશમાં ખુશીનો માહોલ બનાવી દીધો છે. દુનિયા મુશ્કેલીમાં હતી ત્યારે ભારતે આ વિકાસ કર્યો છે. મિડલ ઇસ્ટમાં ઘર્ષણ વચ્ચે મોદીએ લોકોને વિદેશ નહીં જવા અને સોનું ખરીદવાનું ટાળવા માટે ફરી અપીલ કરી હતી. મોદીએ કહ્યું હતું કે વિદેશમાં ડેસ્ટિનેશન વેડિંગનું આયોજન ટાળવું જોઇએ. આપણે વેડ ઇન ઇન્ડિયા (ભારતમાં લગ્નનો) મંત્ર અપનાવવો જોઇએ.

