New Delhi,તા.22
15 ઓગસ્ટથી શરૂ થઈ રહેલા હૉકી વર્લ્ડ કપ માટે ભારતે ટીમની જાહેરાત કરી દીધી છે. 4 મોટા ખેલાડીઓને ટીમમાંથી બહાર કરવામાં આવ્યા છે, જ્યારે ટીમની કમાન હરમાનપ્રીત સિંહના હાથમાં છે.
FIH હૉકી વર્લ્ડ કપ માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત થઈ ગઈ છે. ટીમમાં 20 ખેલાડીઓને તક મળી છે. યુરોપ પ્રો લીગમાં રમનારા ચાર મહત્ત્વના ખેલાડીઓ ટીમમાંથી બહાર થઈ ગયા છે. તેમાં ડિફેન્ડર અમનદીપ લકરા, મિડફીલ્ડર રાજ કુમાર પાલ અને રબીચંદ્ર સિંહ મોઇરાંગથેમ, તથા ફોરવર્ડ સેલ્વમ કાર્થીના નામ સામેલ છે. ભારતે ગયા મહિને FIH પ્રો લીગમાં નિરાશાજનક પ્રદર્શન કર્યું હતું, જેમાં તેણે 4 મેચ જીતી, 5 ડ્રો રહી અને 7 હારી, જેથી ભારતીય ટીમ 8માં સ્થાને રહી હતી. વર્લ્ડ કપની વાત કરીએ તો, વર્ષ 2023માં ટીમ ઇન્ડિયા 9માં નંબર પર રહી હતી. ટીમ ઇન્ડિયાએ 1975માં યોજાયેલા વર્લ્ડ કપને પોતાના નામે કર્યો હતો, અને ત્યારપછી આ ટીમે કોઈ મેડલ જીત્યો નથી.2024 પેરિસ ઓલિમ્પિક્સમાં ભારતને બ્રોન્ઝ મેડલ અપાવનારા ડ્રેગ ફ્લિકર અને ડિફેન્ડર હરમાનપ્રીત સિંહ ટીમની કેપ્ટનશીપ કરશે. અનુભવી મિડફીલ્ડર મનપ્રીત સિંહ પણ ટીમને અનુભવી બનાવી રહ્યા છે. ગોલકીપિંગમાં મોહિત એચએસ અને સૂરજ કરકેરા સામેલ છે. ડિફેન્ડર્સમાં જર્મનપ્રીત સિંહ, કેપ્ટન હરમાનપ્રીત, અમિત રોહિદાસ, જુગરાજ સિંહ, સંજય, સુમિત અને યશદીપ સિવાચ સામેલ છે. મિડફીલ્ડની કમાન મનપ્રીત, હાર્દિક સિંહ અને વિવેક સાગર પ્રસાદ જેવા ખેલાડીઓ પાસે છે. ફોરવર્ડ લાઇનમા મનદીપ સિંહ, દિલપ્રીત સિંહ, અભિષેક, સુખજીત સિંહ અને શિલાનંદ લકરા સામેલ છે.
ભારતને ઇંગ્લેન્ડ, પાકિસ્તાન અને વેલ્સ સાથે પૂલ D માં રાખવામાં આવ્યું છે, અને ટીમના તમામ ગ્રુપ સ્ટેજની મેચો નેધરલેન્ડ્સના એમસ્ટેલવીનમાં રમાવાની છે.
ભારત 15 ઓગસ્ટના રોજ વેલ્સ સામે પહેલી મેચ રમશે.
17 ઓગસ્ટના રોજ બીજી મેચ ઇંગ્લેન્ડ સામે થશે.
19 ઓગસ્ટના રોજ ત્રીજી મેચ પાકિસ્તાન સામે થશે.
ગોલકીપર: મોહિત એચએસ અને સૂરજ કરકેરા.
ડિફેન્ડર: જર્મનપ્રીત સિંહ, હરમાનપ્રીત સિંહ (કેપ્ટન), અમિત રોહિદાસ, જુગરાજ સિંહ, સંજય, સુમિત અને યશદીપ સિવાચ.
મિડફીલ્ડર: રાજિન્દર સિંહ, આદિત્ય અર્જુન લાલગે, હાર્દિક સિંહ, મનપ્રીત સિંહ, નીલકંઠ શર્મા અને વિવેક સાગર પ્રસાદ.
ફોરવર્ડ: દિલપ્રીત સિંહ, શિલાનંદ લાકડા, સુખજીત સિંહ, મનદીપ સિંહ અને અભિષેક.

