અસામાન્ય અવાજ અને ગ્રીસ બળવાની ગંધ પરથી ખરાબ વેગનની સમયસર ઓળખ, સતર્કતાથી સંભવિત રેલ દુર્ઘટના ટળી
Rajkot તા.૨૮
પશ્ચિમ રેલવેના મહાપ્રબંધક શ્રી રામાશ્રય પાંડેએ તાજેતરમાં મુંબઈ સ્થિત પશ્ચિમ રેલવે મુખ્યાલય ખાતે યોજાયેલા એક સમારોહમાં મે અને જૂન ૨૦૨૬ માટે વિવિધ ડિવિઝનોના નવ રેલકર્મીઓને મહાપ્રબંધકના ‘‘મેન ઓફ ધ મંથ‘‘ સેફ્ટી પુરસ્કારથી સન્માનિત કર્યા. આ કર્મચારીઓને તેમની અસાધારણ સતર્કતા, કર્તવ્યનિષ્ઠા અને સમર્પણ માટે સન્માનિત કરવામાં આવ્યા, જેમની જાગરૂકતા અને ત્વરિત કાર્યવાહીથી સંભવિત અપ્રિય ઘટનાઓને ટાળી શકાઈ તથા સુરક્ષિત રેલ પરિચાલન સુનિશ્ચિત થયું. સન્માનિત કર્મચારીઓમાં રાજકોટ ડિવિઝનના શ્રી અજીત કુમાર કાંટેવાલા (પોઈન્ટ્સમેન, મુખ્યાલય મોડપુર) પણ સામેલ છે.
રાજકોટ ડિવિઝનના સિનિયર ડીવીઝનલ કોમર્શિયલ મેનેજર શ્રી સુનીલ કુમાર મીનાના જણાવ્યા અનુસાર પુરસ્કાર પ્રાપ્ત કરનાર રાજકોટ ડિવિઝનના કર્મચારી શ્રી અજીત કુમાર કાંટેવાલાને તેમની અસાધારણ સતર્કતા અને ત્વરિત કાર્યવાહી માટે સન્માનિત કરવામાં આવ્યા. ડ્યુટી દરમિયાન તેમણે મોડપુર રેલવે સ્ટેશનથી નાયરા એનર્જી રેલવે સાઇડિંગ જતી માલગાડીના રન-થ્રુ સમયે ટોકન આપ્યા બાદ બ્રેક વેનથી દસમા સ્થાને રહેલા વેગનમાંથી અસામાન્ય અવાજ તથા ગ્રીસ બળવા જેવી ગંધ અનુભવી.
સ્થિતિની ગંભીરતાને સમજીને તેમણે સમય ગુમાવ્યા વિના તરત જ મોડપુર રેલવે સ્ટેશન પર ડ્યુટી પર તૈનાત સ્ટેશન માસ્ટરને તેની જાણ કરી. ત્યારબાદ પછીના સ્ટેશન, નાયરા એનર્જી રેલવે સાઇડિંગને ‘‘સ્ટોપ એન્ડ એક્ઝામિન‘‘ બેલ કોડ દ્વારા સતર્ક કરવામાં આવ્યું તથા સંબંધિત સ્ટેશન અધિકારીને પણ ત્વરિત માહિતી આપવામાં આવી.
માલગાડી નાયરા એનર્જી રેલવે સાઇડિંગ પહોંચવા પર તપાસ દરમિયાન જાણવા મળ્યું કે બ્રેક વેનથી દસમા સ્થાને લાગેલા વેગનના પાછલા પૈડામાં અતિશય સ્કિડિંગ જોવા મળ્યું હતું. સંભવિત જોખમને ધ્યાનમાં રાખીને ઉક્ત વેગનને તરત જ સુરક્ષિત રીતે ટ્રેનથી અલગ કરવામાં આવ્યું.
શ્રી અજીત કુમાર કાંટેવાલાની જાગરૂકતા, સૂઝબૂઝ, ત્વરિત નિર્ણય ક્ષમતા અને કર્તવ્ય પ્રત્યેના સમર્પણના કારણે એક સંભવિત ગંભીર રેલ દુર્ઘટના ટળી ગઈ. તેમના પ્રશંસનીય કાર્યથી રેલવે સંપત્તિને સંભવિત નુકસાનથી બચાવી શકાઈ તથા સુરક્ષિત અને અવિરત રેલ પરિચાલન સુનિશ્ચિત થયું.
રાજકોટ ડિવિઝન રેલ પ્રબંધક શ્રી ગિરિરાજ કુમાર મીનાએ શ્રી અજીત કુમાર કાંટેવાલાના ઉત્કૃષ્ટ સેફ્ટી કાર્યની પ્રશંસા કરતા તેમને અભિનંદન પાઠવ્યા. તેમણે જણાવ્યું કે આવા કર્તવ્યનિષ્ઠ, સતર્ક અને સમર્પિત કર્મચારીઓ રાજકોટ ડિવિઝનની મજબૂત સેફ્ટી સંસ્કૃતિના પ્રતીક છે અને અન્ય કર્મચારીઓ માટે પ્રેરણાસ્રોત છે. રાજકોટ ડિવિઝનને પોતાના આવા સમર્પિત અને સતર્ક કર્મચારીઓ પર ગર્વ છે, જે પડકારજનક પરિસ્થિતિઓમાં પણ ત્વરિત અને વિવેકપૂર્ણ નિર્ણય લઈને સુરક્ષિત રેલ પરિચાલન સુનિશ્ચિત કરે છે તથા રેલવે સંપત્તિ અને સમગ્ર રેલ સેફ્ટીને મજબૂત બનાવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપે છે.
