અગાઉના શ્ર્લોકમાં ભગવાને અર્જુનને કુરૂવંશીઓને જોવાનું કહ્યું,એ પછી શું થયું? એનું વર્ણન સંજય આગળના શ્ર્લોક(૧/૨૬-૨૭)માં કહે છે કે..
તત્રાપશ્યત્સ્થિતાન્પાર્થઃ પિતૄનથ પિતામહાન્
આચાર્યાન્માતુલાન્ભ્રાતૄન્પુત્રાન્પૌત્રાન્સખીંસ્તથા
શ્વશુરાન્સુહૃદશ્ચૈવ સેનયોરુભયોરપિ
તાન્સમીક્ષ્ય સ કૌન્તેયઃ સર્વાન્બન્ધૂનવસ્થિતાન્
કૃપયા પરયાવિષ્ટો વિષીદન્નિદમબ્રવીત્
ત્યારપછી પૃથાપૂત્ર અર્જુને ત્યાં બંન્ને સેનાઓમાં રહેલા પિતાઓને,પિતામહોને ગુરૂઓ,મામાઓને, ભાઇઓને,પૂત્રોને,પૌત્રોને તેમજ મિત્રોને,સસરાઓને અને સુહ્રદયોને પોતપોતાની જગ્યા પર સ્થિત તે તમામ બાંધવોને જોઇને તે કુંતીપૂત્ર અર્જુન અત્યંત કરૂણાથી ઘેરાઇને વિષાદ કરતાં આ વચન બોલ્યો.
જ્યારે ભગવાને અર્જુનને કહ્યું કે આ રણભૂમિમાં એકઠા થયેલા કુરુવંશીઓને જોમ ત્યારે અર્જુનની દ્રષ્ટિ બન્ને સેનાઓમાં ઊભેલા પોતાના કુટુંબીઓ ઉપર ગઇ,એમણે જોયું કે એ સેનાઓમાં યુદ્ધ માટે પોતપોતાના સ્થાન ઉપર ભૂરિશ્રવા વગેરે પિતાજીના ભાઇ ઊભા છે,જે મારે માટે પિતા સમાન છે.ભીષ્મ,સોમદત્ત વગેરે પિતામહ ઊભા છે.દ્રોણ-કૃપ વગેરે આચાર્યો વિદ્યા ભણાવનાર અને કુલગુરૂ ઊભા છે.પુરૂજિત,કુંતીભોજ,શલ્ય, શકુનિ વગેરે મામાઓ ઊભા છે.ભીમ,દુર્યોધન વગેરે ભાઇઓ ઊભા છે.અભિમન્યુ,ઘટોત્કચ,લક્ષ્મણ દુર્યોધનનો પુત્ર વગેરે મારા અને મારા ભાઇઓના પુત્રો ઊભા છે.લક્ષ્મણ વગેરેના પુત્રો ઊભા છે,જેઓ મારા પૌત્રો છે.દુર્યોધનના અશ્વત્થામા વગેરે મિત્રો ઊભા છે.દ્રુપદ,શૈબ્ય વગેરે સસરાઓ ઊભા છે.કોઇપણ કારણ વગર પોતપોતાના પક્ષનું ભલું ઇચ્છનારા સાત્યકિ,કૃતવર્મા વગેરે સુહ્રદો પણ ઊભા છે.ભારતીય જીવન પદ્ધતિ પરીવાર-આધારીત છે.પશ્ચિમની જીવન પદ્ધતિ વ્યક્તિ આધારીત છે.વ્યક્તિ આધારીત જીવન પદ્ધતિમાં સંયુક્ત પરીવાર કે મોટો પરીવાર હોતો નથી.ભારતમાં પરીવાર આધારીત જીવન પદ્ધતિ હોય છે એટલે પુરા પરીવારનાં સુખ-દુઃખનો વિચાર થતો હોય છે.આ યુદ્ધમાં બધો પરીવાર જ ભેગો થયો છે.
અગાઉના શ્ર્લોકમાં ભગવાને અર્જુનને કુરૂવંશીઓને જોવા માટે કહ્યું,એ પછી શું થયું? એનું વર્ણન સંજય (૨/૨૭) શ્ર્લોકમાં કરે છે.પોતપોતાની જગ્યા ઉપર ઊભા રહેલા તે તમામ બાંધવોને જોઇને એ કુંતીનંદન અર્જુન અત્યંત કાયરતાથી યુક્ત થઇને વિષાદ કરતા આ વચનો બોલ્યા. ‘તાનસર્વાન્બંધૂનવસ્થિતાન સમીક્ષ્ય‘ અગાઉના શ્ર્લોકમાં કહ્યા મુજબ અર્જુને જેઓને જોયા છે,તેઓના ઉપરાંત અર્જુને બાહ્લીક વગેરે પ્રપિતામહ,ધૃષ્ટદ્યુમ્ન,શિખંડી,સુરથ વગેરે સાળાઓ,જયદ્રથ વગેરે બનેવી તથા બીજા કેટલાય સંબંધીઓને બન્ને સેનાઓમાં ઊભેલા જોયા.
‘સ કૌન્તેયઃ કૃપયા પરયાવિષ્ટઃ‘ આ પદોમાં ‘સ કૌન્તેયઃ‘ કહેવાનું તાત્પર્ય એ છે કે માતા કુંતીએ જેમને યુદ્ધ કરવા માટે સંદેશો મોકલ્યો હતો અને જેમણે શૂરાતનમાં આવી જઇને ‘મારી સામે હાથ ઉગામનારા કોણ છે? એવું કહેનારો અને જેણે મુખ્ય મુખ્ય યોદ્ધાઓને જોવા માટે ભગવાન શ્રીકૃષ્ણને બન્ને સેનાઓ વચ્ચે પોતાનો રથ ઊભો રાખવાની આજ્ઞા કરી હતી,એ જ કુંતીપુત્ર અર્જુન અત્યંત કાયરતાવાળો બની જાય છે. ઇશ્વરે ફક્ત મનુષ્યને કરૂણાગુણ આપ્યો છે.માનવ સિવાય કોઇ પ્રાણીને કરૂણા હોતી નથી.મનુષ્યમાં ભગવાને દયા,કરૂણા,ઉદારતા,જ્ઞાન અને વૈરાગ્ય જેવા અસંખ્ય ગુણો આપેલ છે.આ બધા ગુણોમાં સૌની માતા દયા છે અને સૌનો બાપ વૈરાગ્ય છે.બધા દુર્ગુણોની માતા ઇર્ષા અને પિતા અભિમાન-ઘમંડ છે. માણસોને મળેલા ગુણોમાં સૌથી મહત્વનો ગુણ દયા છે,દયા ધર્મનું મૂળ છે.બન્નેય સેનાઓમાં જન્મ અને વિદ્યાના સંબંધીઓને જોવાથી અર્જુનના મનમાં એ વિચાર આવ્યો કે ‘યુદ્ધમાં આ પક્ષના લોકો મરે કે પેલા પક્ષના લોકો મરે,નુકસાન તો અમારૂં જ થશે,કુળ તો અમારૂં જ નાશ પામશે, સંબંધીઓ તો અમારા જ હણાશે.‘ આવો વિચાર આવવાથી અર્જુનની યુદ્ધની ઇચ્છા તો દૂર થઇ ગઇ અને હૈયામાં કાયરતા આવી ગઇ,એ કાયરતાને ભગવાને આગળ (૨/૨–૩) ‘કશ્મલમ્‘ તથા ‘હ્રદયદૌર્બલ્યમ્‘ કહી છે અને અર્જુને (૨/૭)માં ‘કાર્પણ્યદોષોપહતસ્વભાવઃ‘ કહીને એનો સ્વીકાર પણ કર્યો છે.અર્જુન કાયરતાને વશ બન્યો છે,’કૃપયાવિષ્ટઃ‘ આથી સિદ્ધ થાય છે કે આ કાયરતા પહેલાં ન હતી પરંતુ હમણાં આવી છે,આથી એ આગંતુક દોષો છે. આગંતુક હોવાથી એ કાયરતા ટકશે નહિ પરંતુ શૂરવીરતા અર્જુનમાં સ્વાભાવિક છે,આથી એ તો રહેશે જ.
અત્યંત કાયરતા કોને કહેવાય? વિના કોઇ કારણે નિંદા-તિરસ્કાર અને અપમાન કરનારા,દુઃખ આપનારા,વેરભાવ રાખનારા,નાશ કરવાનો પ્રયત્ન કરનારા,દુર્યોધન,દુઃશાસન,શકુનિ વગેરેને પોતાની સામે યુદ્ધ કરવા માટે ઊભેલા જોઇને પણ એમને મારવાનો વિચાર ન થવો,એમના નાશ માટે પ્રવૃત્તિ ન કરવી-એ અત્યંત કાયરતારૂપ દોષ છે.અહીં અર્જુનને કાયરતારૂપી દોષે એવો ઘેરી લીધો છે કે જે અર્જુન વગેરેનું અનિષ્ટ ઇચ્છનારા અને વખતોવખત અનિષ્ટ કરવાનો પ્રયત્ન કરનારા છે,એ અધર્મીઓ–પાપીઓ ઉપર પણ અર્જુનને દયા આવી રહી છે.(૧/૩૫-૪૬) અને એ ક્ષત્રિયના કર્તવ્ય રૂપી પોતાના ધર્મથી વંચિત થઇ રહ્યા છે.‘વિષીદન્નિદમબ્રવીત્‘ યુદ્ધને પરિણામે કુટુંબની,કુળની અને દેશની કેવી હાલત થશે એના વિચારથી અર્જુન ઘણા જ દુઃખી થઇ રહ્યા છે અને એ અવસ્થામાં તેઓ જે વચનો કહે છે તેનું વર્ણન આગળના શ્ર્લોક (૧/૨૮-૩૦)માં કરવામાં આવ્યું છે.
દ્રષ્ટ્વેમં સ્વજનં કૃષ્ણ યુયુત્સું સમુપસ્થિતમ્ ૨૮
સીદન્તિ મમ ગાત્રાણિ મુખં ચ પરિશુષ્યતિ
વેપથુશ્ચ શરીરે મે રોમહર્ષશ્ચ જાયતે ૨૯
ગાણ્ડીવં સ્રંસતે હસ્તાત્ત્વક્ચૈવ પરિદહ્યતે
ન ચ શક્નોમ્યવસ્થાતું ભ્રમતીવ ચ મે મનઃ ૩૦
અર્જુન બોલ્યા કે હે કૃષ્ણ ! યુદ્ધની ઇચ્છાવાળા આ કુટુંબસમુદાયને સામે ઊભેલા જોઇને મારા ગાત્રો ઢીલા થઇ રહ્યાં છે અને મોઢું સૂકાઈ રહ્યું છે અને રૂવાટાં ઊભાં થઇ રહ્યાં છે,હાથમાંથી ગાંડીવ ધનુષ્ય સરકી રહ્યું છે અને ચામડી પણ બળી રહી છે,મારૂં મન જાણે ભમે છે અને હું ઊભો રહેવા પણ અસમર્થ થઇ રહ્યો છું.
અર્જુનને ‘કૃષ્ણ‘ નામ ઘણું જ પ્રિય હતું.આ સંબોધન ગીતામાં નવ વખત આવ્યું છે.ભગવાન શ્રીકૃષ્ણને માટે બીજું કોઇ સંબોધન એટલીવાર આવ્યું નથી,એવી જ રીતે ભગવાનને અર્જુનનું ‘પાર્થ‘ નામ ઘણું પ્રિય હતું એટલે ભગવાન અને અર્જુન પરસ્પરની વાતચીતમાં એ નામો લેતા હતા અને એ વાત લોકોમાં પણ પ્રસિદ્ધ હતી.આ દ્રષ્ટિએ સંજયે ગીતાના અંતે ‘કૃષ્ણ‘ અને ‘પાર્થ‘ નામનો ઉલ્લેખ કર્યો છે.‘યત્ર યોગેશ્વરઃ કૃષ્ણો યત્ર પાર્થો ધનૃર્ધરઃ‘(૧૮/૭૮). જેનામાં બે ગુણો હોય તેને કૃષ્ણ કહેવાય-આકર્ષણ અને આનંદ.
ધૃતરાષ્ટ્ર પહેલાં ‘સમવેતા યુયુત્સવઃ‘ કહ્યું હતું અને અહીં અર્જુને પણ ‘યુયુત્સું સમુપસ્થિતમ્‘ કહ્યું છે પરંતુ બન્નેની દ્રષ્ટિમાં ઘણો ફેર છે.ધૃતરાષ્ટ્રની દ્રષ્ટિમાં તો દુર્યોધન વગેરે મારા પુત્રો છે અને યુધિષ્ઠિર વગેરે પાંડુના પુત્રો છે એવો ભેદ છે એટલે ધૃતરાષ્ટ્રે ત્યાં ‘મામકાઃ‘ અને ‘પાંડવાઃ‘ કહ્યું છે પરંતુ અર્જુનની દ્રષ્ટિમાં એ ભેદભાવ નથી,આથી અર્જુને અહીં ‘સ્વજનમ્‘ કહ્યું છે,જેમાં બન્ને પક્ષોના લોકો આવી જાય છે.જે તમારા માટે જીવ બાળે તે તમારો સ્વજન કહેવાય.તાત્પર્ય એ છે કે ધૃતરાષ્ટ્રને તો યુદ્ધમાં પોતાના પુત્રોના મરવાની આશંકાથી ભય છે,શોક છે પરંતુ અર્જુનને બન્ને તરફના કુટુંબીઓના મરવાની આશંકાથી શોક થઇ રહ્યો છે કે કોઇપણ તરફના કોઇપણ મરે પણ એ અંતે છે તો અમારા જ કુટુંબી.
અત્યાર સુધી ‘દ્રષ્ટ્વા‘ પદ ત્રણ વાર આવ્યું છે.‘દ્રષ્ટ્વા તું પાંડવાનીકમ્‘ (૧/૨), ‘વ્યવસ્થિતાન્દ્રષ્ટ્વા ધાર્તરાષ્ટાન્‘ (૧/૨૦), ‘દ્રષ્ટ્વેમં સ્વજનમ્‘ (૧/૨૮).આ ત્રણેનું તાત્પર્ય એ છે કે દુર્યોધનનું જોવું તો એક જ જાતનું રહ્યું એટલે કે દુર્યોધનનો તો યુદ્ધનો જ એક ભાવ રહ્યો પરંતુ અર્જુનનું જોવાનું બે પ્રકારનું હતું, પહેલાં તો અર્જુન ધૃતરાષ્ટ્રના પુત્રોને જોઇને શૂરાતનમાં આવી જઇને યુદ્ધ માટે ધનુષ્ય ઉઠાવીને ઊભા થઇ જાય છે અને હવે સ્વજનોને જોઇને કાયરતાને વશ થઇ રહ્યા છે.યુદ્ધથી ઉપરત થઇ રહ્યા છે અને એમના હાથમાંથી ધનુષ્ય સરકી રહ્યું છે.
અર્જુનના મનમાં યુદ્ધના ભાવિ પરિણામના વિચારથી ચિંતા થઇ રહી છે,દુઃખ થઇ રહ્યું છે,એ ચિંતા અને દુઃખની અસર અર્જુનના આખા શરીર ઉપર પડી રહી છે, એ અસરને અર્જુન સ્પષ્ટ શબ્દોમાં કહી રહ્યા છે કે મારા શરીરનાં હાથ,પગ,મોઢું વગેરે એકેએક અંગ શિથિલ થઇ રહ્યા છે,મોઢું સૂકાઈ રહ્યું છે જેથી બોલવાનું પણ મુશ્કેલ બની રહ્યું છે,આખું શરીર થરથર કંપી રહ્યું છે,શરીરનાં બધાં જ રૂવાંટાં ઊભા થઇ રહ્યા છે એટલે કે સમગ્ર શરીરમાં રોમાંચ થઇ રહ્યો છે.જે ગાંડીવ ધનુષ્યની પણછના ટંકારથી શત્રુઓ ભયભીત થઇ જાય છે તે જ ગાંડીવ ધનુષ્ય આજે મારા હાથમાંથી સરકી રહ્યું છે.ત્વચામાં અને આખા શરીરમાં બળતરા થઇ રહી છે.મારૂં મન ભમી રહ્યું છે એટલે કે મારે શું કરવું જોઇએ એ પણ સૂઝતું નથી.અહીં રણભૂમિમાં રથ ઉપર ઊભો રહેવામાં પણ હું અસમર્થ બની રહ્યો છું એવું લાગે છે કે હું મૂર્ચ્છામાં આવીને ગબડી પડીશ.આવા અનર્થ કરનારા યુદ્ધમાં ઊભા રહેવું એ પણ જાણે એક પાપ હોય એમ જણાઈ રહ્યું છે.ચિંતાને ચિત્તા સમાન કહી છે,તેમાં માત્ર એક જ બિંદુ વધારે છે,ચિંતા જીવતા પુરૂષને બાળે છે અને ચિત્તા મરેલા પુરૂષને બાળે છે.
જ્યારે કોઇ કારણસર મનને પ્રચંડ આઘાત લાગે ત્યારે તેની અસર શરીર ઉપર પડતી હોય છે. શરીરના તમામ અંગો શિથિલ-ઢીલાં થઇ જતાં હોય છે.શરીરના અંગો તરત જ શિથિલ-ઢીલાં થઇ જતાં હોય છે.આઘાત લાગવા છતાં પણ જેનાં ગાત્રો ઢીલાં ના થાય તે મહાપુરૂષ કહેવાય.ઘણા લોકો પોપટીયું જ્ઞાન રટ્યા કરતા હોય છે કે હું શરીર નથી,મારે અને શરીરને કોઇ લેવાદેવા નથી,હું તો શુદ્ધ આત્મા છું.આ ફક્ત વાચાળતા કહેવાય.જેમ મનની અસર શરીર ઉપર થાય છે તેમ શરીરની અસર મન ઉપર થાય છે.શરીર- મન અને આત્મા ત્રણે એકબીજાનાં પૂરક અને પ્રભાવિત કરનારાં તત્વો છે તેવી વાસ્તવિકતાને માનવી જોઇએ.
વિનોદભાઇ માછી નિરંકારી
૯૭૨૬૧૬૬૦૭૫(મો)

