મંદિરમાં પ્રભુના દર્શન કર્યા પછી જ્ઞાની પુરૂષોની જ્યાં દ્રષ્ટિ જાય ત્યાં ભગવત સ્વરૂપનો અનુભવ કરે છે.મન જ્યાં જાય ત્યાં ઈશ્વરનાં દર્શન કરે તે જ ઈશ્વરનું અસાધારણ દર્શન છે.જે પરમાત્મા મારામાં છે તે સર્વમાં છે એ પ્રમાણે સમગ્ર જગત જેને બ્રહ્મરૂપે દેખાય છે તે જ્ઞાની છે.સર્વમાં પરમાત્માનો અનુભવ કરતા તેને પોતાના સ્વરૂપમાં પણ પરમાત્માનો અનુભવ થાય છે.જેને પ્રત્યક્ષ દર્શન પણ કહેવાય છે.ઉપનિષદમાં તેને અપરોક્ષ દર્શન કહે છે.ઈશ્વરને અન્ય કે કોઈ એક સ્થળે વિચારવો કે જોવો તેને પરોક્ષ દર્શન કહે છે,જે દર્શનથી બહુ લાભ નથી પણ પરમાત્માના અપરોક્ષ દર્શનથી જીવ કૃતાર્થ થાય છે.જ્ઞાની પુરૂષને પોતાના સ્વરૂપમાં જયારે ભગવાન દેખાય છે ત્યારે તે બંને આત્મા અને પરમાત્મા એક થઇને અદ્વૈત થાય છે.
શ્રી કૃષ્ણલીલા એટલા માટે છે કે આ લીલાઓનું ચિંતન કરી ગોપીઓ પોતાના સ્વરૂપમાં પરમાત્માનો અનુભવ કરે છે.‘લાલી મેરે લાલકી સબ જગ રહી સમાઈ,લાલી દેખન મૈ ગઈ,મૈ ભી હો ગઈ લાલ‘
ગોપીઓને પોતાના સ્વ-રૂપનું વિસ્મરણ થયું અને બોલે છે કે
ઢૂંઢા સબ જહામે,પાયા પતા તેરા નહિ,
જબ પતા તેરા લગા,તો અબ પતા મેરા નહિ.
કૃષ્ણનો સર્વમાં અનુભવ કરતાં ગોપીઓ કૃષ્ણમય બની છે.પોતાની અંદર જેને પરમાત્મા દેખાય, પરમાત્માનો જેને સાક્ષાત્કાર થાય તે પછી ઈશ્વરથી જુદો રહી શકતો જ નથી,ઈશ્વરમાં મળી જાય છે.આ ભાગવતનું ફળ છે.ભગવાન ગોલોકમાં વિરાજે છે એવું જ્ઞાન તે સાધારણ જ્ઞાન છે.જે આપણા માટે બહુ ઉપયોગી નથી.ગોલોકમાં વિરાજતા ભગવાનને પોતાના હૃદય પ્રદેશમાં પધરાવી,પોતાનામાં જ પરમાત્માનાં દર્શનનો અનુભવ કરવો જોઈએ.
જગતના દરેક પદાર્થમાં પ્રભુ વિરાજેલા છે તો મારામાં પણ તે પરમાત્મા વિરાજેલા છે.પોતાનામાં અને સર્વમાં એક પરમાત્માનાં દર્શન કરવાં એ ભાગવતનું ફળ છે.જયારે ઉદ્ધવે ગોપીઓને કહ્યું કે શ્રી કૃષ્ણ મથુરામાં આનંદથી વિરાજે છે ત્યારે ગોપીઓએ ઉદ્ધવને ઠપકો આપ્યો છે કે ‘ઉદ્ધવ,સર્વ વ્યાપક શ્રીકૃષ્ણને તમે ફક્ત મથુરામાં રાખો છે? વ્યાપકનો કોઈ ઠેકાણે અભાવ થઇ શકતો નથી.ઉદ્ધવ ! અમારા કૃષ્ણ તો ગોકુલ છોડી ગયા જ નથી.અમે તો “કૃષ્ણ-કૃષ્ણ” કહીએ એટલે તેઓ અમારી આંખો સમક્ષ હાજર થાય છે.
ઉદ્ધવ ગોપીઓને સમજાવે છે કે સગુણના આધારે નિર્ગુણનો અનુભવ કરવાનો હોય છે ત્યારે ગોપી કહે છે મારા શ્રીકૃષ્ણ શું મારાથી જુદા છે? મારા શ્રીકૃષ્ણ મને છોડીને ગયા જ નથી.સાંજે જમનાજીમાં જળ ભરવા ગઈ હતી,અંધારૂં થયું હતું.મને એમ થયું કે કોણ માથે બેડલું ચડાવશે? ત્યાં તો અવાજ સંભળાયો, સખી ! હું તારી અંદર છું,હું તને છોડીને ગયો નથી.મે કૃષ્ણને પૂછ્યું કે તમે અમને છોડીને મથુરા ગયા હતા તો ક્યારે પાછા આવ્યા? ત્યારે કૃષ્ણે કહ્યું કે અલી બાવરી ગોપી ! હું તને છોડીને ગયો નથી.ઉદ્ધવ ! મારા કૃષ્ણ મને છોડી ને ગયા જ નથી.
પરમાત્માનો પ્રેમ પરતંત્ર છે.ઉદ્ધવનું જ્ઞાનાભિમાન ત્યાં ઉતર્યું છે.ગોપી કહે છે કે કૃષ્ણ એક જ છે.જેને સર્વમાં ભગવાનનાં દર્શન થતાં નથી એ માનવીને પરમાત્માનો વિયોગ થાય છે અને પરમાત્માનો વિયોગ થવાથી જીવ અશાંત થાય છે અને તેના હાથે પાપ થાય છે.પ્રભુનો વિયોગ એ મહાન દુઃખ છે.જેને પોતાની અંદર પરમાત્મા દેખાય છે તેને ઈશ્વર એક ક્ષણ પણ છોડી શકે નહિ.
ઘડામાંનાં ઘટાકાશમાંથી જેમ પોલાણ બહાર નીકળી શકતું નથી તેમ જ્ઞાનીને પરમાત્મા છોડી શકતા નથી.સુરદાસને બહાર અને અંદર પરમાત્મા દેખાય છે,પોતાની અંદર પરમાત્માનો અનુભવ કરે છે.આ અનુભવ એ જ ભાગવતનું ફળ છે.ભાગવત એ દર્શન શાસ્ત્ર છે.ભાગવત વાંચ્યા પછી મનુષ્યનો સ્વભાવ સરળ થાય છે.પોતાના દોષનું દર્શન થાય છે.ભાગવત મનને સુધારે છે,દ્રષ્ટિને દિવ્ય બનાવે છે.પરમાત્માનાં દર્શન કરવાનું સરળ સાધન જે ગ્રંથમાં બતાવ્યું છે તે ભાગવત.બીજા ઘણાં શાસ્ત્રો છે પણ ભાગવતનું દર્શન અલૌકિક છે.
સચ્ચિદાનંદરૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે
તાપત્રયવિનાશાય શ્રી કૃષ્ણાય વયં નમઃ
જે જગતની ઉત્પત્તિ-સ્થિતિ અને વિનાશનો હેતુ છે તથા જે ત્રણે પ્રકારના તાપોનો નાશ કરવાવાળા છે એવા સચ્ચિદાનંદ સ્વરૂપ ભગવાન શ્રીકૃષ્ણને અમે વંદન કરીએ છીએ.
પરમાત્માનાં ત્રણ સ્વરૂપો શાસ્ત્રમાં કહેલા છેઃસત્-ચિત્ અને આનંદ.સત્-પ્રગટરૂપે સર્વત્ર છે.ચિત્(જ્ઞાન) અને આનંદ..અપ્રગટ છે.જડ વસ્તુઓમાં સત્ છે પણ આનંદ નથી,જીવમાં સત્ પ્રગટ છે પણ આનંદ અપ્રગટ (અવ્યક્ત) છે. આમ આનંદ પોતાનામાં જ છે પણ મનુષ્ય આનંદ બહાર શોધે છે.સ્ત્રીમાં,પુરૂષમાં, ધનમાં કે જડ પદાર્થોમાં આનંદ નથી.જીવમાં આનંદ ગુપ્ત છે.જીવ પરમાત્માનો અંશ હોવાથી તેમાં આનંદ રહેલો છે.દૂધમાં જેમ માખણ ગુપ્ત રીતે રહેલું છે તેમ જીવમાં આનંદ ગુપ્ત રૂપે છે.દૂધમાં માખણ રહેલું છે પણ દેખાતું નથી પણ દહીં બનાવી છાસ કરી મંથન કરવાથી માખણ દેખાય છે તેવી રીતે માનવીએ મનોમંથન કરી એ આનંદ પ્રગટ કરવાનો હોય છે.
દૂધમાં જેમ માખણનો અનુભવ થતો નથી તેમ ઈશ્વર સર્વત્ર છે પણ તેનો અનુભવ થતો નથી.જીવ ઈશ્વરનો છે પણ તે ઈશ્વરને ઓળખવાનો પ્રયત્ન કરતો નથી તેથી તેને આનંદ મળતો નથી.આનંદ એ પરમાત્માનું સ્વરૂપ છે,આનંદ એ આપણું પણ સ્વરૂપ છે.આનંદ અંદર જ છે.એ આનંદને જીવનમાં કેવી રીતે પ્રગટ કરવો તે ભાગવત શાસ્ત્ર બતાવશે.આનંદના ઘણા પ્રકાર તૈતરીય ઉપનિષદમાં બતાવ્યા છે પરંતુ તેમાં બે મુખ્ય છે.સાધન જન્ય આનંદ અને સ્વયં સિદ્ધ આનંદ.
સાધનજન્ય..વિષયજન્ય આનંદ એ સાધન અને વિષયનો નાશ થતા તે આનંદનો પણ નાશ થશે. સ્વયં સિદ્ધ આનંદ..અંદરનો ખોળેલો(પ્રગટ થયેલો) આનંદ છે. યોગીઓ પાસે કશું કંઈ હોતું નથી તેમ છતાં તેઓને આનંદ છે.યોગીઓનો આનંદ કોઈ વસ્તુ પર આધારિત નથી.પરમાત્મા પરિપૂર્ણ આનંદ સ્વરૂપ છે.ઈશ્વર વગરનો સર્વ સંસાર અપૂર્ણ છે.ઈશ્વરનો અંશ જીવાત્મા અપૂર્ણ છે.જીવમાં ચિત્ અંશ છે પણ પરિપૂર્ણ નથી.મનુષ્યમાં જ્ઞાન આવે છે પરંતુ તે જ્ઞાન ટકતું નથી.
પરમાત્મા શ્રીકૃષ્ણ પરિપૂર્ણ જ્ઞાની છે.શ્રી કૃષ્ણને સોળ હજાર એકસો આઠ રાણીઓ સાથે વાત કરતાં પણ એ જ જ્ઞાન અને દ્વારિકાનો વિનાશ થાય છે ત્યારે પણ એ જ જ્ઞાન.શ્રીકૃષ્ણનો આનંદ રાણીઓમાં કે દ્વારિકામાં નથી.સર્વનો વિનાશ થાય પણ શ્રીકૃષ્ણના આનંદનો વિનાશ થતો નથી.
સત્-નિત્ય છે,ચિત્ એ જ્ઞાન છે,ચિત્ શક્તિ એટલે જ્ઞાન શક્તિ.આ ચિત્ત શબ્દને ઊંડાણથી સમજવા જેવો છે.યોગની વ્યાખ્યા છે કે ચિત્તવૃત્તિ નિરોધ.મનુષ્ય પોતાના સ્વરૂપમાં સ્થિત નથી એટલે તેને આનંદ મળતો નથી.મનુષ્ય બહાર વિવેક રાખે છે તેવો ઘરમાં રાખતો નથી.મનુષ્ય એકાંતમાં પોતાના સ્વરૂપમાં સ્થિત રહેતો નથી.
ઉત્પત્તિ-સ્થિતિ અને સંહારની લીલામાં ઠાકોરજીના સ્વરૂપમાં ફેરફાર થતો નથી.પરમાત્મા ત્રણેમાં આનંદ માને છે અને પોતાના સ્વરૂપમાં સ્થિત રહે છે.જેનું જ્ઞાન નિત્ય ટકે તેને આનંદ મળે,તે આનંદ રૂપ થાય છે.જીવને આનંદરૂપ થવું હોય તો તે સચ્ચિદાનંદનો આશ્રય લેવો જોઇએ.આ જીવ જ્યાં સુધી પરિપૂર્ણ થતો નથી ત્યાં સુધી તેને શાંતિ મળતી નથી,આનંદ મળતો નથી.
મનુષ્ય રાજા થાય,સ્વર્ગનો દેવ થાય તો પણ તે અપૂર્ણ છે.જ્યાં સુધી અપૂર્ણતા છે ત્યાં સુધી અશાંતિ છે.સંસારનો પ્રત્યેક પદાર્થ પરિણામમાં વિનાશી હોવાથી પરિપૂર્ણ થઇ શકતો નથી.પરિપૂર્ણ સ્વરૂપ એ ભગવાન નારાયણ છે.આ નારાયણને જે ઓળખે અને તેની સાથે મનને જે તદાકાર બનાવે તેનું મન નારાયણ સાથે એક બને છે.તે જીવાત્મા નારાયણરૂપ બની પરિપૂર્ણ થાય છે ત્યારે જીવનું જીવન સફળ થાય છે.જીવ જ્યાં સુધી અપૂર્ણ છે ત્યાં સુધી તેને શાંતિ મળતી થતી નથી.જીવ જયારે ઈશ્વરને મળે છે અને અપરોક્ષ સાક્ષાત્કાર કરે છે ત્યારે તે પૂર્ણ થાય છે.જ્ઞાનીઓ જ્ઞાનથી પરમાત્માનો અપરોક્ષ સાક્ષાત્કાર કરે છે ત્યારે ભક્તો(વૈષ્ણવો) પ્રેમથી પરમાત્માનો અપરોક્ષ સાક્ષાત્કાર કરે છે.ઈશ્વર જયારે જીવને અપનાવી પોતાના સ્વરૂપનું દાન કરે છે ત્યારે જીવ પૂર્ણ થાય છે.
ઈશ્વર વિનાનો સર્વ સંસાર અપૂર્ણ છે,નારાયણ એ પરિપૂર્ણ છે.સાચી શાંતિ નારાયણમાં છે.નર એ નારાયણનો અંશ છે એટલે નર તે નારાયણમાં સમાઈ જવા માગે છે.નારાયણને ઓળખવાનું અને નારાયણ માં લીન થવાનું સાધન તે ભાગવત શાસ્ત્ર.
આલેખનઃ
વિનોદભાઇ માછી નિરંકારી
નવીવાડી,તા.શહેરા,જી.પંચમહાલ
૯૭૨૬૧૬૬૦૭૫(મો)

