Ahmedabad, તા.6
દક્ષિણ ભારત તરફ આવેલા કોંકણ રેલવે પર ચોમાસા દરમિયાન ભારે વરસાદ અને સાવચેતીના કારણોસર 15 જૂનથી 20 ઓક્ટોબર, 2026 સુધી રેલવે દ્વારા મોન્સૂન ટાઈમ ટેબલ અમલમાં મૂકવામાં આવશે.
આ સમયગાળા દરમિયાન કેટલાક વિભાગોમાં ટ્રેનોની ગતિ મર્યાદિત રાખવામાં આવતાં પશ્ચિમ રેલવે પરથી દોડતી 24 જોડી ટ્રેનોના સમય પત્રકમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જેના કારણે અમદાવાદ સહિત ગુજરાતના અનેક સ્ટેશનો પર ટ્રેનોના આગમન અને પ્રસ્થાનના સમયમાં બદલાવ જોવા મળશે.
જેમાં ખાસ કરીને અમદાવાદમાંથી પસાર થતી કેટલીક મહત્ત્વની ટ્રેનોમાં ટ્રેન નં. 16311-12 શ્રી ગંગાનગર-તિવનંતપુરમ એક્સપ્રેસ અમદાવાદ ખાતે સવારે 7.25 વાગ્યે પહોંચશે અને 7.35 વાગ્યે રવાના થશે.
જ્યારે પરત ફરતી આ ટ્રેન સવારે 6.40 વાગ્યે આવશે અને 6.50 વાગ્યે ઉપડશે. તેવી જ રીતે ટ્રેન નં. 16333-34 વેરાવળ-તિરુવનંતપુરમ એક્સપ્રેસ અમદાવાદ ખાતે બપોરે 3.15 વાગ્યે પહોંચશે અને 3.25 વાગ્યે રવાના થશે. જ્યારે પરત આવતી આ ટ્રેન સવારે 6.40 વાગ્યે પહોંચશે અને 6.50 વાગ્યે ઉપડશે.
ગાંધીધામ-નાગરકોઈલ એક્સપ્રેસ અને ઓખા-એર્નાકુલમ એક્સપ્રેસના અમદાવાદ ખાતેના સમય પણ અનુક્રમે બપોરે 3.15થી 3.25 અને સવારે 6.40થી 6.50 નક્કી કરવામાં આવ્યા છે.
ટ્રેન નં. 19260-59 ભાવનગર-તિવનંતપુરમ એક્સપ્રેસ અમદાવાદ ખાતે બપોરે 3.15 વાગ્યે આવશે અને 3.25 વાગ્યે ઉપડશે. જ્યારે ટ્રેન નં. 19578-77 જામનગર-તિનલવેલી એક્સપ્રેસ અમદાવાદ ખાતે રાત્રે 2.50 વાગ્યે પહોંચશે અને 3.00 વાગ્યે રવાના થશે.
આ ઉપરાંત ટ્રેન નં. 22908-07 હાપા-મડગાંવ એક્સપ્રેસ, 20924-23 ગાંધીધામ-તિનલવેલી હમસફર એક્સપ્રેસ, 20910-09 પોરબંદર-તિરુવનંતપુરમ એક્સપ્રેસ અને 22476-75 હિસાર-કોઈમ્બતુર એસી એક્સપ્રેસના સમયમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. અમદાવાદથી મુસાફરી કરતાં મુસાફરોએ ટ્રેનનો સમય ચકાસીને જ મુસાફરી કરવા રેલવે તંત્રે સૂચન કર્યું છે.

