ખાનગી હોસ્પિટલમાં દાખલ ઈજાગ્રસ્તોના બ્લડ સેમ્પલ માટે અંતે તબીબી અધિક્ષકે હસ્તક્ષેપ કરવો પડ્યો
’તમે તમારો ઈગો કંટ્રોલમાં રાખો, અમે રાતના આઠ વાગ્યાંથી રાહ જોઈએ છીએ, તમને શરમ આવવી જોઈએ’ કહી પીઆઈએ ઝાટકયા
Rajkot તા.૬ઃ
શહેરના રૈયા ચોકડી નજીક સેલસ હોસ્પિટલમાં આજે વહેલી સવારે અરસામાં સિવિલ હોસ્પિટલના મહિલા તબીબ અને સુલતાનપુર પોલીસ સ્ટેશનના પીઆઇ વચ્ચે ખાનગી હોસ્પિટલમાં બ્લડ સેમ્પલ ના મામલે ઘર્ષણ થયું હોવાની માહિતી મળી હતી જેમાં પીઆઇ સાથેની વાતચિંતમાં તબીબ દ્વારા પીઆઇ કક્ષાના અધિકારીને ૧૦ કલાક જેટલા સમય સુધી હેરાન કરવામાં આવ્યા હોવાનું જણાવ્યું હતું ભારે અફરાતફરી સર્જાયો હતો.
આ અંગે મળતી માહિતી મુજબ ગઈકાલે સાંજે સાસણગીરથી આવતી કારનું મોવિયા શ્રીનાથગઢ વચ્ચે ઝાડ સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો જેમાં પૂજા રાજગોર નામની યુવતીનું ઘટના સ્થળે મોત થયું હતું અને બે મહિલા સહિત ચાર વ્યક્તિઓને ગંભીર ઇજાઓ થતા સારવાર અર્થે રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતા સુલતાનપુર પોલીસ સ્ટેશનના પી.આઈ સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને વધુ તપાસ હાથ ધરી હતી જે અંગે સુલતાનપુર પોલીસ સ્ટેશનના પીઆઈ ખાચર દ્વારા ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ઇજાગ્રસ્તના સંજય અને સચિનએ કેફી પીણું પીધું હોવાની આશંકાથી સિવિલ હોસ્પિટલના મહિલા મેડિકલ ઓફિસર ડો. ધ્રુવા, તેમની સાથેનો નર્સિંગ સ્ટાફ તેમજ એમ્બ્યુલન્સના બે ડ્રાઇવર સહિતનો આખો સરકારી કાફલો બ્લડ સેમ્પલ લેવાની કાયદાકીય કામગીરી અર્થે ત્યાં પહોંચ્યો હતો.
બ્લડ સેમ્પલ લેવાની પ્રક્રિયા ચાલતી હતી તે સમયે સેલ્સ હોસ્પિટલના વોર્ડમાં જ મેડિકલ ઓફિસર ડો. ધ્રુવા અને ગોંડલના સુલતાનપુર પોલીસ મથકના પીઆઇ જે.એ. ખાચર વચ્ચે કોઈ મુદ્દે ઉગ્ર બોલાચાલી અને શાબ્દિક યુદ્ધ શરૂ થઈ ગયું હતું. તે સમયે ફરજ પરના મહિલા મેડિકલ ઓફિસરે પોલીસ અધિકારીને ટકોર કરતા જણાવ્યું હતું કે, આ બંને દર્દીઓના બ્લડ સેમ્પલ લેવાની કામગીરી પૂર્ણ થઈ ગયા બાદ તમે બંને હોસ્પિટલની સત્તાવાર ફાઇલ અહીં આપીને જજો.
મહિલા ડોક્ટરના આ વળતા જવાબથી પીઆઇ ખાચર ઉશ્કેરાઈ ગયા હતા અને તેમણે વળતો પ્રહાર કરતા જણાવ્યું કે, અમે તમામ નિયમો અને કાયદાકીય ફોર્મલિટી મુજબ સિવિલ હોસ્પિટલના સુપ્રીડેન્ટને લેખિતમાં યોગ્ય ભલામણ પત્ર આપ્યા બાદ જ તમે અહીં સેમ્પલ લેવા માટે આવ્યા છો. આ તબક્કે મેડિકલ સુપ્રીડેન્ટ દ્વારા તેમની સાથે અયોગ્ય અને ગેરવર્તન કરવામાં આવ્યું હોવાની બાબત પણ ચર્ચામાં આવી હતી. જો કે, આ વિવાદ વધુ વણસે અને હોસ્પિટલની શાંતિ જોખમાય તે પહેલાં જ સેલ્સ હોસ્પિટલના સ્થાનિક સ્ટાફે ત્વરિત સમયસૂચકતા અને મધ્યસ્થતા કરી હતી. તેમણે બંને ઉચ્ચ અધિકારીઓને શાંતિપૂર્વક સમજાવીને મામલો થાળે પાડ્યો હતો તેમજ બંને પક્ષ વચ્ચે સુખદ સમાધાન કરાવી દીધું હતું.
આ સમગ્ર મામલે જ્યારે ઉચ્ચ તબીબી સત્તાધીશોનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે જાણવા મળ્યું કે આ ચકચારી ઘટનાથી સિવિલ સર્જન ડો. મોનાલી માકડીયા તદ્દન અજાણ હતા. તેમણે આ મામલે પત્રકારોને પ્રતિક્રિયા આપતા સ્પષ્ટપણે જણાવ્યું હતું કે,આ ગંભીર બાબતમાં જો તપાસ દરમિયાન મેડિકલ ઓફિસરની કોઈ પણ પ્રકારની ભૂલ, નિયમભંગ કે ગેરવર્તણૂક સાબિત થશે, તો વહીવટી તંત્ર દ્વારા તેમની સામે ચોક્કસપણે કડક શિક્ષાત્મક અને કાયદેસરની વહીવટી કાર્યવાહી કરવામાં આવશે.

