(મિલાપ રૂપારેલ) Amreli , તા.14
રાજ્યકક્ષાના 80મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ભાગરૂપે આજે અમરેલી શહેરમાં ઊર્જા અને કાયદો રાજ્ય મંત્રી કૌશિક વેકરીયાના અધ્યક્ષસ્થાને ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. દેશભક્તિના રંગે રંગાયેલા અમરેલી શહેરમાં યોજાયેલી આ યાત્રામાં 10 હજારથી વધુ નાગરિકો, યુવાનો, વિદ્યાર્થીઓ તેમજ વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ ઉત્સાહભેર જોડાયા હતા.
અમરેલીના પોલીસ પરેડ મેદાનથી પ્રારંભ થયેલી આ તિરંગા યાત્રામાં 300 મીટર લાંબો વિશાળ તિરંગો આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. હાથમાં તિરંગા અને હૃદયમાં રાષ્ટ્રભક્તિ સાથે મોટી સંખ્યામાં નાગરિકો યાત્રામાં જોડાયા હતા. ભારત માતાના જયઘોષ અને દેશભક્તિના નારાઓથી સમગ્ર અમરેલી શહેરનું વાતાવરણ રાષ્ટ્રભાવનાથી ગુંજી ઉઠ્યું હતું.
આ યાત્રામાં જિલ્લા પંચાયતના પ્રમુખ દક્ષાબહેન ચોડવડીયા, સાવરકુંડલા-લીલીયા મત વિસ્તારના ધારાસભ્ય મહેશભાઈ કસવાલા, અમરેલી નગરપાલિકાના પ્રમુખ વૈશાલીબહેન માંગરોળિયા, અમરેલી જિલ્લા પ્રભારી સચિવ સંદીપ કુમાર, જિલ્લા કલેક્ટર વિકલ્પ ભારદ્વાજ, જિલ્લા વિકાસ અધિકારી પ્રજાપતિ, સુપર ન્યૂમરરી આસિસ્ટન્ટ કલેકટર હર્ષિતા ગોયલ, નગરપાલિકાના સભ્યો, અધિકારી, વિધાર્થીઓ અને નગરજનો ઉપસ્થિત રહ્યાં હતા.
મશાલ રેલી
અમરેલી જિલ્લાના આંગણે આયોજિત 80મા સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી અંતર્ગત શહેરમાં રાષ્ટ્રભક્તિનો અદભુત માહોલ જોવા મળી રહ્યો છે. આ ઉત્સાહભર્યા વાતાવરણ વચ્ચે રાજ્ય ઊર્જા અને કાયદો મંત્રી કૌશિક વેકરીયાની ઉપસ્થિતિમાં ગઈકાલે સાંજે અમરેલીના સેન્ટર પોઈન્ટ સર્કલથી રાજકમલ ચોક-અમર જવાન સ્મારક સુધી એક ભવ્ય ‘મશાલ રેલી’નું આયોજન કરવામાં આવ્યું હતું. હાથમાં મશાલ અને હૃદયમાં દેશપ્રેમ સાથે નીકળેલી આ રેલીમાં મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકો, યુવાનો અને દેશપ્રેમીઓ જોડાયા હતા.
આઝાદીના લડવૈયાઓના ત્યાગ અને સમર્પણને યાદ કરાવતા આ બંને કાર્યક્રમોએ અમરેલીવાસીઓમાં રાષ્ટ્રભાવનાનો નવો સંચાર કર્યો છે.
શસ્ત્ર પ્રદર્શન
અમરેલીમાં રાજ્યકક્ષાની સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી નિમિત્તે ગુજરાત પોલીસ દ્વારા અત્યાધુનિક શસ્ત્રોના પ્રદર્શનનો ઉર્જા અને કાયદો રાજ્યમંત્રીશ્રી કૌશિકભાઈ વેકરીયાના હસ્તે પ્રારંભ થયો હતો. અમરેલી શહેરની સમર્થ વ્યાયામ શાળા ખાતે આ શસ્ત્ર પ્રદર્શન અમરેલીવાસીઓ તા. 13 થી 16 ઓગસ્ટ દરમિયાન નિહાળી શકશે. આ પ્રદર્શનમાં ગુજરાત પોલીસના ચેતક કમાન્ડો ફોર્સના અત્યાધુનિક શસ્ત્રો તેમજ ઉપકરણો પ્રદર્શન અર્થે મૂકવામાં આવ્યા છે.
આ પ્રદર્શનને ખુલ્લું મૂકતા રાજ્યમંત્રીએ જણાવ્યું હતું કે, અમરેલીના આંગણે દીવાળી જેવો માહોલ સર્જાયો છે. રાજ્ય સરકારે અમરેલીને રાજ્યકક્ષાની ઉજવણીની તક આપી અને અમરેલીએ તેને હરખભેર વધાવી છે.
આ પ્રદર્શનમાં લાંબા અંતરની ચોક્કસાઈ ભરી કામગીરી માટે 7.62 મીમી સ્નાઇપર રાઇફલ (ઇશાપોર) અને 7.62 મીમી ગેલિલ સ્નાઇપર રાઇફલનો સમાવેશ થાય છે. વિવિધ પ્રકારની વિશેષ કામગીરી માટે વિધ્વંસક (એન્ટી મટિરિયલ રાઇફલ), એકે-47, 7.62 મીમી ઘાતક રાઇફલ, સિગ સોઅર 5.56 મીમી એસએફ રાઇફલ, 5.56 મીમી એક્સકેલિબર અને ઇન્સાસ રાઇફલ જેવી આધુનિક રાઇફલો પણ ઉપલબ્ધ છે.
ખાસ કરીને વિધ્વંસક એન્ટી મટિરિયલ રાઇફલ બંકર, હળવા બખ્તરબંધ વાહનો, રડાર તથા અન્ય મહત્વપૂર્ણ લક્ષ્યો સામેની વિશેષ કામગીરીમાં ઉપયોગી છે. કમાન્ડો ફોર્સની કામગીરીને વધુ અસરકારક બનાવવા માટે 30 મીમી ઓટોમેટિક ગ્રેનેડ લોન્ચર, 40 મીમી અન્ડર બેરલ ગ્રેનેડ લોન્ચર, ગ્લોક પિસ્તોલ, એમપી-5 શ્રેણીની સબ-મશીનગન, જેવીપીસી અને અમોઘ કાર્બાઇન જેવા વિવિધ આધુનિક શસ્ત્રોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

