New Delhi, તા.19
દેશમાં ફરજીયાત E-20 પેટ્રોલના વેચાણ મામલે વધતા ઉહાપોહ વચ્ચે સરકાર હવે તેમાં પીછેહઠ કરે તેવા સંકેત છે. મુખ્ય આર્થિક સલાહકાર વી. અનંતા નાગેશ્ર્વરનની ભલામણ બાદ સરકારે E20ની સાથોસાથ E10 પેટ્રોલ વેચાણમાં મુકવાની વિચારણા શરૂ કરી છે. ખાસ કરીને જુના વાહનોને ઇ20 પેટ્રોલથી થતાં નુકશાનમાંથી બચાવવા E10 પેટ્રોલનો વિકલ્પ આપવાની વિચારણા છે. આ મામલે ચર્ચા પ્રાથમિક તબકકે છે અને તૂર્તમાં આખરી નિર્ણય લેવાય શકે છે. ઇ-10 પેટ્રોલનો વિકલ્પ શક્ય છે કે કેમ તેની ચકાસણી કરવાના ચક્રોગતિમાન કરાયા છે.
સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર ચર્ચામાં જૂના વાહનોને મુખ્ય ધ્યાનમાં રાખવામાં આવ્યા છે. તેમાં તકનીકી તેમજ બિનતકનીકી બંને પાસાં અને સમગ્ર ઇંધણ પુરવઠા વ્યવસ્થાની પણ સમીક્ષા કરવામાં આવી રહી છે. ગ્રાહકોને તેમની જરૂરિયાત મુજબ ઇંધણ પસંદ કરવાની સુવિધા આપવાના મુદ્દે પણ વિચારણા ચાલી રહી છે.
હાલ દેશમાં પેટ્રોલમાં ટકા ઇથેનોલ ભેળવવામાં આવે છે, જેને E-20 કહેવામાં આવે છે. જોકે, જૂના વાહનો અને ખાસ કરીને જૂના દ્વિચક્રી વાહનોના માલિકો લાંબા સમયથી E-20 અંગે ચિંતા વ્યક્ત કરી રહ્યા છે. કેટલાક જૂના વાહનોમાં ઊંચા પ્રમાણમાં ઇથેનોલ ધરાવતા પેટ્રોલની સુસંગતતા અંગે પ્રશ્નો ઊભા થયા છે.
મુખ્ય આર્થિક સલાહકાર વી. અનંતા નાગેશ્વરને પણ તાજેતરમાં જૂના વાહનો માટે E-20ની સાથે E-10 પેટ્રોલ ફરી ઉપલબ્ધ કરાવવાની ભલામણ કરી હતી. તેમના જણાવ્યા મુજબ દેશમાં અંદાજે 7.5 થી 8 કરોડ દ્વિચક્રી વાહનો એવા છે જે ઇ-10 માટે તૈયાર કરવામાં આવ્યા હતા.
મહત્વપૂર્ણ છે કે થોડા સમય પહેલાં જ સરકારે પેટ્રોલમાં ઓછા પ્રમાણમાં ઇથેનોલ ધરાવતા E-10 અથવા ઇ0 જેવા વિકલ્પો ફરી શરૂ કરવાની કોઈ યોજના ન હોવાનું સંસદમાં જણાવ્યું હતું. સરકારનું કહેવું હતું કે E-20ને વૈજ્ઞાનિક રીતે ચકાસવામાં આવ્યું છે અને વાહન ઉદ્યોગે પણ તેના ઉપયોગને સ્વીકાર્યો છે.
હવે જૂના વાહનોના માલિકોની વધતી ચિંતા વચ્ચે E-10ને ફરી વિકલ્પ તરીકે ઉપલબ્ધ કરાવવાની શક્યતા અંગે સરકારમાં ચર્ચા શરૂ થઈ છે. જોકે, સમાંતર રીતે ઇ-10 અને E-20નું વિતરણ કરવાથી દેશભરના પેટ્રોલ પંપો પર અલગ પુરવઠા વ્યવસ્થા, સંગ્રહ અને પરિવહન ખર્ચ વધવાની વ્યવહારુ મુશ્કેલીઓ પણ છે. સરકારની ચર્ચા કયા નિર્ણય સુધી પહોંચે છે તે અંગે હાલમાં કોઈ સમયમર્યાદા નક્કી કરવામાં આવી નથી.

