આશાસ્પદ યુવાને ભરેલા પગલાથી પરિવારમાં અરેરાટી
Harpalsinh Jadeja,Rajkot,તા.19
શહેરના કોઠારીયા રેલવે સ્ટેશન નજીક ૨૧ વર્ષીય યુવાનનું ઝેરી પદાર્થ પી જવાથી સિવિલ હોસ્પિટલમાં ચાલુ સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. યુવાન કોઈ બીમારીની દવા લેતો હતો અને તેની ઉપર જ દારૂ પી જતાં ઝેરી અસર થઈ જતા બનાવ બન્યો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.પ્રાપ્ત વિગતો મુજબ, કોઠારીયા રેલવે સ્ટેશન પાસે, તેની ચોક આગળ રહેતો શેલેન્દ્ર શિવશંકર ચૌહાણ (ઉં.વ. ૨૧) ગત તા ૧૪ના રોજ સવારના ૧૦:૦૦ વાગ્યાની આસપાસ પોતાના ઘરે હતો, ત્યારે અચાનક ઝેરી અસર થવાને કારણે તેની તબિયત લથડી હતી. યુવાનની હાલત ગંભીર જણાતાં તેને તાત્કાલિક સારવાર અર્થે રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા. જ્યાં ચાલુ સારવાર દરમિયાન જ શેલેન્દ્રએ દમ તોડી દીધો હતો. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે, મૃતક શેલેન્દ્ર યુનિવર્સિટી રોડ પર વેલ્ડિંગનું કામકાજ કરીને પોતાનું ગુજરાન ચલાવતો હતો. તે છેલ્લા કેટલાક સમયથી કોઈ બીમારીથી પીડાતો હોવાથી તેની દવાઓ ચાલતી હતી. પ્રાથમિક તપાસમાં બહાર આવેલી વિગતો મુજબ, તેણે પોતાની બીમારીની દવા લીધા બાદ ઉપરથી દારૂ પી લીધો હતો, જેને કારણે શરીરમાં દવાની પ્રતિકૂળ (ઝેરી) અસર થઈ જતા મોત થયું છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, મૃતક શેલેન્દ્ર ત્રણ ભાઈ અને એક બહેનના પરિવારમાં સૌથી નાનો અને વહાલસોયો દીકરો હતો. બનાવને લઈ પરિવારમાં શોક છવાયો છે. પોલીસે આ મામલે ગુનો નોંધી મૃતદેહને પીએમ (પોસ્ટમોર્ટમ) અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે

