(ભરત ભોગાયતા)
Jamnagar તા.૧૩
Jamnagar સ્થિત સૈનિક સ્કૂલ બાલાચડીમાં તા. ૮ જુલાઈ, ૨૦૨૬ના રોજ ૬૫મા શાળા સ્થાપના દિવસની ભવ્ય ઉજવણી દેશભક્તિ, ગૌરવ અને ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં કરવામાં આવી હતી.
ઉજવણીની શરૂઆત કાર્યકારી આચાર્ય કમાન્ડર હરિ રામ પુનિયાએ શાળાના શૌર્ય સ્તંભ ખાતે પુષ્પાંજલિ અર્પણ કરીને દેશ માટે સર્વોચ્ચ બલિદાન આપનાર શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી. ત્યારબાદ શાળાના ઓડિટોરિયમમાં યોજાયેલા મુખ્ય કાર્યક્રમમાં સામાજિક વિજ્ઞાન વિભાગના વડા શ્રી રાઘેશ પી.આર.એ સૌનું સ્વાગત કરી શાળાની ૬૫ વર્ષની ગૌરવમય સફર અને નોંધપાત્ર સિદ્ધિઓનો પરિચય કરાવ્યો. આ પ્રસંગે શાળાના ઈતિહાસ, પરંપરા અને વારસાને રજૂ કરતી વિશેષ દસ્તાવેજી ફિલ્મ પ્રદર્શિત કરવામાં આવી હતી. ધોરણ ૬ના કેડેટ્સે આકર્ષક સમૂહ નૃત્ય રજૂ કરી કાર્યક્રમમાં રંગત ભરી હતી. ઉપરાંત, શાળાના પ્રતિષ્ઠિત ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ, પૂર્વ સ્ટાફ સભ્યો અને અધિકારીઓના વિડિયોના માધ્યમ દ્વારા એક ઉત્તમ સંદેશો આપી કાર્યક્રમને ભાવનાત્મક અને યાદગાર બનાવ્યો.
આ પ્રસંગે શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી શ્રી ગિરીશ અગ્રવાલે બાલનિકેતન પ્રાથમિક શાળાના એક વિદ્યાર્થીની શાળા ફીનું દાન આપી સમાજ પ્રત્યેની પોતાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી. -ઑબસાના પ્રમુખ શ્રી નૈનેશ પટેલે સૌને સ્થાપના દિવસની શુભેચ્છાઓ પાઠવી અને શાળાના સંસ્મરણો સાથે કેડેટ્સને શિસ્ત, મૂલ્યો અને શ્રેષ્ઠતાના માર્ગૅ આગળ વધવા પ્રેરિત કર્યા.
કાર્યકારી આચાર્ય કમાન્ડર હરિ રામ પુનિયાએ પોતાના સંબોધનમાં જણાવ્યું કે સૈનિક સ્કૂલ બાલાચડી કેડેટ્સમાં નેતૃત્વ, સમસ્યાનું નિરાકરણ કરવાની ક્ષમતા, ભાવનાત્મક બુદ્ધિ અને મજબૂત ચારિત્ર્યનો વિકાસ કરે છે. તેમણે કેડેટ્સને મોટા સ્વપન જોવા, પડકારોનો આત્મવિશ્વાસપૂર્વક સામનો કરવા તથા જીવનભર શિસ્ત, પ્રામાણિકતા અને દેશભક્તિના મૂલ્યો જાળવી રાખવા આહ્વાન કર્યું.
કાર્યક્રમમાં વાઇસ પ્રિન્સિપાલ સ્ક્વોડ્રન લીડર રાકેશ તિવારી, ઑબસાના સભ્યો, શાળાના અધિકારીઓ, સ્ટાફ તથા કેડેટ્સ ઉપસ્થિત રહ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમનું સંકલન અને આયોજન શ્રી આર. જે. મકવાણા, (ટીજીટી સામાજિક વિજ્ઞાન ) ના માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક સંપન્ન થયું હતું. ઉજવણીનો સમાપન કેક કટિંગ સમારોહ અને કેડેટ્સ મેસમાં આયોજિત ડિનર નાઇટ સાથે થયો. સમગ્ર કાર્યક્રમે શાળાની ગૌરવશાળી પરંપરા, રાષ્ટ્રપ્રેમ અને સંસ્થાની એકતાને વધુ મજબૂત બનાવી છે

