આ દુર્ઘટનામાં ઘાયલ થયેલા લોકોને તાત્કાલિક સારવાર અર્થે એમ્બ્યુલન્સ મારફતે એલ.જી. હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે
Ahmedabad,તા.૧૮
વસ્ત્રાલ વિસ્તારમાં આવેલા રામોલ-ગતરોડ પર આવેલી એક ફટાકડા ફેક્ટરીમાં જોરદાર બ્લાસ્ટ સાથે આગ ફાટી નીકળી હતી. આ ગંભીર દુર્ઘટનામાં ૯ લોકોના કરુણ મોત નીપજ્યાં છે, જ્યારે ૧૮ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડનો કાફલો અને એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચ્યાં છે અને રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.
મળતી માહિતી મુજબ, રામોલથી ગતરાડ જતા માર્ગ પર મહેમુદપુરા ટેલેન્ટ પાસે આ ફટાકડા બનાવતી ફેક્ટરી આવેલી છે.
આજે કામકાજ દરમિયાન અચાનક ફેક્ટરીમાં ફટાકડાના કારણે એક પછી એક જોરદાર ધડાકા થવા લાગ્યા હતા અને જોતજોતામાં આખી ફેક્ટરી આગની લપેટમાં આવી ગઈ હતી. બ્લાસ્ટ એટલો તીવ્ર હતો કે આસપાસનો વિસ્તાર ધ્રૂજી ઉઠ્યો હતો અને આકાશમાં ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા.
ઘટના સમયે ફેક્ટરીમાં અનેક મજૂરો કામ કરી રહ્યા હતા, જેમાંથી ૯ લોકો ત્યાં ને ત્યાં જ જીવતાં હોમાઈ ગયા હતા. આ ફેક્ટરી વસ્ત્રાલ ઇછહ્લ કેમ્પના પાછળના ભાગમાં આવેલી હોવાથી, ધડાકાનો અવાજ સાંભળતા જ ના જવાનો જરાય સમય ગુમાવ્યા વિના ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ફાયરબ્રિગેડની ટીમ પહોંચે તે પહેલાં જ વીર જવાનોએ સળગતી ફેક્ટરીમાંથી ફસાયેલા અને ગંભીર રીતે દાઝી ગયેલા લોકોને બહાર કાઢવાની કામગીરી શરૂ કરી દીધી હતી.
ફાયરબ્રિગેડની ૫થી વધુ ગાડીઓ અને ચીફ ફાયર ઓફિસર સહિતનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો અને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યો હતો. આ દુર્ઘટનામાં ઘાયલ થયેલા લોકોને તાત્કાલિક સારવાર અર્થે એમ્બ્યુલન્સ મારફતે એલ.જી. હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે, જેમાંથી ૫ લોકોની સ્થિતિ અત્યંત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.
હાલમાં હોસ્પિટલમાં ઘાયલોની સારવાર ચાલી રહી છે, જ્યારે ઘટનાસ્થળે સર્ચ ઓપરેશન હજુ પણ ચાલુ હોવાથી મૃત્યુઆંક વધવાની આશંકા સેવાઈ રહી છે. બીજી તરફ, પોલીસ અને ફાયર વિભાગ દ્વારા આ ફેક્ટરી કાયદેસર હતી કે ગેરકાયદેસર અને આગ લાગવાનું ચોક્કસ કારણ શું હતું, તે દિશામાં સત્તાવાર તપાસ શરૂ કરવામાં આવી છે.

