જો લાયસન્સ રદ હતું, તો પછી સૌથી મોટો સવાલ એ છે કે શું સંબંધિત વિભાગોએ ક્યારેય સ્થળ તપાસ કરી હતી?
Ahmedabad,તા.૧૮
અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં રામોલ-ગતરાડ રોડ પર ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના સામે આવી છે. આ દુર્ઘટનામાં ૮ લોકોના મોત થયા છે. તો ૧૦ લોકો ઈજાગ્રસ્ત થયા હોવાના અહેવાલ છે. ઈજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. ત્યારે સૌથી ચોંકાવનારી વાત તો એ છે કે આ ફેક્ટરીનું લાયસન્સ રદ હતું છતાં ફેક્ટરી ચાલી રહી હતી, ત્યારે સવાલ એ છે કે લાયસન્સ રદ હોવા છતાં કોની રહેમ હેઠળ ચાલી રહી હતી આ મોતની ફેક્ટરી ?
સેક્ટર-૨ના જેસીપી જયપાલસિંહ રાઠોડના જણાવ્યા મુજબ, મેહુલ ડોડિયા નામનો વ્યક્તિ ખેતરમાં શેડ બનાવી ગેરકાયદેસર રીતે ફટાકડાની ફેક્ટરી ચલાવી રહ્યો હતો. આ ફટાકડાની ફેક્ટરીનું લાયસન્સ પહેલાથી જ રદ કરી દેવામાં આવ્યું હતું. જો લાયસન્સ રદ હતું, તો પછી સૌથી મોટો સવાલ એ છે કે શું સંબંધિત વિભાગોએ ક્યારેય સ્થળ તપાસ કરી હતી? જો કરી હતી તો ફેક્ટરી બંધ કેમ ન કરાવી? અને જો તપાસ જ ન થઈ હોય તો તેની જવાબદારી કોણ લેશે?ફટાકડા જેવી અત્યંત જોખમી વસ્તુઓનું ઉત્પાદન કોઈ સામાન્ય વ્યવસાય નથી. તેમાં વિસ્ફોટક રસાયણોનો ઉપયોગ થતો હોવાથી નિયમિત દેખરેખ અને કડક સુરક્ષા માપદંડો ફરજિયાત હોય છે. છતાં લાયસન્સ વગર ફેક્ટરી ચાલુ રહી, એટલે શું તંત્રને તેની જાણ નહોતી કે પછી જાણ હોવા છતાં આંખ આડા કાન કરવામાં આવ્યા હતા?
આ બ્લાસ્ટમાં ૮ પરિવારોના સભ્યોના જીવ ગયા છે. હવે સવાલ માત્ર ફેક્ટરીના માલિક સામે કાર્યવાહીનો નથી, પરંતુ જો કોઈ સરકારી અધિકારીની બેદરકારી, ફરજમાં ઉદાસીનતા અથવા નિયમોના અમલમાં ખામી સામે આવશે તો શું તેમની સામે પણ કાર્યવાહી થશે?

