Bhavnagar તા.7
ભાવનગર-અમદાવાદ હાઈવે પર આવેલા સનેસ ગામ નજીક ગઈકાલે બપોરના સમયે એક ‘ઈકો’ કાર અને અન્ય એક કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ ભયાનક ટક્કરમાં ઈકો કારમાં સવાર એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય ચાર લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા.
અકસ્માત અંગે પ્રાપ્ત થતી વિગતો મુજબ, સનેસ ગામ પાસે બે કાર વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. અકસ્માત એટલો ભીષણ હતો કે કાર પલટી મારી ગઈ હતી અને તેનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. આ અકસ્માતમાં ઈકો કારમાં સવાર અજુભાઈ ખોડાભાઈ પરમાર નું ગંભીર ઈજાઓ થવાના કારણે મોત નીપજ્યું હતું.
જ્યારે અન્ય મુસાફરો મહેન્દ્રભાઈ નારુભાઈ પરમાર, સંજયભાઈ કરસનભાઈ પરમાર, ધીરુભાઈ રાયસંગભાઈ પરમાર અને ભુપતભાઈ કાળુભાઈ પરમારને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી. અકસ્માત થતા જ આસપાસના રાહદારીઓ અને ગ્રામજનો તાત્કાલિક મદદે દોડી આવ્યા હતા અને કારમાં ફસાયેલા ઈજાગ્રસ્તોને બહાર કાઢ્યા હતા.
ઘટનાની જાણ થતા જ 108 એમ્બ્યુલન્સ મારફતે ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અકસ્માત સર્જીને બીજી કારનો ચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

