ભગવતી યમુનાનાં તટ પર માનસ રત્નાવલીની કથાનો પ્રારંભ કરતાં પૂજ્ય બાપુએ કહ્યું કે ચૈત્ર નવરાત્રીનાં આ પાવન દિવસોમાં રામકથાનું અવતરણ થયું, અને આ રામકથા આપણને માતા ભગવતી રત્નાવલીની કૃપાથી પ્રાપ્ત થઈ છે, તો આપણે આ ચૈત્રી નવરાત્રીમાં એને વિશે જ ચિંતન કરીશું! આ રત્નાવલી ધામથી આ ધરાનું મહત્વ ગવાવુ જોઈએ! તુલસીદાસજીને અહીં રાગ થયો, પછી વૈરાગ્ય થયો, અને એ વૈરાગ્ય એમને રામ અનુરાગ સુધી લઈ ગયો. યમુનાજીને કલીમલ હરની માનવામાં છે, તો તુલસીદાસજી એ રામચરિત માનસમાં રામકથાને પણ “મંગલ કરની કલીમલ હરની” કહી છે. અહીં ગંગા યમુનાનો સંગમ નથી,પણ યમુના અને તુલસીની યમુનાનો સંગમ છે, એક પાણી રૂપે અને બીજું તુલસીની વાણી રુપે! આ એ ભૂમિ છે જ્યાં મધ્યરાત્રીએ બે દિલ મળ્યા હતાં,એક રત્નાવલીનું અને બીજું તડપતુ તુલસીનું.
આપણે ત્યાં ચાર નવરાત્રની વાત આવી છે, એમાં ચૈત્ર અને અશ્વિન બે પ્રત્યક્ષ અને માઘ અને અષાઢ બે ગુપ્ત નવરાત્રિ! ગુપ્ત નવરાત્રિ તંત્ર માર્ગીય માટે છે! જોકે હવે તો બધી નવરાત્રીમાં તંત્ર સાધના થાય છે! પરંતુ વ્યાસપીઠ એક પાંચમું નવરાત્ર ઉમેરે છે, અને એ છે “નૂતન નવરાત્ર” એટલે કારતક સુદ એકમ થી નોમ! આ વાત કોઈ ગ્રંથ કે શાસ્ત્રમાં નહીં મળે, મોરારીબાપુની નિજ નિષ્ઠા મને આવું કહેવા પ્રેરે છે, દાદાજી કહેતાં બેટા કે આ પાંચ નવરાત્રમાં માનસનો પાઠ કરવાથી આગળ ઉપર આવનારા વળાંકમાં સ્થિરતા રહેશે! પહેલાં વર્ષમાં 36 વાર માનસનો પૂરેપૂરો પાઠ થતો, હવે ઘટતું ગયું છતાં માસ પારાયણ અને આ પાંચ નવરાત્રમાં નવાન એમ હજી ભગવત કૃપાથી અખંડ છે.
મેં સતવા બાબાને કહ્યું કે અહીં મેહવા ઘાટ કે જેને મેં રત્નાવલી ધામ નામ આપ્યું છે, ત્યાં એક રામજી મંદિર હોય અને એમાં તુલસી તથા રત્નાવલીની મૂર્તિ હોય, અને મદન ભૈયા એ તરત એ બોલ ઝીલી લીધો. કથાનો મુખ્ય વિષય રત્નાવલી રહેશે! ભગવત્ ગોમંડળમાં રત્નાવલીનાં ઘણાં અર્થ થાય છે, પણ એક અર્થ છે રત્નોનો હાર, રત્નની જયમાળા! આપણે નવ દિવસ રત્નાવલીનાં અર્થ અને રામચરિત માનસ માંથી એનો સંદર્ભ લઈ સાત્વિક તાત્વિક સંવાદ કરીશું.
રામચરિત માનસમાં મા જાનકીનું વર્ણન ખૂબ છે, વાલ્મિકી તો સીતાનું ચરિત જ મહત્વનું ગણે છે.ઘણાં સીતાયન પણ લખે છે. કૌશલ્યા આદિ માતાઓનું વર્ણન પણ છે, જે દિવ્ય ચરિત્ર છે એનો ઉલ્લેખ છે, જોકે ઘણાં ઉર્મિલા, શ્રુતકીર્તિ અને માંડવી વિશે યથા યોગ્ય ઉલ્લેખ નથી થયો, એવી વાત પણ કરે છે! રત્નાવલી કે જેણે તુલસીને સંત બનાવી દીધાં, પરમસંત બનાવી દીધાં એ રત્નાવલીનું નામ ગ્રંથમાં ક્યાંય નથી, અને જ્યારે રત્નાવલીનો અર્થ રત્નોની માળા થાય, ત્યારે વિચાર્યું કે જે પંક્તિમાં રત્ન શબ્દ આવતો હોય, એનો આશરો કરીને, નવ દિવસ આપણે રત્નાવલીનું સ્મરણ કરીશું. પહેલી પંક્તિ બાલકાંડમાંથી લીધી છે, જ્યાં નામ મહિમાની ચર્ચા થઈ છે, અને તુલસીદાસજી રતન શબ્દનો પ્રયોગ કરે છે, બીજી પંક્તિ અયોધ્યાકાંડની જ્યારે ભરતજી પ્રભુની આજ્ઞા શિરોધાર્ય કરીને ચિત્રકૂટથી પાછા ફરે છે, એ વખતે પાદુકાનું અદભુત દર્શન કરાવીને તુલસી રતન શબ્દનો પ્રયોગ કરે છે, તો આપણે આ બે પંક્તિઓ લઈને માનસ રત્નાવલી ગાઈશું.
જેવી રીતે માનસના સાત સોપાન છે એવી જ રીતે તુલસીની આસપાસ સાત રત્ન છે. પહેલું તુલસી, સ્વયં એક રત્ન છે, વિશ્વનું એવું રત્ન કે જેણે રામચરિતમાનસ આપ્યું. બીજું રત્ન એ મહાપુરુષ જેણે તુલસી જેવા સંતને જન્મ આપ્યો, એ આત્મારામ દુબે. ત્રીજું રત્ન છે તુલસીની માતા હુલસી. ચોથુ રત્ન તુલસીને જેણે મોટા કર્યા એ દાસી કારણકે માં તો મરી ગઈ હતી. પાંચમું રત્ન તુલસીની પ્રથમ ગુરુદેવી રત્નાવલી. છઠ્ઠું રત્ન તુલસીના સદગુરુ નરહરી મહારાજ અને સાતમુ રત્ન છે રામ નામ મારી દ્રષ્ટિએ આ સાત રત્ન છે, અને રત્નાવલી જેનું સ્મરણ આપણે કરીશું, એ એક માળાના મણિમાં મેરુનું સ્થાન ધરાવે છે. તુલસીની આ સપ્ત મણકાની માળામાં રત્નાવલી મેરુ છે.
અસ્થિ ચર્મ મય દેહ યહ તા સો એસી પ્રીતિ,
નેકું જો હોતી રામ સે તો કાહે ભવ ભીતિ.
તુલસીએ સાત સોપાનમાં રામચરિત માનસ આપીને વિશ્વને જાગૃત કર્યું, જ્યારે આ દેવી રત્નાવલી એ વિશ્વને જાગૃત કરનારાં મહાપુરુષને માત્ર ચાર ચરણ વાળા દોહાથી જાગ્રત કરી દીધા તો રત્નાવલીના બે અર્થ થશે, એક તો રત્નાવલી નું સ્મરણ, જે પરમ રત્ન છે, પરમ નારી રત્ન છે, પ્રેમ દેવી રત્ન છે, પરમ માતૃ રત્ન છે. માનસ રત્નાવલીનો એક અર્થ છે, કે આ માનસ સ્વયં રત્નાવલી છે, કેટકેટલાં રત્નોથી ભરેલી છે આ માનસની કથા.
તુલસીદાસજી સાથે બે રત્નાવલી જોડાયેલી છે એક એમની ધર્મ પત્ની, અને બીજી માનસ સ્વયં એક રત્નાવલી એટલે કે રત્નોની હારમાળા છે. અહીં સૌ પ્રસન્ન છે, અને પ્રસાદ ગ્રહણ કરજો! કારણ કે આ માતા રત્નાવલીનો ભંડારો છે! કદાચ એ સમયે કોઈએ કર્યો પણ ન્હોય! એટલે તુલસીની ધર્મ પત્ની રત્નાવલી પણ આ કથાથી પ્રસન્ન થશે! અને એથી વધુ તુલસીદાસજી પ્રસન્ન થશે, કે આપે મારી પ્રથમ ગુરુનું સ્મરણ કર્યું, પૂજન કર્યું! અમૃતલાલ નાગર એ પોતાની કલ્પનાથી રત્નાવલીનાં પાત્રની વાત કરી છે, જ્યારે, હું મારા અંતરની અનુભૂતિથી મા રત્નાવલીનું પૂજન કરીશ, કે આરતી ઉતારીશ. રાજાપૂર અને અહીં રત્નાવલી ધામનાં બધાં જ ઘરમાં રામચરિત માનસ હોવું જોઈએ! આ ક્ષેત્રનો એ પરિચય છે.
મને કોઈએ પુછ્યું હતું કે રામચરિત માનસમાં તુલસીદાસજી એ પોતાની પત્નીનો ઉલ્લેખ કેમ નથી કર્યો! પણ એમણે રત્નાવલીને યાદ કરી છે.
કામિહિ નારી પિયારિ જિમિ લોભિહિ પ્રિય જીમી દામ,
તિમિ રઘુનાથ નિરંતર પ્રિય લાગહુ મોહિ રામ.
ત્યાં રત્નાવલીનું સ્મરણ છે, જાણે તુલસી સ્વીકાર કરે છે કે, મારાં જેવાં કામી ને એકવાર રત્ના એટલી પ્રિય લાગી હતી, એવી રીતે મને નિરંતર રામ પ્રિય લાગે.
ગોસ્વામી તુલસીદાસજીએ રામચરિત માનસની રચના 1631 માં કરી અને એમાં બાલ, અયોધ્યા, અરણ્ય કિષ્કિંધા, સુંદર, લંકા અને ઉત્તર એમ સાત સોપાન છે. રામચરિત માનસનું પહેલું સોપાન બાલકાંડ છે, અને ગોસ્વામીજી સાત મંત્રોમાં એનું મંગલાચરણ કરે છે, સોપાન પણ સાત અને મંગલાચરણનાં મંત્રો પણ સાત. ઘણાંનું કહેવું છે કે, તુલસીદાસજીએ નારીની ઉપેક્ષા કરી છે! પણ જો એમણે નારીને ઉપેક્ષિત માની હોત તો, મંગલાચરણના પ્રથમ મંત્રમાં તેઓ માતૃ શરીરની વંદનાથી રામકથાનો પ્રારંભ કર્યો ન્હોત, અને આમ પણ આપણી પરંપરા સૌથી પહેલા ગણેશનાં પ્રારંભની છે, છતાં એમણે સરસ્વતીની વંદના પહેલા કરી! એટલે તુલસીએ આટલા વર્ષો પહેલા અદભુત ક્રાંતિ કરી હતી. ગણેશજીને પાછળ રાખીને, મા સરસ્વતીની વંદનાને પ્રથમ સ્થાન આપ્યું. તુલસીદાસજી મંગલાચરણ પછી બિલકુલ ગ્રામ્ય ગિરામાં ઉતરી આવ્યાં અને પછી પાંચ સોરઠામાં ગણેશ, સૂર્યનારાયણ, ભગવાન, વિષ્ણુ, મા પાર્વતી, અને ભગવાન શિવ, એ પંચદેવની સ્થાપના સોરઠામાં કરી. ત્યારબાદ તુલસીદાસજી ગુરુ વંદના કરે છે, જેને વ્યાસપીઠ ગુરુ ગીતા કહે છે. પછી દશરથજી તથા પ્રાણીઓની વંદના કરી જનકજીની વંદના કરી, અને છેલ્લે હનુમાનજીની વંદના કરી. પ્રથમ દિવસની કથા હનુમંત તત્વની વંદના સુધી જ કરવાની હોયને, સકલ અમંગલ મૂલ નિકંદન ગાઈને પ્રથમ દિવસની કથાને વિરામ આપ્યો.
લી. ફાલ્ગુની વસાવડા.(ભાવનગર)

