તેમણે કહ્યું કે આ ૨૧મી સદીનો સૌથી મોટો નિર્ણય છે, જે નવા સંસદ ભવનથી મહિલા સશક્તિકરણ અને લોકશાહી શક્તિને સુનિશ્ચિત કરશે
New Delhi, તા.૧૩
સંસદમાં નારી શક્તિ વંદન અધિનિયમ પર ચર્ચા થાય તે પહેલાં દિલ્હીના વિજ્ઞાન ભવનમાં નારી શક્તિ વંદન સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાજર રહ્યા હતા. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશની નારી શક્તિને સંબોધતા જણાવ્યું કે, “આપણો દેશ ઇતિહાસ રચવાની ખૂબ નજીક છે. એક એવો નવો ઇતિહાસ, જે ભૂતકાળની સંકલ્પનાઓને સાકાર કરશે અને ભવિષ્યના સંકલ્પોને પૂર્ણ કરશે.”
નારી શક્તિ વંદન સંમેલનમાં પીએમ મોદીએ કહ્યું કે, રાષ્ટ્રની વિકાસ યાત્રાના આ મહત્વના પડાવોની વચ્ચે ભારત ૨૧મી સદીના સૌથી મોટા નિર્ણયોમાંથી એક નિર્ણય લેવા જઈ રહ્યું છે. હું ખૂબ જ જવાબદારીપૂર્વક કહી રહ્યો છું કે આ ૨૧મી સદીના સૌથી મહત્વપૂર્ણ નિર્ણયોમાંથી એક મહત્વપૂર્ણ નિર્ણય છે. આ નિર્ણય નારી શક્તિને સમર્પિત છે. નારી શક્તિ વંદનને સમર્પિત છે.
પીએમ મોદીએ આગળ કહ્યું કે, રાજ્યોની વિધાનસભાઓથી લઈને દેશની સંસદ સુધી દાયકાઓની પ્રતીક્ષાના અંતનો સમય ૧૬, ૧૭, ૧૮ એપ્રિલ છે. ૨૦૨૩માં નવી સંસદમાં અમે નારી શક્તિ વંદન અધિનિયમના રૂપમાં પ્રથમ ડગલું ભર્યું હતું. વડાપ્રધાને જણાવ્યું કે, નારી શક્તિ વંદન અધિનિયમ સમયસર લાગુ થઈ શકે અને મહિલાઓની ભાગીદારી લોકતંત્રને મજબૂતી આપે તે માટે ૧૬ એપ્રિલથી સંસદના બજેટ સત્રની વિશેષ બેઠકનું આયોજન થવા જઈ રહ્યું છે. તે પહેલા આજે નારી શક્તિ વંદનનો આ કાર્યક્રમ યોજાયો છે જેના દ્વારા અમને દેશની કરોડો માતાઓ-બહેનોના આશીર્વાદ મળી રહ્યા છે.
પીએમ મોદીએ સંમેલનમાં આવેલી મહિલાઓ વિશે કહ્યું કે, તમે સૌ દેશના ખૂણે-ખૂણેથી આવ્યા છો. તમારી આ ઉપસ્થિતિ અને આ મહત્વપૂર્ણ કાર્ય માટે તમે જે સમય કાઢ્યો છે તે બદલ હું આપ સૌનું હૃદયપૂર્વક આભાર માનું છું. સાથે જ ભારતની તમામ મહિલાઓને એક નવા યુગના આગમનની શુભેચ્છા પણ પાઠવું છું. તેમણે ઉમેર્યું કે, હું અહીં કોઈને ઉપદેશ આપવા કે જગાડવા નથી આવ્યો. હું તો બસ આ દેશની મહિલાઓના આશીર્વાદ લેવા આવ્યો છું.
વડાપ્રધાને કહ્યું કે, લોકશાહી માળખામાં મહિલાઓને અનામત આપવાની જરૂરિયાત દાયકાઓથી દરેક વ્યક્તિ અનુભવી રહી હતી. આ વિચાર-વિમર્શને આશરે ૪ દાયકા વીતી ગયા છે. જેમાં તમામ પક્ષોના અને કેટલીય પેઢીઓના પ્રયાસો સામેલ છે. દરેક પક્ષે આ વિચારને પોતપોતાની રીતે આગળ વધાર્યો છે. પીએમ મોદીએ વધુમાં જણાવ્યું કે, ૨૦૨૩માં જ્યારે નારી શક્તિ વંદન અધિનિયમ આવ્યો ત્યારે પણ તમામ પક્ષોએ સર્વસંમતિથી તેને પસાર કર્યો હતો. ત્યારે એક સૂરે એ વાત પણ ઉઠી હતી કે કોઈપણ સંજોગોમાં ૨૦૨૯ સુધીમાં આ લાગુ થઈ જવો જોઈએ. આપણા વિપક્ષના તમામ સાથીઓએ પણ ભાર આપ્યો હતો કે ૨૦૨૯માં આ લાગુ થઈ જવો જોઈએ.પીએમ મોદીએ કહ્યું કે, આપણો પ્રયાસ અને પ્રાથમિકતા છે કે આ વખતે પણ આ કાર્ય સંવાદ, સહયોગ અને સહભાગિતાથી થાય. તેમણે ગૌરવ સાથે જણાવ્યું કે, હાલમાં દેશમાં રાષ્ટ્રપતિથી લઈને નાણામંત્રી જેવા મહત્વના પદો મહિલાઓ જ સંભાળી રહી છે. ભારતમાં ૧૪ લાખથી વધુ મહિલાઓ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં સફળતાપૂર્વક કાર્ય કરી રહી છે. લગભગ ૨૧ રાજ્યોમાં પંચાયતોમાં તેમની ભાગીદારી આશરે ૫૦% સુધી પહોંચી ગઈ છે. તેમણે કહ્યું કે જ્યારે નિર્ણય લેવાની પ્રક્રિયામાં મહિલાઓની સહભાગિતા વધે છે ત્યારે વ્યવસ્થામાં વધુ સંવેદનશીલતા આવે છે.
પીએમ મોદીએ કહ્યું કે, ૨૦૧૪માં આપણા દેશમાં કરોડો મહિલાઓ એવી હતી જેમણે ક્યારે બેંકનો દરવાજો પણ જોયો નહોતો. મહિલાઓ બેંકિંગ સેક્ટર સાથે જોડાયેલી નહોતી તો તેમને બેંકિંગનો લાભ કેવી રીતે મળેત. અમે જનધન યોજના શરૂ કરી તો દેશની ૩૨ કરોડથી વધારે મહિલાઓના બેંક ખાતા ખુલ્યા.PM મોદીએ જણાવ્યું હતું કે આજે આપણી દીકરીઓ વિવિધ નવા વ્યવસાયિક સાહસોમાં પોતાની ઓળખ બનાવી રહી છે. મુદ્રા યોજના હેઠળ મહિલાઓએ ૬૦%થી વધુ લોન લીધી છે. મહિલાઓ પણ દેશની સ્ટાર્ટઅપ ક્રાંતિ (startup revolution)નું નેતૃત્વ કરી રહી છે જે મોખરે છે. આજે, ૪૨%થી વધુ રજિસ્ટર્ડ સ્ટાર્ટઅપ્સમાં ઓછામાં ઓછી એક મહિલા ડાયરેક્ટર છે. સ્કીલ ઇન્ડિયા મિશન અને વોકેશનલ ટ્રેનિંગના પરિણામે આજે હજારો ડ્રોન દીદી કૃષિ ક્રાંતિનું નેતૃત્વ કરી રહી છે.

