Ahmedabad ,તા.૯
ગુજરાત ભાજપના રાજકારણમાં હાલ ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. રાજ્યની નગરપાલિકાઓ, જિલ્લા-તાલુકા પંચાયતો અને મહાનગરપાલિકાઓના નવા હોદ્દેદારોની નિમણૂકને લઈને ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાંથી મોટા સમાચાર સામે આવ્યા છે. લાંબા સમયથી જેની રાહ જોવાઈ રહી હતી તે હોદ્દેદારોના નામ હવે આગામી ૧૫ મે બાદ સત્તાવાર રીતે જાહેર કરવામાં આવશે.
તાજેતરમાં ૬ મે થી ૮ મે સુધી ગાંધીનગર કમલમ ખાતે પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ ત્રણ દિવસીય બેઠકમાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના વિવિધ જિલ્લાઓ અને તાલુકાઓના હોદ્દેદારોના નામો પર ગહન મંથન કરવામાં આવ્યું છે.
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, પાર્લામેન્ટરી બોર્ડની આ બેઠકમાં જે નામો પર સહમતિ બની છે, તેમની જાહેરાત ૧૫ મે પછી કરવામાં આવશે. જેમાં ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતની નગરપાલિકા, જિલ્લા-તાલુકા પંચાયત અને મનપાના નવા હોદ્દેદારો (પ્રમુખ, ઉપપ્રમુખ વગેરે) ને તેમની જવાબદારી સોંપવામાં આવશે.
એક તરફ ત્રણ ઝોનનું મંથન પૂર્ણ થઈ ગયું છે, ત્યારે સૌરાષ્ટ્ર અને વડોદરા ઝોનના હોદ્દેદારોના નામ હજુ નક્કી કરવાના બાકી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસ અને અન્ય વ્યસ્તતાઓને ધ્યાનમાં રાખીને આ બે ઝોનની ચર્ચા હાલ પૂરતી મોકૂફ રાખવામાં આવી હતી.
સૌરાષ્ટ્ર અને વડોદરાના હોદ્દેદારોની પસંદગી માટે પીએમ મોદીના પ્રવાસ બાદ ફરી એકવાર પાર્લામેન્ટરી બોર્ડની બેઠક બોલાવવામાં આવી છે. હવે આગામી ૧૨ અને ૧૩ મેના રોજ આ બેઠક યોજાશે, જેમાં બાકી રહેલા નામો પર અંતિમ મહોર મારવામાં આવશે. આમ, પીએમ મોદીના પ્રવાસ બાદ સમગ્ર રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓને તેમના નવા સુકાનીઓ મળી જશે.

