રેસકોર્સ ખાતે ‘‘યોગ કાર્યક્રમ’યોજાયો અને શ્રી લોકમાન્ય તિલક સ્નાનાગાર ખાતે એક્વાયોગ કરવામાં આવ્યા
Rajkot તા.૨૨
યોગ એ ભારતની પ્રાચીન સંસ્કૃતિની અમૂલ્ય ભેટ છે. યોગ દ્વારા મન અને શરીર વિચાર અને ક્રિયા સંયમ અને પરિપૂર્ણતા માણસ અને પ્રકૃતિ વચ્ચે સુમેળ સ્વાસ્થ્ય અને સુખાકારી માટે સંપૂર્ણ અભિગમની એકતાને મૂર્તિમંત કરવા ‘‘૧૨મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’’ની ઉજવણી અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તા.૨૧મી જૂન, ૨૦૨૬ના રોજ શ્રી માધવરાવ સિંધિયા ક્રિકેટ ગ્રાઉન્ડ, રેસકોર્સ ખાતે સવારે ૦૬૦૦ કલાકે ‘‘યોગ કાર્યક્રમ’’ યોજાયો હતો તેમજ શ્રી લોકમાન્ય તિલક સ્નાનાગાર, રેસકોર્સ (ફક્ત મહિલાઓ માટે) ખાતે સવારે ૦૮૦૦ કલાકે એક્વાયોગ કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને માન. મેયરશ્રી ડૉ. નેહલ શુકલ ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમમાં સાંસદશ્રી રામભાઇ મોકરિયા, ધારાસભ્યશ્રી રમેશભાઈ ટીલાળા, શહેર ભાજપ પ્રમુખશ્રી ડૉ. માધવભાઈ દવે, ડેપ્યુટી મેયરશ્રી દક્ષાબેન વસાણી, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનશ્રી પરેશભાઈ પીપળીયા, મ્યુનિસિપલ કમિશનરશ્રી તુષાર સુમેરા તથા શાસક પક્ષના દંડકશ્રી સંજયસિંહ રાણા સહિત શહેરની શાળા-કોલેજના વિધ્યાર્થીઓ, વિવિધ સેવાકીય સંસ્થાઓ, યોગ સંસ્થાઓ, ધાર્મિક સંસ્થાઓ, રમત-ગમતની વિવિધ સંસ્થાઓ, એન.સી.સી. કેડેટ્સ તેમજ બહોળી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.
‘‘૧૨મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’’ની ઉજવણી ભારત દેશ સહિત સમગ્ર વિશ્વમાં કરવામાં આવી રહી છે ત્યારે બંગાળથી આદરણીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી વર્ચ્યુઅલી જોડાયા હતા. તેમણે યોગ દિન નિમિતે સૌ દેશવાસીઓને સંદેશ આપતા જણાવ્યું હતું કે, યોગ માત્ર કસરત નથી, પરંતુ જીવન જીવવાની એક સંપૂર્ણ પદ્ધતિ છે. યોગ શરીર, મન અને આત્માને જોડીને વ્યક્તિને સ્વસ્થ, સંતુલિત અને સકારાત્મક જીવન તરફ દોરી જાય છે.
વર્ષ ૨૦૨૬ની થીમ ‘‘ ‘‘ (સ્વસ્થ વૃદ્ધાવસ્થા માટે યોગ) અંગે વડાપ્રધાનશ્રીએ જણાવ્યું કે નિયમિત યોગાભ્યાસ વ્યક્તિને દરેક ઉંમરે સ્ફૂર્તિ, લવચીકતા અને માનસિક મજબૂતી પ્રદાન કરે છે. યોગ દ્વારા વ્યક્તિ લાંબા સમય સુધી સ્વસ્થ, સક્રિય અને આત્મનિર્ભર જીવન જીવી શકે છે. વડાપ્રધાનશ્રીએ ભારપૂર્વક જણાવ્યું કે, યોગ કોઈ એક દિવસની ઉજવણી પૂરતો મર્યાદિત ન રહે, પરંતુ દરેક નાગરિકના દૈનિક જીવનનો અભિન્ન ભાગ બનવો જોઈએ. યોગ તણાવમુક્ત જીવન, માનસિક શાંતિ અને ઉત્તમ સ્વાસ્થ્ય માટે અસરકારક સાધન છે. તેમણે દેશ અને વિશ્વના નાગરિકોને યોગને જનઆંદોલન બનાવવા અપીલ કરતાં જણાવ્યું કે યોગ માનવજાતને એકતા, શાંતિ, આરોગ્ય અને સુખાકારી તરફ લઈ જનાર ખૂબ જ શક્તિશાળી માધ્યમ છે.
એટલું જ નહીં, રાજકોટ મહાનગરપાલિકાએ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ સાથે વિશેષ એમ.ઓ.યુ. કરીને દેશભરમાં પ્રથમ ’૧૫ મિનિટ યોગ સિટી’નો નવતર અભિગમ અપનાવ્યો છે, જેમાં શહેરના કોઈ પણ સ્થળેથી શહેરીજનોને ૧૫ મિનિટના અંતરે યોગ સેન્ટર ઉપલબ્ધ થાય તેવું આયોજન છે. આ તમામ યોગ સેન્ટર ખાતે નિઃશુલ્ક (વિનામૂલ્યે) યોગ પ્રશિક્ષણ અને તાલીમ આપવામાં આવશે.

