New Delhi,તા.૧૫
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે ભારત મંડપમ ખાતે યુનાઈટેડ નેશન્સ ઈન્ટરનેશનલ ટેલિકોમ્યુનિકેશન યુનિયન (આઇટીયુ) દ્વારા આયોજિત વર્લ્ડ ટેલિકમ્યુનિકેશન સ્ટાન્ડર્ડાઈઝેશન એસેમ્બલી (ડબ્લ્યુટીએલએ)નું ઉદ્ઘાટન કર્યું હતું. આ ઉપરાંત તેમણે ઈન્ડિયા મોબાઈલ કોંગ્રેસની આઠમી આવૃત્તિનું પણ ઉદ્ઘાટન કર્યું. વર્લ્ડ ટેલિકોમ્યુનિકેશન્સ સ્ટાન્ડર્ડાઇઝેશન એસેમ્બલી (ડબ્લ્યુટીએલએ) કોન્ફરન્સ ચાર વર્ષના અંતરાલ પર યોજાય છે. તેમાં સ્વીકારવામાં આવેલી ભલામણો અને દરખાસ્તો સંચાર તકનીકોના વિકાસની દિશા નક્કી કરે છે.
પ્રથમ વખત આઇટીયુ ડબ્લ્યુટીએલએ ભારત અને એશિયા-પેસિફિકમાં હોસ્ટ કરવામાં આવી રહી છે. પીએમઓએ કહ્યું કે આ એક મહત્વપૂર્ણ વૈશ્વિક ઘટના છે જે ૧૯૦ થી વધુ દેશોના ૩,૦૦૦ થી વધુ ઉદ્યોગ નેતાઓ, નીતિ નિર્માતાઓ અને તકનીકી નિષ્ણાતોને એક પ્લેટફોર્મ પર એકત્ર કરવા જઈ રહી છે. આ નિષ્ણાતો ટેલિકોમ્યુનિકેશન, ડિજિટલ અને આઈસીટી સેક્ટરનું પ્રતિનિધિત્વ કરે છે.
અગાઉ, પીએમઓએ કહ્યું હતું કે,ડબ્લ્યુટીએલએ ૨૦૨૪ દરમિયાન, ઘણા દેશોના પ્રતિનિધિઓ ૬જી,એઆઇ,આઇઓટી, બિગ ડેટા અને સાયબર સિક્યોરિટી જેવી મહત્વપૂર્ણ નેક્સ્ટ જનરેશન ટેક્નોલોજીના ધોરણો અને ભવિષ્ય વિશે ચર્ચા કરશે.
આઈટીયુના અધિકારીએ જણાવ્યું હતું કે, ટેલિકોમ્યુનિકેશન વિભાગ દ્વારા સમર્થિત ઈન્ડિયા મોબાઈલ કોંગ્રેસની આઠમી આવૃત્તિનું પણ ડબ્લ્યુટીએલએ સાથે આયોજન કરવામાં આવશે. અનેક દેશોના પ્રદર્શકો, સ્ટાર્ટઅપ્સ વગેરેની સહભાગિતાના સંદર્ભમાં વાર્ષિક ઈન્ડિયા મોબાઈલ કોંગ્રેસનું કદ ગયા વર્ષ કરતાં લગભગ બમણું થઈ ગયું છે.
આઇએમસીના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર રામકૃષ્ણ પીએ જણાવ્યું હતું કે, આ વખતે આઇએમસી વધુ સારું બનવા જઈ રહ્યું છે, કારણ કે ગયા વર્ષની સરખામણીમાં વૈશ્વિક ભાગીદારી લગભગ બમણી થઈ ગઈ છે. આ વખતે ૧૨૦ થી વધુ દેશો ભાગ લે તેવી અપેક્ષા છે, જે એશિયાના સૌથી મોટા ટેક્નોલોજી એક્સ્પો તરીકે આઇએમસીની સ્થિતિને મજબૂત કરશે અને વૈશ્વિક ડિજિટલ ટ્રાન્સફોર્મેશનમાં એક મુખ્ય બળ બનશે.