rajkot, તા. 29
રાજકોટ મનપામાં વર્ષ-2024માં ચીફ ફાયર ઓફિસર તરીકે ફરજ બજાવતા ભીખાભાઇ જીવાભાઇ ઠેબાની ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડમાં જણાવેલ સંડોવણી બાદ અપ્રમાણસર મિલ્કતવાળા ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળના કેસથી સસ્પેન્ડ થતા ભુજ ખાતે ડિસ્ટ્રીકટ ફાયર ઓફિસર તરીકે ફરજ બજાવતા અનીલ બેચરભાઇ મારૂને રાજકોટના ચીફ ફાયર ઓફીસર તરીકે ફરજ સોંપાયેલ. તેઓની એક જ માસની ફરજ દરમ્યાન રૂા. 3 લાખના લાંચના કેસમાં રંગે હાથ પકડાઇ જતા રાજકોટની ખાસ અદાલતના જજ વી.એ.રાણાએ ચાર્જશીટ બાદની જામીન અરજી રદ કરેલ છે.
કેસની વિગત મુજબ તા. 28/05/2024ના રોજ ટીઆરપી ગેમઝોનમાં થયેલ અગ્નિકાંડ અંગે નોંધાયેલ કેસમાં પોલીસ તપાસ દરમ્યાન ટીપીઓ એમ.ડી.સાગઠીયા અને ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફીસર ભીખાભાઇ જીવાભાઇ ઠેબાની સંડોવણી અને ગેરરીતિઓ જણાઇ આવેલ હતી. ભીખાભાઇ ઠેબાની જગ્યાએ ભુજ ખાતે ડીસ્ટ્રીકટ ફાયર ઓફીસર તરીકે વર્ગ-2ના કર્મચારી અનિલ બેચરભાઇ મારૂને રા.મ્યુ. કોર્પો.માં ચીફ ફાયર ઓફિસરનો ચાર્જ સોંપવામાં આવેલ હતો.
વર્ગ-1ના કર્મચારી તરીકેનો આ ચાર્જ સંભાળ્યાના 4પ દિવસની અંદર ફાયર એન.ઓ.સી. આપવા માટે રૂા. 3 લાખની લાંચની માંગણી કરી રૂા. 1 લાખ 80 હજાર સ્વીકારતા રંગે હાથો પકડાઇ ગયેલ આરોપી અનિલ મારૂએ પોલીસ તપાસ પૂર્ણ થયા બાદ રેગ્યુલર જામીન અરજી રજુ કરેલ હતી જેમાં સરકાર તરફે જીલ્લા સરકારી વકીલ એસ.કે.વોરાએ રજુઆત કરેલ કે, અગ્નિકાંડ બાદ 4 માસના ગાળામાં લાંચના અને અપ્રમાણસર મિલ્કતના કેસોમાં મનપાના ત્રણ અધિકારી સંડોવાયેલ હોય ત્યારે છેલ્લે પકડાયેલ અનિલ મારૂની લાંચિયા વૃતિ અપ્રતિમ કહેવાય.
ઠેબા સામે અપ્રમાણસર મિલ્કતનો કેસ થયા પછી મારૂને ચાર્જ સોંપાતાની સાથે જ લાંચની અભુતપૂર્વ રકમનો કેસ બને ત્યારે ફાયર એનઓસી માટે લાંચ આપવી કાયદેસરનો નિયમ હોય તેવી સમજ પ્રજામાં ફેલાય છે. ચાર્જશીટ રજુ થઇ જવાથી કોઇ આરોપીને જામીન મળવાના સંજોગો બની જતા નથી. અનિલ મારૂની ચેમ્બરમાંથી લાંચની રૂા. 1 લાખ 80 હજારની ઉપરોકત રૂા. પ0 હજાર બીજા પણ મળી આવેલ હતા.
જે રકમ અનય કેસમાં લીધેલ લાંચની હોવાનું જણાવેલ હતું. આ રીતે હાલના આરોપીએ લાંચના ઉપરાઉપરી કેસો બનેલ હોવા છતાં લાંચ માંગવાનું ચાલુ રાખેલ છે. જામીન આપવા ન જોઇએ ખાસ કરીને જયારે અનિલ મારૂના પુરોગામી ભીખાભાઇ ઠેબાની પણ ચાર્જશીટ બાદની જામીન અરજી અદાલતે નામંજુર કરેલ હોય. સરકાર તરફેની આ રજુઆતોના અંતે ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફીસર અનિલ બેચરભાઇ મારૂની ચાર્જશીટ બાદની જામીન અરજી સ્પે. કોર્ટના જજે રદ કરેલ છે. આ કેસમાં સરકાર તરફે જીલ્લા સરકારી વકીલ એસ.કે.વોરા રોકાયેલ હતા.