SURAT,તા.7
સુરતના વડોદ વિસ્તારમાં સત્યનારાયણનગર ખાતે રહેતી એક મહિલાનું મકાન સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા કોઇપણ પ્રકારની કાયદેસર નોટિસ કે આગોતરી જાણ કર્યા વિના જમીનદોસ્ત કરવામાં આવતા મહિલાએ ગુજરાત હાઇકોર્ટમાં પિટિશન કરી હતી. ના દ્વાર ખખડાવ્યા છે.
અરજદાર મહિલા દ્વારા રિટમાં દાદ માંગવામાં આવી હતી કે, સુરત મનપા સત્તાવાળાઓના ખર્ચે અરજદારનું મકાન ફરી અસલ સ્થિતિમાં પૂર્વવત્ કરવામા આવે, ઇલેક્ટ્રીક, પાણીનું કનેકશન ફરી શરૃ કરવામાં આવે, ઉપરાંત મ્યુનિસિપલ કમિશનર દ્વારા આ સમગ્ર પ્રકરણમાં કસૂરવાર અધિકારીઓ વિરૃધ્ધ બે સપ્તાહમાં ખાતાકીય પગલાં લેવામાં આવે અને તેઓની વિરૃદ્ધ ફોજદારી રાહે કાર્યવાહી કરવામાં આવે. અરજદાર મહિલાએ સુરત મનપાના કસૂરવાર અધિકારીઓ પાસેથી રૃ.45 લાખનું વળતર અપાવવા પણ અરજીમાં દાદ માંગી હતી.
આ અરજીની સુનાવણી બાદ જસ્ટિસ મોના ભટ્ટે સુરત મ્યુનિસિપલ કમિશનર, ઉધના દક્ષિણ ઝોનના કાર્યપાલક ઇજનેર એસ.ડી.પ્રજાપતિ, નાયબ ઇજનેર પી.બી.ભોયા, આસીસ્ટન્ટ ઇજનેર ચંદ્રેશ પાટડિયા, ફેનીલ મહેતા, મયુર પટેલ વિરૃધ્ધ નોટિસ જારી કરી સમગ્ર મામલે જવાબ માંગ્યો છે.
અરજદાર સાધનાબહેન ઇશ્વરભાઇ બડગુજર દ્વારા કરાયેલી રિટ અરજીમાં રજૂઆત કરાઈ હતી કે, અરજદાર વડોદ વિસ્તારમાં ઉપરોકત સોસાયટીમાં પોતાના પતિ અને બે નાના બાળકો સાથે રહે છે., જેમાંથી એક સાત વર્ષનો તેમનો બાળક તો, ચાલી શકતો નથી, બોલી પણ શકતો નથી, જાતે ખાઇ શકતો નથી અને 96 ટકા શારીરિક અપંગતા ધરાવે છે.
અરજદારે વડોદ વિસ્તારમાં ઉપરોકત સોસાયટીમાં પ્લોટ નંબર-16 અને 17 બાંધકામ સહિત ખરીદયા હતા.બાદમાં સુરત મનપાના ટેકસ બીલમાં તેમનું નામ પણ ચઢાવ્યું હતું. પાણી કનેકશનની ફી પણ ભરી હતી અને પોતે ઇલેક્ટ્રીસીટી કનેકશન પણ ધરાવતા હતા. લગભગ એક વર્ષ પહેલાં જ અરજદારે સાડા નવ લાખ રૃપિયાના ખર્ચે રિનોવેશન કરાવ્યું હતું. ઘરની કિંમત હાલ રૂ।.30 લાખથી વધુની થવા જાય છે.
દરમ્યાન ગયા મહિને તા.1-10-2024ના રોજ ઉધના દક્ષિણ ઝોનના કાર્યપાલક ઇજનેર એસ.ડી.પ્રજાપતિ, નાયબ ઇજનેર પી.બી.ભોયા, આસીસ્ટન્ટ ઇજનેર ચંદ્રેશ પાટડિયા, ફેનીલ મહેતા, મયુર પટેલ સવારના સમયે તેમના ઘેર આવ્યા હતા અને અરજદાર તેમ જ તેમના બાળકોને ઘરમાંથી બહાર કાઢી મૂકયા હતા અને ઘરનો સામાન બહાર ફેંકી દીધો હતો. ત્યારબાદ કોઇપણ પ્રકારની કાયદેસર નોટિસ આપ્યા વિના કે આગોતરી જાણ કર્યા વિના જ સીધેસીધુ તેમના ઘર પર બુલડોઝર ચલાવી તેમનું આખુ મકાન જમીનદોસ્ત કરી નાંખ્યું હતું અને તેમને ઘરબાર વિનાના રસ્તા પર રઝળતા કરી મૂકયા હતા.
અરજદાર મહિલાએ અદાલતને જણાવ્યું કે, કયા કારણસર સુરત મનપાના અધિકારીઓએ આ પ્રકારનું અમાનવીય કૃત્ય આચર્યુ તેની હજુ તેમને ખબર નથી. કારણ કે, તેમને કોઇ નોટિસ જ અપાઇ નથી કે, આ બાબતની જાણ સુધ્ધાં કરાઇ ન હતી. અરજદારે આ સમગ્ર બનાવ અંગે પોલીસ ફરિયાદ પણ કરી હતી અને સુરત કલેકટર, સુરત મ્યુનિસિપલ કમિશનર, લોકપાલ, રાજયના ગૃહમંત્રી, રાષ્ટ્રીય મહિલા આયોગ સહિતના સત્તાવાળાઓને લેખિતમાં રજૂઆત કરી ન્યાયની ગુહાર પણ લગાવી હતી પરંતુ કયાંયથી ન્યાય નહી મળતાં અરજદારને હાઇકોર્ટના દ્વાર ખખડાવવાની ફરજ પડી છે.
સુરત મનપા સત્તાવાળાઓ દ્વારા અચાનક અને એકાએક આ પ્રકારે તેમનું લાખો રૃપિયાનું મકાન તોડી નંખાતા અને તેઓને ઘરબાર વિનાના કરી નંખાતા અરજદાર મહિલાના સમગ્ર કુટુંબની માનસિક અને શારીરિક હાલત બગડી ગઇ હોવાનો અને સમગ્ર પરિવાર ઉંડા આઘાતમાં ગરકાવ હોવા બાબતની હકીકત પણ હાઇકોર્ટના ધ્યાન પર મૂકાઇ હતી.