New Delhi,તા.28
દેશના ટોચના ઉદ્યોગગૃહ અદાણી સામે ભારતમાં લાંચ અને અમેરિકામાં રોકાણકારો સાથે છેતરપીંડી સહિતના આરોપોની ન્યુયોર્ક ફેડરલ કોર્ટમાં શરૂ થયેલી કાનુની કાર્યવાહીના ઘેરા રાજકીય પડઘા પડયા છે અને સંસદના શિયાળુ સત્રના પ્રથમ બે દિવસમાં અદાણી મુદે વિપક્ષોએ બન્ને ગૃહોના કામકાજ ખોરવ્યા બાદ હવે શું તે પ્રશ્ન છે તે સમયે હવે ‘ઈન્ડીયા’ ગઠબંધનમાં પણ અદાણી મુદો કેટલો ખેચવો તે પ્રશ્ન પૂછાવા લાગ્યા છે.
ખાસ કરીને તૃણમુલ કોંગ્રેસ અને તેના વડા મમતા બેનરજીએ સાથી પક્ષોને અદાણીથી આગળ વધીને અનેક પ્રશ્નો છે જે લોકોને સીધા સ્પર્શે છે તેને ઉપાડવા માટે જણાવ્યુ છે અને ખાસ કરીને કોંગ્રેસ તથા રાહુલ ગાંધીને ‘અદાણી’ મુદે જે રીતે સંસદની શેરી સુધીમાં આટલા લાંબા સમયથી ગજવ્યા બાદ શું હાંસલ થયું તે પ્રશ્ન પણ પૂછયા છે.
વિપક્ષો ખાસ કરીને કોંગ્રેસ પક્ષે બે દિવસના કામકાજમાં બન્ને ગૃહોએ અદાણી મુદે કામકાજ ખોરવ્યા છે. તૃણમુલ કોંગ્રેસ અને તેનો વિરોધ કરતા મણીપુર મુદે કેન્દ્રીત થવા સલાહ આપી છે. એક જ મુદા પર સંસદનું કામકાજ રોજ ઠપ્પ કરવી તે કેટલી યોગ્ય રણનીતિ છે તે પણ પ્રશ્ન તૃણમુલ કોંગ્રેસ પક્ષે ઉઠાવ્યા છે.
તૃણમુલ કોંગ્રેસે સ્પષ્ટ કહ્યુ કે, સંસદોનું કામકાજ આ મુદે ઠપ્પ થાય તે સ્વીકાર્ય નથી. તૃણમુલ કોંગ્રેસ સોમવારે જ આ મુદે વિપક્ષો સાથેની બેઠકમાં અન્ય મુદાઓ પર જોર આપવા કહ્યું હતું. ખાસ કરીને મણીપુરમાં સરકાર સાવ બિન્દાસ છે. રાજયના અનેક મહત્વના ખરડામાં પણ કેન્દ્ર સ્તરે અટકયા છે તેના પર પણ ચર્ચાની જરૂર હોવાનું તૃણમુલ કોંગ્રેસે જણાવ્યુ હતું.