New Delhi,તા.૪
દિલ્હીના નેબ સરાય વિસ્તારમાં ટ્રિપલ મર્ડરનો મામલો સામે આવ્યો છે. અજાણ્યા લોકો દ્વારા માતા, પિતા અને પુત્રીની હત્યા કરવામાં આવી હતી. ઘટના સમયે પુત્ર મોર્નિંગ વોક માટે ગયો હતો. જ્યારે તે પાછો આવ્યો ત્યારે તેણે જોયું કે ત્રણેયની હત્યા કરવામાં આવી છે. દિલ્હી પોલીસે જણાવ્યું હતું કે દક્ષિણ દિલ્હીના નેબ સરાય વિસ્તારમાં એક જ પરિવારના ત્રણ લોકોની જેમાં એક વ્યક્તિ, તેની પત્ની અને પુત્રીનો સમાવેશ થાય છે, તેમની ચાકુ મારીને હત્યા કરવામાં આવી હતી. પરિવારનો ચોથો સભ્ય તેમનો દીકરો બહાર ફરવા ગયો હતો. પોલીસ ઘટનાસ્થળે હાજર છે.
મૃતકોની ઓળખ રાજેશ (૫૩ વર્ષ), કોમલ (૪૭ વર્ષ) અને કવિતા (૨૩ વર્ષ) તરીકે થઈ છે. ત્રણેયની છરી વડે હત્યા કરવામાં આવી હતી. હત્યાનું કારણ હજુ સુધી બહાર આવ્યું નથી. દુષ્કર્મ આચર્યા બાદ બદમાશો ભાગી ગયા હતા. હાલ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.
પુત્ર સવારે ૫ઃ૦૦ વાગ્યે ફરવા નીકળ્યો હતો અને બુધવારે સવારે ૭ઃ૦૦ વાગ્યાની આસપાસ પાછો ફર્યો ત્યારે તેણે એક ભયાનક દ્રશ્ય જોયું. પરિવારના ત્રણ સભ્યોના મૃતદેહ જોઈને પુત્ર બેહોશ થઈ ગયો હતો. આ ઘટના કપલના લગ્નની વર્ષગાંઠ પર બની હતી. પોલીસને આશંકા છે કે હત્યા સવારે ૫ઃ૦૦ થી ૭ઃ૦૦ ની વચ્ચે થઈ હતી. અધિકારીઓએ મૃતદેહનો કબજો મેળવીને કેસની તપાસ શરૂ કરી છે.
આ પહેલા સોમવારે બહારી દિલ્હીના મંગોલપુરી વિસ્તારમાં એક ૧૯ વર્ષીય યુવકની નજીવી બાબતે થયેલા વિવાદ બાદ ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી. મૃતકની ઓળખ પંકજ તરીકે થઈ હતી. મૃતકના ભત્રીજાએ જણાવ્યું કે મંગોલપુરીના ’કે બ્લોક’ના ત્રણ લોકો સાથે પંકજની લડાઈ થઈ હતી. તેણે કહ્યું કે મને ખબર નથી કે તેઓ શા માટે લડતા હતા, પરંતુ જ્યારે મેં મારા કાકા (પંકજ)ને ત્યાં જોયા ત્યારે મેં દરમિયાનગીરી કરી. હુમલાખોરો પાસે પિસ્તોલ હતી. તેઓ તેમના પર ગોળીબાર કરીને ભાગી ગયા હતા. પોલીસે કહ્યું કે તેઓએ એફઆઈઆર નોંધી છે અને આરોપીઓને પકડવા માટે ઘણી ટીમો બનાવી છે.