Maharashtra,તા.૭
મહારાષ્ટ્રમાં નવી વિધાનસભાની રચના કરવામાં આવી છે. નવી રચાયેલી ૨૮૮ સભ્યોની વિધાનસભાનું ત્રણ દિવસીય વિશેષ સત્ર શનિવાર, ૭ ડિસેમ્બરથી શરૂ થયું હતું. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે વિધાનસભા સત્રના પહેલા દિવસે ગૃહના સભ્ય તરીકે શપથ લીધા. નાયબ મુખ્ય પ્રધાનો એકનાથ શિંદે અને અજિત પવારે પણ વિધાનસભાના સભ્યો તરીકે શપથ લીધા હતા.
બપોરે ૧૧ વાગે ગૃહની કાર્યવાહી શરૂ થઈ. આ પછી તરત જ, વિધાનસભાના પ્રોટેમ સ્પીકર કાલિદાસ કોલંબકરે ત્રણેય નેતાઓને ધારાસભ્ય તરીકેના શપથ લેવડાવ્યા હતા. પ્રોટેમ સ્પીકર ભાજપના વરિષ્ઠ ધારાસભ્ય છે. રાજ્યપાલ સી.પી. રાધાકૃષ્ણને તેમને પ્રોટેમ સ્પીકર એટલે કે અસ્થાયી પ્રમુખ તરીકે શપથ લેવડાવ્યા હતા.
શિવસેના યુબીટી નેતા આદિત્ય ઠાકરેએ કહ્યું કે આજે અમે નિર્ણય લીધો છે કે અમારા વિજેતા ધારાસભ્યો શપથ લેશે નહીં. જો આ જાહેર જનાદેશ હોત તો લોકોએ ખુશી અને ઉજવણી કરી હોત, પરંતુ લોકોએ આ જીતની ક્યાંય ઉજવણી કરી નથી. ચૂંટણીમાં ઉપયોગમાં લેવાતા ઈવીએમ અંગે અમને શંકા છે.
કાલિદાસ કોલંબકર મહારાષ્ટ્ર વિધાનસભાના સૌથી વરિષ્ઠ સભ્ય પણ છે. તેઓ ૯ વખત ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે. કાલિદાસ કોલંબકર મુંબઈની વડાલા સીટના ધારાસભ્ય છે. આ બેઠક તેમનો ગઢ છે. વિધાનસભાની કાર્યવાહી પણ પ્રોટેમ સ્પીકર દ્વારા ચલાવવામાં આવી રહી છે. મહારાષ્ટ્રમાં ૨૦ નવેમ્બરે વિધાનસભા ચૂંટણી યોજાઈ હતી. ૨૩ નવેમ્બરે ચૂંટણીના પરિણામો જાહેર થયા હતા. વિધાનસભાના કાયમી અધ્યક્ષની ચૂંટણી ૯ ડિસેમ્બરે યોજાશે. વિધાનસભાનું શિયાળુ સત્ર ૧૬ ડિસેમ્બરથી શરૂ થશે.
જેમાં ભાજપ, શિવસેના અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના મહાગઠબંધને ૨૮૮માંથી ૨૩૦ બેઠકો પર જબરદસ્ત જીત નોંધાવી હતી. મહારાષ્ટ્રમાં રચાયેલી નવી સરકારમાં, દેવેન્દ્ર ફડણવીસે મુખ્ય પ્રધાન તરીકે, એકનાથ શિંદે અને અજિત પવારે નાયબ મુખ્ય પ્રધાન તરીકે ૫ ડિસેમ્બરે શપથ લીધા હતા. મહારાષ્ટ્રમાં રચાયેલી નવી સરકાર ૧૫મી વિધાનસભાનો ભાગ છે.