Jam Khambhaliya, તા. 10
દ્વારકા નજીકના નાગેશ્વર વિસ્તારમાંથી આજથી આશરે એક પખવાડિયા પહેલા 24 જેટલા ડોમેસાઈલ ક્રેન (કુંજ-કરકરા) પક્ષીઓના મૃતદેહ એક છકડા રિક્ષામાં બિન વારસુ હાલતમાં મળી આવ્યા હતા. કુંજ- કરકરા પક્ષીઓનો શિકાર કરીને અજાણ્યા શિકારીઓ નાસી છૂટતા આ અંગે કરવામાં આવેલી કાર્યવાહીમાં પોલીસે ચાર આરોપીઓને ઝડપી લઇ, અદાલતમાં રજૂ કરતા અદાલતે આરોપીઓને જેલ હવાલે કરવાનો હુકમ કર્યો છે.
જામનગર મરીન નેશનલ પાર્કના મુખ્ય વન સંરક્ષક આર. સેન્થીલ કુમાર તથા નાયબ વન સંરક્ષક રાધીકા પરસાણાએ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ચાલતી વન્યજીવ શિકારની પ્રવૃતિ અટકાવવા માટે આપેલી સૂચનાના અનુસંધાને દ્વારકા મરીન નેશનલ પાર્કના તાલુકા વાઇલ્ડ લાઇફ વોર્ડન અને રેન્જ ફોરેસ્ટ ઓફીસર એન.પી. બેલા દ્વારા વિવિધ ટીમો બનાવીને દ્વારકા તાલુકાના ચરકલા, નાગેશ્વર, ભીમગજા, મીઠી-ખારી વિગેરે વિસ્તારોમાં થતા ગેરકાયદેસર ડોમેસાઇલ ક્રેન (કુંજ-કરકરા) પક્ષીઓના શિકારને રોકવા નાઈટ પેટ્રોલિંગની કામગીરી કરાવામાં આવતી હતી.
આ કામગીરી દરમિયાન ટીમને નાગેશ્વર ગામના ખેડુત દ્વારા મળેલી બાતમીના આધારે મીઠાપુર નજીક આવેલા ભીમગજા તળાવ પાસેથી છકડો રીક્ષા વાહન નંબર GJ-37-U- 0660 ના પાછળના ભાગમાંથી બે કોથળામાં ભરેલા ચોવીસ ડોમેસાઇલ ક્રેન (કુંજ-કરકરા) પક્ષીના મૃતદેહો મળી આવ્યા હતા પરંતુ. આ સ્થળેથી પક્ષીના શિકારીઓ અંધારાનો લાભ લઈને નાસી છૂટ્યા હતા. આ પ્રકરણના અનુસંધાને તારીખ 23 નવેમ્બરના રોજ વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમ વિગેરે અન્વયે અજાણ્યા શિકારીઓ વન્યજીવ અપરાધનો ગુનો નોંધવામાં આવ્યો હતો.
આ ગુનામાં રીક્ષા છકડો મૂકીને નાસી છૂટેલા આરોપીઓ સબીર ઉમર ઉઢાએ દ્વારકામાં ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ સમક્ષ આગોતરા જામીન અરજી કરતા વન્યજીવ સંરક્ષણ અધિનીયમ તથા સુપ્રીમકોર્ટ, હાઇકોર્ટ દ્વારા આપવામાં આવેલા વખતો વખતના ચુકાદાઓ સાથે રેન્જ ફોરેસ્ટ ઓફિસર એન.પી. બેલાએ સરકાર તરફે સોગંદનામું રજુ કરતા જિલ્લા સરકારી વકીલ લાખાભાઈ ચાવડાએ વિવિધ દલીલો કરતા જણાવ્યું હતું કે કુંજ-કરકરા પક્ષી દુર-દુરથી આ વિસ્તારમાં આવતા હોય, આપણા મહેમાન કહેવાય. આ પક્ષીનો શિકાર કરવો એ ગંભીર પ્રકારનો ગુનો છે. તેવી ધારદાર દલીલોબે ઘ્યાને લઇ, નામદાર ડિસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ જજ શ્રી કે.જે. મોદી દ્વારા આરોપીઓના આગોતરા જામીન રદ કરતો ચુકાદો આપ્યો હતો.
આ પ્રકરણના આરોપીઓ સબિર ઉમર ઉઠા, યુસુબ સુલેમાન ઢોકી, ગુલામ જાકુબ ઇસબાની અને જુસબ ઇસ્માઇલ ભેંસલીયાની પોલીસે ધોરણસર કરી, ઓખાની કોર્ટમાં રજુ કરતા સરકાર તરફે દ્વારકાના રેન્જ ફોરેસ્ટ ઓફિસર એન.પી. બેલાની ઉપસ્થિતિમાં સરકારી વકીલ માજીરાણા દ્વારા આરોપીઓએ વન્યજીવ શિકારનો ગંભીર પ્રકારનો સંગઠીત અપરાધ આચાર્યો હોય, હાલ આ ગુનાની તપાસ ચાલુ હોવાથી આરોપીઓને જામીન મુકત નહી કરવા સહિતની દલીલોને ગ્રાહ્ય રાખીને ઓખા કોર્ટના જ્યુ. મેજી. શ્રી પી.એસ. રાય દ્વારા આરોપીઓની જામીન નામંજુર કરતો ચુકાદો આપવામાં આવ્યો હતો. જેથી તમામ આરોપીઓને જામનગર જિલ્લા જેલ હવાલે કરવામાં આવ્યા હતા.
આ સમગ્ર પ્રકરણથી દ્વારકા વિસ્તારમાં પશુ-પક્ષીઓઓના શિકારની પ્રવૃતિ સાથે સંકળાયેલા શખ્સોમાં ફફડાટ વ્યાપી ગયો છે. આ કામગીરી તાલુકા વાઇલ્ડ લાઈફ વોર્ડન અને રેન્જ ફોરેસ્ટ ઓફીસર એન.પી. બેલાની રાહબરી હેઠળ રાઉન્ડ ફોરેસ્ટ ઓફિસર એસ.જી. કણજારીયા, કુ. યુ.પી. સાદીયા, વનરક્ષક એન.જે. ગાગીયા, કે.એન.ભરવાડ, પી.એલ.બૈડીયાવદરા, વિનોદભાઈ ડાભી, છગનભાઈ ગોડેશ્વર, ઇબ્રાહીમભાઈ શમા, માયાભાઈ માતંગ અને કિશનભાઈ માતંગ દ્વારા કરવામાં આવી હતી.