હું જેલમાં ગયો ત્યારથી ખબર નથી ભાજપે શું-શું કર્યું, દિલ્હીના લોકોને લાખો રૂપિયાના પાણીના બિલ આવ્યા : કેજરીવાલ
New Delhi, તા. ૪
દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણીને આડે હવે બહુ દિવસો બાકી રહ્યા નથી. આ પહેલા પૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટી (AAP)ના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે આજે શનિવારે મોટી જાહેરાત કરી છે, તેમણે કહ્યું છે કે, જો છછઁની સરકાર બનશે તો પાણીના તમામ ખોટા બિલો માફ કરવામાં આવશે.
અમારી સરકાર દિલ્હીમાં મફત પાણી ઉપલબ્ધ કરાવી રહી છે, ૨૦૦૦૦ લીટર પાણી ફ્રી મળે છે, જ્યારથી હું જેલમાં ગયો ત્યારથી ખબર નથી તેઓએ (ભાજપ) શું-શું કર્યું, દિલ્હીના લોકોને લાખો રૂપિયાના પાણીના બિલ આવ્યા છે. જ્યારે ફરી આમ આદમી પાર્ટીની સરકાર આવશે ત્યારે જેમને ખોટા પાણીના બિલ મળ્યા છે તેમને ચૂકવવાની જરૂર રહેશે નહીં, ચૂંટણી પછી તેમના આ ખોટા બિલ માફ કરી દેવામાં આવશે એ તમામ લોકોને આ મારું વચન છે, આ મારી ગેરંટી છે.
દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી કેજરીવાલે કહ્યું કે, કોંગ્રેસને ગંભીરતાથી લેવાની જરૂર નથી કારણ કે જનતાએ કોંગ્રેસ પાર્ટીને ગંભીરતાથી લેવાનું બંધ કરી દીધું છે.
રાજધાનીમાં પંજાબની મહિલાઓના વિરોધને લઈને કેજરીવાલે કહ્યું કે, પંજાબની તમામ મહિલાઓ આમ આદમી પાર્ટી સાથે છે, તેમને અમારા પર વિશ્વાસ છે. આ પ્રદર્શન કોંગ્રેસ અને ભાજપના લોકો કરી રહ્યા છે. તેમણે કહ્યું કે, હવે કોંગ્રેસ અને ભાજપે ઔપચારિક રીતે જાહેરાત કરવી જોઈએ કે તેઓ સાથે ચૂંટણી લડી રહ્યા છે. ગુપ્ત રીતે અને પીઠ પાછળ ગઠબંધન કરવું યોગ્ય નથી.
કેજરીવાલે એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, ભાજપ પાસે હજુ સુધી ન તો સીએમ ચહેરો છે, ન તો કોઈ નેરેટિવ છે, ન કોઈ વિઝન છે કે તેઓ દિલ્હી માટે શું કરશે. તેમણે ૧૦ વર્ષમાં કોઈ કામ કર્યું નથી. ભાજપ માત્ર આમ આદમી પાર્ટીને અપશબ્દો કહીને ચૂંટણી જીતવા માંગે છે. અમે લોકોને કહી રહ્યા છીએ કે અમે છેલ્લા ૧૦ વર્ષમાં આ કામો કર્યા છે, અમે આ કામો આગામી ૫ વર્ષમાં કરીશું, અમારા કામના આધારે અમને વોટ આપો, જ્યારે ભાજપ કહે છે કે, અમે છેલ્લા ૧૦ વર્ષમાં છછઁને અપશબ્દો કહ્યા છે અને આગામી ૫ વર્ષ પણ છછઁને અપશબ્દો કહીશું.