New Delhi,તા.7
ચીનમાં ફેલાયેલા હ્યુમન મેન્ટાન્યુમો વાયરસ (એચએમપીવી)ની ભારતમાં એન્ટ્રી થવા સાથે સંક્રમણ વધવા લાગ્યુ છે.ત્યારે કેન્દ્ર સરકારે વાયરસથી ગભરાવવાની કોઈ જરૂર ન હોવાનું સ્પષ્ટ કર્યું છે.આ વાયરસ નવો નથી. સંક્રમિત બાળકો ઝડપથી સાજા થઈ રહ્યા છે. બેંગ્લોરની ત્રણ માસની બાળકીને તો હોસ્પીટલમાંથી રજા પણ આપી દેવામાં આવી છે. મહત્વની વાત એ ચે કે વાયરસથી સંક્રમિત થયેલા બાળકોએ કોઈ વિદેશ પ્રવાસ પણ કર્યો નથી.
એચએમપીવી વાયરસ વિશે વિશ્વ આરોગ્ય સંગઠન દ્વારા ચીનની સ્થિતિ વિશે સમયાંતરે અપડેટ આપવામાં આવી જ રહ્યા છે. કેન્દ્ર સરકારે કહ્યું કે, આઈસીએમઆર આખુ વર્ષ વાયરસના સરકયુલેશનના ટ્રેન્ડ પર નજર રાખશે. ભારતીય આરોગ્ય વિભાગ ઈન્ફલુએન્ઝા તથા શ્વાસના રોગોમાં સંભવીત વધારા સામે એલર્ટ છે અને ગમે તેવી સ્થિતિનો સામનો કરવા માટે તૈયાર છે.
સરકારે એવુ પણ જાહેર કર્યુ છે કે આ કોઈ નવી બિમારી નથી. સંક્રમિતોની સંખ્યામાં કોઈ અસામાન્ય વધારો નથી આ વાયરસથી સંક્રમિત વ્યકિતને શરદી-ઉધરસ અંગે સામાન્ય તાવ જેવા લક્ષણો હોય છે.માત્ર લક્ષણના આધારે તે સંક્રમિત છે કે કેમ તે કહેવુ મુશ્કેલ છે. કારણ કે ફલુ તથા ઈન્ફલુએન્ઝામાં પણ સમાન લક્ષણ હોય છે.
આરટીપીસીઆર ટેસ્ટથી વાયરસના આરએનએની ઓળખ થઈ શકે છે. એન્ટીજન ટેસ્ટથી તત્કાળ પરિણામ મળી શકે છે. લક્ષણોનાં આધારે વહેલીતકે સારવાર શકય બનશે.
નિષ્ણાંતોના કહેવા પ્રમાણે શિયાળાની સીઝનમાં રેસ્પીરેટરી વાયરસનો ચેપ વધતો હોય છે. રેસ્પીરેટરી વાયરસના જેટલા કેસ આવે છે તે જ પેટર્ન પર હાલ કેસ માલુમ પડી રહ્યા છે. એચએમપીવી વાયરસ પણ એક સામાન્ય રેસ્પીરેટરી વાયરસ જ છે જેના માટે કોઈ ખાસ રસી કે એન્ટીવાયરસ દવા નથી.