New Delhi,તા.07
ભારતમાં ગઈકાલથી દેખાયેલા HMPV- વાયરસમાં કર્ણાટક અને ગુજરાતમાં ત્રણ કેસ નોંધાયા બાદ વધુ પાંચ કેસ નોંધાતા અનેક રાજયોમાં એલર્ટની સ્થિતિ છે. કર્ણાટકના બેંગાલુરૂ ઉપરાંત મહારાષ્ટ્રમાં નાગપુર, તામિલનાડુના ચેન્નઈ અને પશ્ર્ચીમ બંગાળમાં પણ આ વાયરસનો એક કેસ નોંધાયો છે. ચીનમાં ખૂબ ઝડપથી ફેલાઈ રહેલા વાયરસમાં બેંગલુરુમાં 2, ગુજરાતમાં એક અને તામિલનાડુમાં 2 અને નાગપુરમાં એક કેસની પુષ્ટી થઈ છે અને પ.બંગાળમાં પણ એક કેસ નોંધાયા છે.
જો કે બીજી તરફ હવે આ વાયરસના ટેસ્ટીંગ માટેની સુવિધા પણ શરૂ કરવા નિર્ણય લેવાયા અને તેની ટેસ્ટ કિટ રૂા.1000થી 1500માં તૈયાર છે. તામિલનાડુ સરકારે જાહેર કર્યુ છે કે એચએમપીવી વાયરસના બે કેસ નોંધાયા છે. એક ચેન્નઈ અને એક સાલેમમાં આ વાયરસથી પીડીત દર્દી સારવાર હેઠળ છે.
આ વાયરસને રાજય સરકારે સેલ્ફ લીમીટીંગ ગણાવતા ઉમેર્યુ કે થોડા દિવસમાં તેની અસર ખત્મ થઈ જશે. નાગપુરમાં એક કેસ હોવાથી મહારાષ્ટ્ર સરકારે પુષ્ટી કરી છે. જો કે તે દર્દીનું સ્વાસ્થ્ય હાલ સ્થિર હોવાની જાહેરાત થઈ છે. ગુજરાતમાં કોઈ નવો કેસ નોંધાયો નથી. પ.બંગાળમાં પાંચ માસના બાળકને આ વાયરસનું ઈન્ફેકશન હોવાનું જાહેર થયુ છે.
તામિલનાડુમાં પણ બે બાળકો આ વાયરસથી સંક્રમીત બન્યા છે. આમ દેશના પાંચ રાજયોમાં કુલ 8 કેસ નોંધાયા છે પણ હજુ સુધી કોઈ મૃત્યુના અહેવાલ નથી. નેશનલ સેન્ટર ફોર ડીસીસ કંટ્રોલ દ્વારા આ વાયરસ સામે તમામ પ્રકારની દવા અને સારવાર ઉપલબ્ધ હોવાનું જાહેર કરીને લોકોને ગભરાટમાં નહી રહેવા અપીલ કરાઈ છે.