Anand,તા.૭
આણંદમાં એકના ડબલ આપવાની લાલચ આપી ઠગાઇનો મામલો સામે આવ્યો છે. જેમાં લુણાવાડાના એનઆરઆઇને વિદ્યાનગરના શખ્સે ૧.૩૦ કરોડનો ચુનો લગાવ્યો હોવાનું બહાર આવ્યું છે. તપાસમાં એનઆરઆઇ અવાર-નવાર બાકરોલ આવતા ઠગ સાથે મુલાકાત થઈ હોવાનું જણાયું હતું. વિદ્યાનગરના આ ઠગે પોતાની ઓળખ અવિવાહિત સાધક તરીકે આપી હતી.
એનઆરઆઇને વિશ્વાસમાં લઈ ઓળખાણ બાદ ઊંચું વળતર અને એકના ડબલની લાલચ આપી હતી. તપાસમાં મિલન ઉર્ફે નિશ્ચિત મનુભાઈ પટેલ નામના શખ્સે એનઆરઆઇને ચુનો લગાવ્યો હોવાનું બહાર આવ્યું છે. જેમાં લુણાવાડાના એનઆરઆઇ કલ્પેશ પટેલે ૧.૩૦ કરોડ રોકાણ માટે આપ્યા હતા. બાદમાં જ્યારે એનઆરઆઇએ ૧.૩૦ કરોડની ઉઘરાણી કરતા શખ્સે હાથ અધ્ધર કરી દીધા હતા. એટલું જ નહી એનઆરઆઇને ખોટા કેસોમાં ફસાવી દેવાની ધમકી પણ આ શખ્સે આપી હતી.આખરે વિદ્યાનગર પોલીસે મિલન પટેલ વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. આ અંગે ક્રાઈમ બ્રાંચે વધુ તપાસ હાથ ધરી છે.