Mahisagar ,તા.૭
મહીસાગરના ખાનપુર તાલુકામાં ધોરણ ૩ માં અભ્યાસ કરતા ૮ વર્ષીય પિયુષ હરીશભાઈ મછારનું કૂતરા કરડવાથી સારવાર દરમિયાન મૃત્યુ થયું છે. દીકરાને સારવાર માટે ૫ હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યો છતાં તેને બચાવી શકાયો નહીં. માહિતી મુજબ આ કૂતરાએ અન્ય ૧૪ લોકોને પણ કરડ્યું હતું. મૃતકના પિતા ખેતી કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. તેના કાકાએ જણાવ્યું કે, લગભગ ૨૦ થી ૨૨ દિવસ પહેલા શાળાએ જતી વખતે પિયુષ પર એક કૂતરાએ હુમલો કર્યો હતો. જેમાં તેને માથા અને પગમાં ગંભીર ઈજાઓ થઈ હતી.
પિયુષ ઘાયલ થતાં તેને સારવાર માટે ખાનપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં લઈ ગયા હતા, પરંતુ ત્યાં રસી ઉપલબ્ધ ન હતી. તેથી તેને પહેલા બાકોર સામુદાયિક આરોગ્ય કેન્દ્ર, પછી લુણાવાડા સિવિલ હોસ્પિટલ અને અંતે ગોધરા સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં પિયુષને રસી અને સારવાર આપવામાં આવી હતી. જોકે, બાળકની હાલત વધુ ખરાબ થતાં, તેને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં સારવારના ૨ દિવસની ટૂંકી સારવારમાં જ તેનું મૃત્યુ થયું છે.