થોડા વર્ષો પહેલા નૃત્યવિદ્દ મૃણાલિની સારાભાઈનું અવસાન થયું અને એમની ઈચ્છાનુસાર પુત્રી મલ્લિકા સારાભાઈએ માતાને નૃત્યાંજલિ આપી. એ સમયની તસવીર તરત જ સોશિયલ મીડિયામાં વહેતી થઈ ગઈ. બીજા દિવસે બધા અખબારોમાં પણ એ તસવીર છપાઈ. ખરેખર તો એ દિવસે એક ઘટના નહોતી બની, ઘણું બધુ એક સાથે બની ગયું. ગુજરાતની એક ગૌરવશાળી પ્રતિભાનું અવસાન થયું હતું. બીજું, લોકોએ કદી ન જોઈ હતી એ પ્રકારની નૃત્યાંજલિની તસવીરો દેખાઈ. આ બધાની સાથે પાછું મલ્લિકા સારાભાઈને અંગત રીતે થયેલું દુઃખ તે અલગ. બધુ બહુ ઝડપથી અને બહુ વિચિત્ર રીતે બની ગયું. મને તો સમજાયું જ નહીં કે આમાં કઈ વાત સૌથી વધુ મહત્ત્વની હતી? એક વિખ્યાત ગુજરાતી પ્રતિભાનું અવસાન? એમને આપવામાં આવેલી અનોખા પ્રકારની અંજલિ? કે પછી મલ્લિકા સારાભાઈને અંગત રીતે થયેલી દુઃખ અને આઘાતની લાગણી?
TV અને Social Mediaના કારણે લોકોના જીવના અનેક પાસાં બદલાઈ ગયા છે. આપણી સમજણ અને આપણી સંવેદનાઓના માપદંડ પણ કદાચ બદલાઈ ગયા છે. આમ તો આપણા જીવનમાં બનતી સુખદ કે દુઃખદ ઘટના પ્રત્યેની આપણી પ્રતિક્રિયા સ્પોન્ટેનિયસ એટલે કે સ્વંયસ્ફૂરીત હોય છે. વિદેશમાં રહેતા આપણા કોઈ સગાંએ મોટી સિદ્ધિ મેળવી એના સમાચાર મળે ત્યારે આપણને તરત જ ખુશી થઈ જાય છે. મોઢામાંથી એ અનુસારના ઉદગાર નીકળી જાય છે. TV પર ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં જીત મળે કે તરત મન ઝૂમી ઊઠે છે. ક્યારેક આસપાસનું ભાન રાખ્યા વિના આપણે ચિલ્લાઇ ઊઠીએ છીએ. એ જ રીતે કોઈ માઠાં સમાચાર મળે કે ત્યારે આપણને જે દુઃખ કે આઘાત લાગે એ એકદમ ત્વરીત હોય છે. સૌથી અગત્યની વાત તો આપણને આસપાસનું કોઈ ભાન નથી રહેતું.
હવે Social Media અને Televisionને કારણે આખી વાત બદલાઈ ગઈ છે. TV ચેનલોનો ધંધો ચોવીસ કલાક ચાલુ રહેતો હોય છે એટલે ગમે એવી સારી કે ખરાબ ઘટના બને કે તરત તેઓ ત્યાં પહોંચી જાય છે અને પછી TVના news રિપોર્ટરોની આવડત અનુસાર ત્યાંનું ઈમોશનલ રિપોર્ટિંગ શરૂ થાય છે. કઈ ઘટનાને કઈ રીતે કવર કરવી એની કોઈ આચારસંહિતા news ચેનલોએ ઘડી નથી અને એટલે ક્યારેક ટ્રેજડી કોમેડી બની જાય છે અને કોમેડી ટ્રેજડીમાં ફેરવાઈ જાય છે.
જોકે આમાં ન્યૂઝ ચેનલો કે રિપોર્ટરોનો વાંક કાઢવાનો પણ કોઈ અર્થ નથી. હકીકત એ છે કે જે સામાજિક પરિવર્તન આકાર લઈ રહ્યું છે એની કોઈ ખાસ નોંધ નથી લેતું અને એ વિશે કોઈ અભ્યાસ પણ નથી કરતું. મૂળ પ્રશ્ન એ છે કે ખરેખરી લાગણી અને TV પર વ્યક્ત થતી લાગણી વચ્ચે કોઈ સંબંધ ખરો? અને હોય તો એ કેટલો?
મોટે ભાગે ખુશીની ઘટના બને અને એની જ્યારે કેમેરા સામે અભિવ્યક્તિ થાય એમાં બહુ ફરક નથી પડતો. જેમ કે ભારતીય ક્રિકેટ ટીમ વર્લ્ડ કપ જીતે ત્યારે ક્રિકેટ ચાહકોને જે ખુશી થઈ હોય એ ક્ષણ અને થોડા સમય પછી ટીવી કેમેરા સામે ક્રિકેટ ચાહકો પ્રાણીઓ જેવા ચહેરા કરીને જે ચિચિયારી કરે એ બંનેમાં ખાસ ફરક ન હોય. રમતગમતમાં કે શૈક્ષણિક બાબતમાં સંતાને મેળવેલી સિદ્ધિ વિશે પેરન્ટ્સ ટીવી પર ગૌરવ સાથે વાત કરે ત્યારે પણ એવી કોઈ કુત્રિમતા લાવવાની જરૂર ન પડે, કારણ કે પેરન્ટ્સના મનમાં આવા ગૌરવની લાગણી લાંબા સમય સુધી ટકી રહેતી હોય છે.
સમસ્યા ત્યારે થાય છે જ્યારે કોઈ દુઃખદ ઘટના બને અને એની સાથે સંકળાયેલી વ્યક્તિઓએ ટીવી કેમેરા સામે એ વિશેની લાગણી વ્યક્ત કરવાની હોય. દેશમાં રોજબરોજ અનેક કરુણાંતિકાઓ સર્જાતી હોય છે અને એના લીધે અનેક લોકોના જીવનમાં દુઃખના પહાડ તૂટી પડતા હોય છે. અનેક લોકો અનાથ બની જતા હોય છે, ખુવાર થઈ જતા હોય છે અને કંઈ કેટલાયના જીવન બરબાદ થઈ જતા હોય છે. આમાંની મોટા ભાગનાની કોઈ નોંધ નથી લેતું, પરંતુ ટીવી ન્યૂઝને લાયક હોય એવા લોકોના દુઃખ ન્યૂઝ ચેનલો પર પ્રસારીત થાય છે.
હું એ સમજવાનો પ્રયત્ન કરી રહ્યો છું કે દુઃખ કે આઘાતની જે લાગણી ઘટના બની ત્યારે અથવા એના સમાચાર મળ્યા ત્યારે થઈ હોય એવી જ લાગણી ફરીથી, ટીવી કેમેરાની સામે ઉદ્ભવી શકે ખરી? આવો પ્રશ્ન ઊઠાવીને હું કોઈને દંભી કહેવા નથી માંગતો કે નથી કોઈની નિષ્ઠા પર શંકા કરીને એમની લાગણી દુભવવા માગતો, પણ મારા મનમાં એક ઉત્સુકતા છે.
સાવ જ ગરીબ કે અશિક્ષિત લોકોની સાથે જ્યારે આવું બને ત્યારે પણ એમને ટીવી કેમેરાની સામે બેસાડતા પહેલા થોડી ઘણી સમજણ આપવામાં આવે છે. અમુક સમજણ ન્યૂઝ ચેનલવાળા આપે છે તો શું બોલવું અને શું ન બોલવું એની અમુક સમજણ એમના નજીકના સગાં અથવા હિતેચ્છુઓ આપતા હોય છે. સલમાન ખાનનો હીટ એન્ડ રનનો કેસ ચાલતો હતો ત્યારે ટીવી પરની ગંભીર ચર્ચમાં ભાગ લેવા ઘણીવાર અકસ્માતનો ભોગ બનેલાના સગાં આવતા હતા. મેં જેટલી વાર એમને જોયા ત્યારે તેમને એક જ વાત બોલતા સાંભળ્યા હતા કે જે થઈ ગયું એ થઈ ગયું. અમે ગરીબ છીએ. અમને પૈસા મળે એવી વ્યવસ્થા કરો. સલમાન ખાન જેલમાં જાય કે ન જાય (એટલે કે ન્યાય થાય કે ન થાય) એની સાથે અમને કોઈ નિસ્બત નથી.
બીજી તરફ નિર્ભયાના માતાપિતા, ખાસ તો એની માતા જેવી વ્યક્તિ છે, જે ટીવી પર જેટલી વાર આવે એટલી વાર જાણે ગઈ કાલે જ દુર્ઘટના બની હોય એટલી કરુણ રડતી દેખાતી હતી. અહીં પણ એમની દીકરી સાથે જે થયું એની બહુ જ આઘાતજનક હતું એ આપણે સ્વીકારીએ છીએ, પરંતુ એક વર્ષ વિતી ગયા પછી માણસની લાગણી થોડી તો ઠંડી પડે. કહેવાય છે કે દુઃખનું ઓસડ દહાડા. દુઃખ ભલે પૂર્ણપણે દૂર ન થાય, પણ ઓછું તો જરૂર થાય. નિર્ભયા કેસના એક આરોપીને જુવેનાઈલ એક્ટ હેઠળ મુક્ત કરવામાં આવ્યો ત્યારે હોબાળો મચ્યો હતો.
આખી વાત જોકે મજાકમાં કાઢવા જેવી નથી. ટીવી કેમરા સામે લાગણી વ્યક્ત કરવાનું વ્યવસાયીકરણ થઇ રહ્યું છે. લોકો ઈચ્છે ત્યારે કેમેરાની સામે રડવા લાગ્યા છે. ક્યારેક એમાં કોઈ રાજકીય હેતુ હોય છે તો ક્યારેક નાણાંકીય હેતુ. ક્યારેક દુઃખદ ઘટનાનો ભોગ બનેલા લોકોનું શોષણ થાય છે અને પછી એ જ લોકો આ કળામાં પારંગત બની જાય છે. આ કળા ધીમે ધીમે બધા શીખી રહ્યા છે. અસલી અને નકલી રૂદન વચ્ચેનો ફરક ટીવી પર ભૂલાઇ રહ્યો છે. આ ફરક ટીવી દર્શકો સમજતા થાય એ જરૂરી છે.
Trending
- આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
- Bhavnagar: જેસરમાં આભ ફાટ્યું, 4 કલાકમાં 7 ઈંચ વરસાદ,અમદાવાદમાં વરસાદ શરૂ
- Bhavnagar: શહેર અને જિલ્લામાં 25 દિવસમાં કોરોનાના 52 કેસ નોંધાયા
- Bhavnagar: યુવાનની અંતિમવિધિ કરાઈ, પુત્ર સાથે પરિવારના સપના પણ ભસ્મીભૂત
- 198 પંચાયતમાં 286 સભ્ય અને એક સરપંચની બેઠક માટે કોઈ ઉમેદવાર નહીં
- Bhavnagar: શિવાજી સર્કલ નજીકથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો
- Bhavnagar: સાસરે જઈ પતિએ પત્ની અને ભાભીને છરીના ઘા ઝીંકી દીધા
- Surendranagar: થાનના વિરાટનગરના મકાન પર વીજળી પડતા આગ ભભૂકી
Related Posts
Add A Comment