મશરૂમ ક્લાઉડ્સનો સંબંધ સામાન્ય રીતે પરમાણુ વિસ્ફોટ હોય છે. ગત દિવસોમાં ઓપરેશન સિંદૂર દરમ્યાન પરમાણુ પ્રતિષ્ઠાનને નિશાનો બનાવવાની અટકળો પણ વહેતી થઈ. આ અટકળો વચ્ચે ફેક ન્યૂઝ, પ્રોપેગેંડા અને ત્યાં સુધી કે મીડિયાના એક હિસ્સા દ્વારા ફેલાવાઇ રહેલી અફવાઓનો સ્ફિોટ ચોક્કસ જોવા મળ્યો. ભારત અને પાકિસ્તાન વચ્ચે સૈન્ય ટકરાવ અટકવાને તમે જે નામ આપો તે, પરંતુ તેના એક પખવાડિયા બાદ પણ જાતજાતની કહાનીઓ તરી રહી છે. પોતપોતાની કહાનીઓ સાચી ગણાવવાનું અભિયાન ચાલુ છે. લોકો પણ પોતાની રુચિ અને ઝોક અનુસાર તેમને માન્યતા આપી રહ્યા છે. જ્યારે સીમાની બંને તરફ જ્યાં એક પછી એક પ્રહાર થઈ રહ્યા હતા, એ જ દરમ્યાન અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની એકાએક પોસ્ટ પ્રગટ થઈ કે તેમણે બંને દેશો વચ્ચે ચાલતા ટકરાવને બંધ કરાવી દીધો છે. તેને લઈને પણ અટકળો-અનુમાન ચરમ પર રહ્યા કે પડદા પાછળ આખરે શું થયું કે એકાએક આવી સ્થિતિ બની ગઈ? એવા દાવા-પ્રતિદાવા વચ્ચે સંભવ છે કે સચ્ચાઈ ક્યારેય બહાર ન આવે. તેમ છતાં પોતપોતાનું નરેટિવ બનાવવાનો ઉન્માદી દોર જોવા મળ્યો. આ દરમ્યાન આંતરરાષ્ટ્રીય મીડિયાએ સ્વાભાવિક રીતે જ પોતાની સગવડિયા વૈચારિક દાનત દેખાડી. આ ‘સગવડિયા’ દાનતને ભારત વિરોધી ગણી લેવી!
જોવામાં આવે તો સંચારના મોરચે પાકિસ્તાનના પડકારો ભારતની તુલનામાં ઘણા આસાન હતા. કારણ કે ત્યાં દરેક પાસાની જેમ વિમર્શની રૂપરેખા નક્કી કરવા પર પણ સેનાનું જ નિયંત્રણ છે, તેથી તેના માટે જીતની ઘોષણા કરવાની જ બાકી હતી. પછી ચાહે તેના માટે રાફેલને તોડી પાડવાનું જૂઠ્ઠાણું જ કેમ ન ચલાવવું પડે! એ જૂઠ્ઠાણું તેણે ચલાવ્યું પણ ખરું અને તેને પોતાની મતાંધ જનતા અને દુનિયાભરમાં ફેલાયેલા એવા જ લોકોને પીરસવામાં પણ આવ્યું. આ જ દરમ્યાન સેના પ્રમુખને ફીલ્ડ માર્શલની પદવી આપીને પોતાના કપોળકલ્પિત આખ્યાનને માન્યતા આપવાનો પ્રયાસ કર્યો. ત્યાં સુધી કે આ જીતનું જશ્ન મનાવવા માટે સમારોહ અને દાવતો પણ યોજવામાં આવી, જેમાં વપરાતી તસવીરો પણ જૂઠ્ઠી જ નીકળી. આ મામલે ભારતનું કામ ક્યાંય વધારે જટિલ હતું. પહેલા ત્રણ દિવસ સુધી માહિતીના પ્રવાહને અનુકરણીય ધૈર્ય અને કુશળ પ્રબંધન દ્વારા સંભાળવામાં આવ્યું. પછી અચાનક અમેરિકાના મનમોજી રાષ્ટ્રપતિની સંઘર્ષ વિરામની ઘોષણા અને મધ્યસ્થામાં અમેરિકી ભૂમિકાનો દાવો સ્તબ્ધકરનારો હતો. તેણે ભારતીય સત્તા પ્રતિષ્ઠાનને હતપ્રભ કરી દીધા, કારણ કે તેણે સફાઈ આપવી પડી કે તેમાં ત્રીજા પક્ષનો કોઈ હસ્તક્ષેપ નથી. પાકિસ્તાનના સંદર્ભે દાયકાઓથી ભારતની એ જ નીતિ રહી છે કે ત્રીજા પક્ષની દખલ માટે કોઈ સ્થાન નથી. સામાન્ય નાગરિકો પણ યુદ્ઘની દુંદુભિ શાંતિ પડવાથી અવાક રહી ગયા, જે એમ માની ચૂક્યા હતા કે સીમા પાર આતંકવાદને આ વખતે એવો પાઠ ભણાવવામાં આવશે કે તે ફરીથી માથું ઊંચકવાનું દુઃસાહસ ન કરે. જનતા દીર્ઘકાલીન સમાધાનની આશા રાખતી હતી. સ્પષ્ટ છે કે સરકાર ધારણાના મોરચે કંઇક માત ખાઈ ગઈ. શંકાની પ્રકૃતિ ભારતીયોના ડીએનએમાં સમાયેલી છે અને તેમને તેની ક્યાંય વધારે ચિંતા રહે છે કે બાકી દુનિયા આપણા વિશે શું વિચારે છે. આ જ કારણ છે કે આંતરરાષ્ટ્રીય છબિને લઈને ભારતીયો ઘણા આગ્રહી છે. તેમાં અંગ્રેજોના સમયનો ભૂતકાળની પણ ભૂમિકા છે. જ્યારે શંકા વિપક્ષી દળો અને તેના ઇકોસિસ્ટમ દ્વારા વધારવામાં આવે છે તો જનતાના મન પર ક્યાંકને ક્યાંક તેનો પડઘો પડેે છે. તેને જોતાં સરકારે સાંસદો-વિશેષજ્ઞોેના પ્રતિનિધિમંડળ દુનિયાભરમાં મોકલવાનો નિર્ણય લીધો કે જે વૈશ્વિક સ્તર પર ભારતનો પક્ષ રજૂ કરે. તેને સ્પષ્ટ સમજી શકાય છે કે સર્જિકલ સ્ટ્રાઇક-એર સ્ટ્રાઇકની તુલનામાં ઓપરેશન સિંદૂર ઘણી મોટી સૈન્ય કાર્યવાહી હતી. તેમાં ભારતે ના માત્ર પાકિસ્તાનની અંદર સુધી હુમલા કર્યા, બલ્કે બચાવ મામલે પણ અદ્ભૂત દૃષ્ટાંત સ્થાપ્યું.

