Maharashtra,તા.17
મહારાષ્ટ્રના સંભાજીનગરમાં સ્થિત ઔરંગજેબની કબરનો વિવાદ વકર્યો છે. અયોધ્યામાં બાબરી મસ્જીદના ધોરણે કારસેવા કરીને આ કબરનો નાશ કરી દેવા વિશ્વહિન્દુ પરિષદે એલાન કર્યુ છે. છત્રપતિ શિવાજી મહારાજની જયંતિએ ઔરંગજેબની કબરનો નાશ કરવાનુ જોર કરાયુ છે.
વિશ્વ હિન્દુ પરિષદના રાષ્ટ્રીય પ્રવકતા વિનોદ બંસલે કહ્યું કે, આજે શિવાજી મહારાજની જયંતિ છે. તેઓએ હિંદથી સ્વરાજય તથા તેની રક્ષા માટે પોતાની ત્રણેય પેઢી દાવ પર લગાવીને મુગલ સામ્રાજયના પાયા હચમચાવી નાખ્યા હતા.
હવે દેશમાં ‘સ્વ’ની સ્થાપના તથા ગુલામીના ચિહનો-માનસિકતા નામશેષ કરવાનો સમય આવી ગયો છે. ઔરંગજેબ પછી તેની કબરનો પણ નાશ થવો જોઈએ. સમગ્ર મહારાષ્ટ્રમાંથી ઔરંગજેબની પ્રતિમા હટાવવા સરકાર સમક્ષ માંગ કરવામાં આવી છે.
સંભાજીનગરમાં ઔરંગજેબની કબર છે. તેઓએ સંભાજી મહારાજની ઘણી યાતના આપી હતી એટલે તેની કબર ન હોવી જોઈએ. કારસેવા કરીને તે હટાવવાની પણ ધમકી આપવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ફિલ્મ છાવા તથા સપા ધારાસભ્ય અબુ આઝમીના નિવેદન બાદ આ કબર ફરી ચર્ચા-વિવાદમાં આવી હતી. ઉલ્લેખનીય છે કે મરાઠા સામ્રાજય સામેની લડાઈમાં ઔરંગજેબનુ મોત નિપજયુ હતું. તે વખત મુગલ શાસક મહારાષ્ટ્રમાં ડેરો નાખીને બેઠો હતો. મોત બાદ તેની સંભાજીનગરમાં દફનવિધિ થઈ હતી અને મકબરો હાલ ભારતીય પુરાતત્વ વિભાગ પાસે સંરક્ષિત છે.