New Delhi,તા.29
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શુક્રવારે વહેલી સવારે મ્યાનમાર અને થાઇલેન્ડમાં આવેલા વિનાશક ભૂકંપ અંગે ચિંતા વ્યક્ત કરી હતી અને તેમણે આ આફતથી પ્રભાવિત લોકોની સલામતી અને સુખાકારી માટે હૃદયપૂર્વક પ્રાર્થના કરી. તેમણે ખાતરી આપી કે ભારત આ મુશ્કેલ સમયમાં મ્યાનમાર અને થાઇલેન્ડની સરકારો અને લોકોને શક્ય તમામ સહાય પૂરી પાડવા માટે તૈયાર છે.
X પરની એક પોસ્ટમાં પીએમ મોદીએ લખ્યું:- “મ્યાનમાર અને થાઇલેન્ડમાં આવેલા ભૂકંપને પગલે ઉભી થયેલી પરિસ્થિતિથી ચિંતિત છું. દરેકની સલામતી અને સુખાકારી માટે પ્રાર્થના કરું છું. ભારત શક્ય તમામ સહાય આપવા માટે તૈયાર છે. આ સંદર્ભમાં, અમારા અધિકારીઓને તૈયાર રહેવા જણાવ્યું છે. વિદેશ મંત્રાલય ને મ્યાનમાર અને થાઇલેન્ડની સરકારો સાથે સંપર્કમાં રહેવા પણ કહ્યું છે.”શુક્રવારે થાઈલેન્ડની રાજધાની બેંગકોકમાં 7.7ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યો, જેણે શહેરની ઇમારતોને હચમચાવી દીધી અને લોકોમાં ભયનો માહોલ પેદા કર્યો છે. શક્તિશાળી ભૂકંપ બાદ બેંગકોકમાં ઈમરજન્સી જાહેર કરાઈ છે. થાઈલેન્ડના વડાપ્રધાને ઈમરજન્સી અંગે સત્તાવાર જાહેરાત કરી છે.