Gandhinagar, તા.5
શિક્ષણ બોર્ડ દ્વારા ફેબ્રુઆરી-માર્ચ મહિનામાં લેવામાં આવેલી ધો.12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાનું 83.51 ટકા અને સામાન્ય પ્રવાહનું 93.07 ટકા જેવું ઉદાર પરિણામ આવ્યું છે. ગત વર્ષે સાયન્સનું પરિણામ 82.45 ટકા અને કોમર્સનું પરિણામ 91.93 ટકા હતું. જેમાં આ વર્ષે સરેરાશ બે-બે ટકા જેટલો વધારો થયો છે.
ધો.12 સાયન્સની પરીક્ષા 162 કેન્દ્રો પરથી 110395 વિદ્યાર્થીઓએ આપી હતી. જે પૈકી 83987 વિદ્યાથીર્ર્ઓ પાસ થયા છે. વિજ્ઞાન પ્રવાહમાં 83.79 ટકા વિદ્યાર્થી અને 83.20 ટકા વિદ્યાર્થીનીઓ ઉતીર્ણ થઇ છે.
રાજયમાં સૌથી ઉંચુ પરિણામ ગત વર્ષની જેમ આ વર્ષે પણ મોરબી જિલ્લાનું જ 92.91 ટકા આવ્યું છે. તો સૌથી ઓછું પરિણામ 54.48 ટકા દાહોદ જિલ્લાનું આવેલુ છે. કેન્દ્રોમાં સૌથી વધુ પરિણામ ગોંડલનું 96.60 ટકા અને સૌથી ઓછું દાહોદનું પ4.48 ટકા આવ્યું છે.
ધો.12 વિજ્ઞાનમાં એ-1 ગ્રેડના સૌથી વધુ છાત્રો સુરતમાં 247 છે. આ સિવાય અમરેલી જિલ્લામાં 15, કચ્છમાં 17, જામનગર 17, જુનાગઢ 24, ભાવનગર 35, મોરબી 47, રાજકોટ 86, સુરેન્દ્રનગર 12, પોરબંદર 2, બોટાદ 4, દ્વારકા 2, ગીર સોમનાથ પાંચ વિદ્યાર્થી નોંધાયા છે.
સાયન્સમાં 100 ટકા પરિણામ ધરાવતી શાળાઓ ગત વર્ષે 127 હતી જે આ વર્ષે વધીને 194 થઇ છે. તો 10 ટકાથી ઓછું પરિણામ ધરાવતી શાળાની સંખ્યા 27માંથી વધીને 34 થઇ છે. એ-1 ગ્રેડમાં છાત્રો ઘટયા છે, ગત વષે 1034 અને આ વર્ષે 831 નોંધાયા છે. તો એ-2 ગ્રેડમાં પણ છાત્રો ઘટીને 8083 થયા છે.
અંગ્રેજી માધ્યમનું પરિણામ 83.49 ટકા અને ગુજરાતી માધ્યમનું પરિણામ 83.77 ટકા આવ્યું છે. એ ગ્રુપના છાત્રોનું પરિણામ 91.90 ટકા, બી ગ્રુપનું 78.74 ટકા, એ-બી ગ્રુપનું 73.68 ટકા પરિણામ આવ્યું છે.
સામાન્ય પ્રવાહના પરિણામ પર નજર કરીએ તો આ પરીક્ષામાં નોંધાયેલા 362506 પૈકી 337387 વિદ્યાર્થી પાસ થયા છે. સૌથી વધુ પરિણામ બનાસકાંઠા જિલ્લાનું 97.20 ટકા અને સૌથી ઓછું વડોદરા જિલ્લાનું 87.77 ટકા આવ્યું છે. મીઠાપુર કેન્દ્રનું પરિણામ 100 ટકા છે. તો સૌથી ઓછું પરિણામ ખાવડા કેન્દ્રનું 52.56 ટકા છે.
કોમર્સમાં 100 ટકા પરિણામવાળી શાળા ગત વર્ષે 1609 અને આ વર્ષે વધીને 2005 થઇ છે. 10 ટકાથી ઓછા પરિણામવાળી સ્કુલ 21 છે. વિદ્યાર્થીઓનું પરિણામ 90.78 ટકા અને વિદ્યાર્થીનીઓનું 95.23 ટકા આવ્યું છે.
કોમર્સના એ-1 ગ્રેડમાં આવેલા વિદ્યાર્થીઓની સંખ્યા પર નજર કરીએ તો સૌથી વધુ એ-1 ગ્રેડના છાત્રો સુરતમાં 1672 છે. તે બાદના ક્રમે રાજકોટ જિલ્લાના 841, ભાવનગરના 327 અને મોરબી જિલ્લાના 191 છે. અમરેલી જિલ્લાના 84, કચ્છના 150, જામનગરના 184, સુરેન્દ્રનગરના 116, પોરબંદરના 26, બોટાદના પર, દ્વારકાના 26, ગીર સોમનાથના 71 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે.