Chhattisgarh’,તા.૭
છત્તીસગઢના બીજાપુરથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. છત્તીસગઢ-તેલંગાણા સરહદ પર બીજાપુર જિલ્લામાં કરેગુટ્ટા ટેકરીઓ પાસે ચાલી રહેલા એન્કાઉન્ટરમાં સુરક્ષા દળોએ ૧૫ થી વધુ નક્સલીઓને ઠાર માર્યા છે, એમ એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું. આ કાર્યવાહી મિશન સંકલ્પ હેઠળ કરવામાં આવી છે.
એપ્રિલમાં પણ આ જ જંગલમાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં ત્રણ નક્સલીઓ માર્યા ગયા હતા. તમને જણાવી દઈએ કે છત્તીસગઢ-તેલંગાણા સરહદ પર કરેગુટ્ટાની ટેકરીઓ પર સુરક્ષા દળોએ નક્સલવાદીઓ વિરુદ્ધ એક મોટું ઓપરેશન શરૂ કર્યું છે. આ અભિયાનનો ઉદ્દેશ નક્સલવાદનો અંત લાવવાનો છે.
એક મહિના પહેલા જ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું હતું કે, ‘નક્સલમુક્ત ભારત બનાવવા તરફ એક મોટું પગલું ભરતા, ભારતે ડાબેરી ઉગ્રવાદથી સૌથી વધુ પ્રભાવિત જિલ્લાઓની સંખ્યા ૧૨ થી ઘટાડીને ૬ કરીને એક નવો સીમાચિહ્ન હાંસલ કર્યો છે.’ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઠ પર એક પોસ્ટમાં, કેન્દ્રીય ગૃહમંત્રી શાહે કહ્યું, ‘મોદી સરકાર સર્વાંગી વિકાસ માટે અવિરત પ્રયાસો અને નક્સલવાદ સામે મક્કમ વલણ સાથે એક મજબૂત, સુરક્ષિત અને સમૃદ્ધ ભારતનું નિર્માણ કરવા માટે કટિબદ્ધ છે.’ અમે ૩૧ માર્ચ, ૨૦૨૬ સુધીમાં નક્સલવાદને સંપૂર્ણપણે જડમૂળથી ઉખેડી નાખવા માટે પ્રતિબદ્ધ છીએ.