Hyderabad,તા.૨૩
ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીનના વડા અસદુદ્દીન ઓવૈસીએ ગુરુવારે વકફ સુધારા કાયદા સામે આકરા પ્રહારો કર્યા. ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ દ્વારા આયોજિત મહિલાઓના વિરોધ પ્રદર્શનમાં સામેલ ઓવૈસીએ કહ્યું કે વકફ સુધારા કાયદાની આડમાં મુસ્લિમોની જમીન છીનવી લેવાનું કાવતરું ઘડવામાં આવી રહ્યું છે. ઓવૈસીએ કહ્યું, આરએસએસ પાસે એક યાદી છે જે કલેક્ટરને આપવામાં આવશે અને જો કલેક્ટર ફક્ત તપાસ લખશે, તો અમારી જમીન છીનવી લેવામાં આવશે.’ અસદુદ્દીન ઓવૈસી સતત વક્ફ સુધારા કાયદાનો વિરોધ કરી રહ્યા છે અને કેન્દ્ર સરકાર પર નિશાન સાધી રહ્યા છે.
ઓવૈસીએ કેન્દ્ર સરકાર પર પ્રહાર કરતા કહ્યું, ’આ કાળો કાયદો આપણી મસ્જિદો, દરગાહ અને ઇમામબારાઓ છીનવી લેવા માટે બનાવવામાં આવ્યો છે. જો કોઈ મુસ્લિમ આદિવાસી હોય, તો તે તેની મિલકત વકફ કરી શકશે નહીં. આ વિચિત્ર છે. આવા કાયદા બનાવીને મુસ્લિમોની સંપત્તિ છીનવી લેવાના પ્રયાસો થઈ રહ્યા છે. આ કાયદામાં કહેવામાં આવ્યું છે કે સંસદની સામેની મસ્જિદ વકફ મિલકત નહીં હોય પરંતુ સરકારની મિલકત બનશે. આખરે ભાજપે આવો કાયદો કેમ બનાવ્યો? તેમણે મુસ્લિમો પ્રત્યેની નફરતના આધારે આ કાયદો બનાવ્યો છે. આ કાયદો વકફનું રક્ષણ કરશે નહીં.
વકફ સુધારા કાયદા સામેની લડાઈ ચાલુ રાખવાની જાહેરાત કરતા ઓવૈસીએ કહ્યું, ’જ્યાં સુધી આ કાળો કાયદો પાછો ખેંચવામાં નહીં આવે ત્યાં સુધી અમારો વિરોધ ચાલુ રહેશે.’ પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાનો ઉલ્લેખ કરતા,એઆઇએમઆઇએમ સુપ્રીમોએ સરકાર પાસેથી કડક કાર્યવાહીની માંગ કરી. તેમણે કહ્યું, ’પહલગામમાં થયેલા હુમલાને એક મહિનો થઈ ગયો છે. અમે સરકારને અપીલ કરીએ છીએ કે તે ૪ આતંકવાદીઓને પકડે જેમણે અમારી બહેનોને વિધવા બનાવી દીધી. તમને જણાવી દઈએ કે હૈદરાબાદમાં આયોજિત આ વિરોધ પ્રદર્શનમાં સેંકડો મહિલાઓએ ભાગ લીધો હતો અને વક્ફ સુધારા કાયદાને મુસ્લિમ સમુદાયના અધિકારો પર હુમલો ગણાવ્યો હતો.