Mumbai,તા.10
બોલિવૂડ ડિરેક્ટર વિશાલ ભારદ્વાજની માસ્ટરપીસ ફિલ્મ ‘ઓમકારા’ને રિલીઝ થયાને 20 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે. આજે પણ આ ફિલ્મને હિન્દી સિનેમાના ઇતિહાસની સૌથી શ્રેષ્ઠ અને કલ્ટ ક્લાસિક ફિલ્મોમાં ગણવામાં આવે છે. આ ફિલ્મમાં ‘લંગડા ત્યાગી’ના નકારાત્મક પાત્રમાં અભિનેતા સૈફ અલી ખાને જે ધારદાર અભિનય કર્યો હતો, તેને ફેન્સ અને વિવેચકો આજે પણ યાદ કરે છે. આ દરમિયાન સૈફ અલી ખાને આ ફિલ્મ સાથે જોડાયેલો એક એવો ચોંકાવનારો કિસ્સો શેર કર્યો છે, જેને જાણીને સિનેમાપ્રેમીઓ આશ્ચર્યચકિત થઈ જશે.તાજેતરમાં આપેલા એક સ્પેશિયલ ઇન્ટરવ્યૂમાં સૈફે ખુલાસો કર્યો કે ફિલ્મના એક અત્યંત મહત્ત્વના અને પાવરફુલ દૃશ્યના શૂટિંગ દરમિયાન નિર્દેશક વિશાલ ભારદ્વાજે તેમને પૂછ્યું હતું કે શું તેઓ આ સીન કપડાં વગર એટલે કે ન્યૂડ થઈને કરવા માટે તૈયાર છે?
ઇન્ટરવ્યૂ દરમિયાન સૈફ અલી ખાને એ જૂની ચર્ચા પર પણ મહોર લગાવી, જેમાં કહેવામાં આવતું હતું કે લંગડા ત્યાગીનું આ આઇકોનિક પાત્ર પહેલા આમિર ખાનને ઓફર કરવામાં આવ્યું હતું. સૈફે જણાવ્યું કે, “હા, વિશાલજીએ મને વાત કરી હતી કે આમિર આ પાત્ર ભજવવા માટે ઘણો ઉત્સુક હતો, પરંતુ તે સ્ક્રિપ્ટ અને કેરેક્ટરને લઈને ખૂબ જ સવાલો પૂછતો હતો અને વાર્તામાં કેટલીક બાબતો પોતાના હિસાબે બદલવા માંગતો હતો. જોકે, વિશાલજી વાર્તાના મૂળ હાર્દને તે દિશામાં લઈ જવા નહોતા માંગતા. તેથી આખરે તેમણે મને ફોન કરીને આ રોલ ઓફર કર્યો, જે મારા કરિયરનો ટર્નિંગ પોઈન્ટ સાબિત થયો.”
ઉલ્લેખનીય છે કે સૈફ અલી ખાન છેલ્લે સુપરહિટ ફિલ્મ ‘કર્તવ્ય’માં પાવરફુલ રોલમાં જોવા મળ્યા હતા, પરંતુ ‘ઓમકારા’ના લંગડા ત્યાગીએ હિન્દી સિનેમાના વિલનની વ્યાખ્યા કાયમ માટે બદલી નાખી હતી.

