Mumbai,તા.10
બોલિવૂડના જાણીતા અભિનેતા રાજપાલ યાદવ અત્યારે કાયદાકીય મુશ્કેલીઓના ભારે વમળમાં ફસાયા છે. દિલ્હી હાઈકોર્ટે શુક્રવારે એક મોટો ચુકાદો આપતા ચેક બાઉન્સના વિવિધ કેસોમાં રાજપાલ યાદવની સજાને યથાવત રાખી છે.કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે કાયદો બધા માટે સમાન છે, પછી ભલે તે વ્યક્તિ ગમે તેટલી જાણીતી સેલિબ્રિટી કેમ ન હોય.જસ્ટિસ શર્માએ ચુકાદો સંભળાવતા રાજપાલ યાદવને દરેક કેસમાં 3 મહિનાની સાદી જેલની સજા ફટકારી છે. રાહતની વાત માત્ર એટલી છે કે આ તમામ સજાઓ એકસાથે ચાલશે, એટલે કે એક્ટરે કુલ 3 મહિના જેલમાં વિતાવવા પડશે.દિલ્હી હાઈકોર્ટના જસ્ટિસ સ્વર્ણ કાંતા શર્માએ આ કેસની સુનાવણી કરતા જણાવ્યું હતું કે અગાઉની બેન્ચે આ મામલાને ગુણવત્તાના આધારે સ્વીકારવાની અનિચ્છા દર્શાવી હતી, પરંતુ રાજપાલ યાદવે કોર્ટ સમક્ષ નિવેદન આપ્યું હતું કે તેઓ આ વિવાદનો સૌહાર્દપૂર્ણ રીતે ઉકેલ લાવવા ઈચ્છે છે. આ આશ્વાસનને ધ્યાનમાં રાખીને કોર્ટે તેમના પ્રત્યે નરમાશ અને ઉદારતા દાખવી હતી. જો કે, વારંવાર તક આપવા છતાં રાજપાલ યાદવ કોર્ટને આપેલા વચનો અને સમાધાનની શરતોનું પાલન કરવામાં નિષ્ફળ રહ્યા હતા. કોર્ટે નોંધ્યું કે કાર્યવાહીના અંતે તો યાદવે ફરિયાદીને વધુ કોઈ ચૂકવણી કરવાનો સ્પષ્ટ ઈનકાર કરી દીધો હતો.રાજપાલ યાદવ: 3 મહિનાની જેલ, દરેક કેસમાં 1.05 કરોડ રૂપિયા + વધારાના 1 કરોડ 4 લાખ 75 હજાર રૂપિયા
રાધા યાદવ (પત્ની): દરેક કેસમાં 5 કરોડ 51 હજાર 380 રૂપિયાઆ અગાઉ કોર્ટે રાજપાલ યાદવને જેલમાં મોકલવાનો ઈનકાર કર્યો હતો કારણ કે તેમણે ફરિયાદીને નોંધપાત્ર રકમ ચૂકવી દીધી હતી અને તેમની સજા મોકૂફ રાખવાનો વચગાળાનો આદેશ સમયાંતરે લંબાવવામાં આવતો હતો. પરંતુ કોર્ટને આપેલા વચનોનો વારંવાર ભંગ થતાં 2 ફેબ્રુઆરીએ કોર્ટે તેમને જેલ સત્તાવાળાઓ સમક્ષ સરન્ડર કરવાનો આદેશ કર્યો હતો.
કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં વીઆઈપી કલ્ચર પર પ્રહાર કરતા કહ્યું હતું કે, કોઈ વ્યક્તિ માત્ર કોઈ ખાસ બેકગ્રાઉન્ડ અથવા ફિલ્મ ઈન્ડસ્ટ્રીથી સંબંધ ધરાવે છે એટલા માટે જ કોર્ટ તેના માટે કોઈ વિશેષ પરિસ્થિતિઓ ઊભી કરે કે નરમાશ રાખે તેવી અપેક્ષા રાખી શકાય નહીં.
જસ્ટિસ શર્માએ એ પણ સ્પષ્ટ કર્યું કે આ કેસની સુનાવણી દરમિયાન અત્યાર સુધીમાં 2.25 કરોડ રૂપિયા ફરિયાદી કંપની ‘M/s Murli Projects Pvt. Ltd.’ ને ચૂકવવામાં આવ્યા છે અને મુક્ત કરવામાં આવ્યા છે. આ રકમને બાકી નીકળતા દંડ અને વળતરની ગણતરી કરતી વખતે યોગ્ય રીતે મજરે આપવામાં આવશે.

