New Delhi,તા.21
અમદાવાદ વિમાન દુર્ઘટના બાદ ડીજીસીએએ વિમાન સુરક્ષાને લઈને મોટી કાર્યવાહી શરૂ કરી દીધી છે. ડીજીસીએએ વિમાની સુરક્ષાને લઈને સખ્ત નિર્દેશ જાહેર કર્યા છે. એર ઈન્ડિયાના ત્રણેય અધિકારીઓને પદ પરથી હટાવવાનું કહ્યું છે.
ડીજીસીએએ એર ઈન્ડિયાના ડિવિઝનલ વાઈસ પ્રેસીડેન્ટ સહિત તેના ત્રણેય અધિકારીઓને ચાલકદળનું ટાઈમટેબલ અને રોસ્ટરીંગ સંબંધીત બધી ભૂમિકાઓ અને જવાબદારીથી હટાવવાનો આદેશ આપ્યો છે.
નાગરિક વિમાનને મહાનિર્દેશાલય (ડીજીસીએ) એ 20 જૂને પોતાના આદેશમાં એર ઈન્ડિયાને આ અધિકારીઓ સામે વહેલી તકે આંતરિક અનુશાસનાત્મક કાર્યવાહી શરૂ કરવાનું પણ કહ્યું. ડીજીસીએના આદેશ મુજબ ત્રણ અધિકારીઓમાં એરલાઈનનો એક ડિવિઝનલ વાઈસ પ્રેસીડેન્ટ પણ સામેલ છે.
ડીજીસીએએ એર ઈન્ડિયાને 10 દિવસમાં રિપોર્ટ આપવાનું કહ્યું છે. ડીજીસીએએ (નાગરિક વિમાનના મહાનિદેશાલય)એ એર ઈન્ડિયાના એકાઉન્ટેબલ મેનેજરને કારણ બતાવો નોટિસ જાહેર કરી છે.
નોટિસમાં કહેવામાં આવ્યુ છે કે, એર ઈન્ડિયાના એકાઉન્ટેબલ મેનેજરે 16 મે 2025 અને 17 મે 2025ના બેંગ્લુરુથી લંડન (એએલ 133) માટે બે-ઉડાનો સંચાલીત કરી હતી. જેમાંથી બન્નેએ 10 કલાકની નિર્ધારિત ઉડાન સમય સીમાને પાર કરી લીધી હતી. ડીજીસીએએ અધિકારીઓને 7 દિવસમાં જવાબ દેવાનું કહ્યું છે કે ભંગ બદલ શા માટે કાર્યવાહી ન કરવામાં આવે.
આ પહેલા નાગરિક વિમાનના મહાનિર્દેશાલય (ડીજીસીએ)એ ત્રણ એરબસ વિમાનોના ઈમરજન્સી ઉપકરણોની તપાસ માટે નિર્ધારિત તારીખથી વધુ સમય હોવા છતા ઉડાન ભરવા પર એર ઈન્ડિયાને સુરક્ષાના નિયમોના ભંગ માટે ચેતવણી આપી હતી.
ડીજીસીએએ આ મુદાને હલ કરવામાં ધીમી ગતિથી કામ કરવા માટે પણ ફટકાર લગાવી હતી. આ મામલો મે મહિનામાં એર ઈન્ડિયાના ત્રણ એર બસ વિમાનોની તપાસ સાથે જોડાયેલો છે.
ડીજીસીએના રિપોર્ટ મુજબ ઘટનાસ્થળે કરવામાં આવેલી તપાસમાં જાણવા મળ્યુ છે કે અસ્કેપ સ્લાઈડસના મહત્વપૂર્ણ ઈમરજન્સી ઉપકરણો પર ફરજીયાત ઈન્સ્પેકશનના નિર્ધારિત સમયથી વધુ સમય થવા છતા તેનું સંચાલન કરવામાં આવ્યું હતું.
એક તપાસમાં બહાર આવ્યું હતું કે, એરબસ એ320 જેટનું ઈન્સ્પેકશન 15 મે ના કરવાના પહેલા એક મહિનાથી વધુ સમય સુધી મોડું રહ્યું. એરનેવ રડાર ડેટાથી ખબર પડે છે કે વિલંબ દરમિયાન વિમાને દુબઈ, રિયાધ અને જેદા જેવા આંતરરાષ્ટ્રીય ડેસ્ટીનેશનો માટે ઉડાનો ભરી હતી.