Amreli,તા.૨૦
અમરેલીના ખાંભા તુલસીશ્યામ રેન્જના રબારીકા ગામે સિંહે વૃદ્ધ પર હુમલો કર્યો. રબારીકા ગામે વૃદ્ધ ઘરમાં સૂતા હતા અને સિંહે હુમલો કર્યો. રવજીભાઈ સેંજલિયા નામના વ્યક્તિ પર મોડી રાતે સિંહે હુમલો કર્યો. હુમલાથી વૃદ્ધને માથાના ભાગે સામાન્ય ઈજા થતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા છે.
રબારીકા ગામે સિંહે વૃદ્ધ પર હુમલો કર્યાના સમાચાર સામે આવતા જ વન વિભાગ રબારીકા ગામે પહોંચ્યું અને તપાસ હાથ ધરી છે. અગાઉ પણ ખાંભાના ચતુરી ગામમાં પાંચ વર્ષના જિયાનનું સિંહના હુમલામાં મોત થયું હતું. ખાંભાના ડેડાણ ગામે પણ છેલ્લા ત્રણ દિવસથી સિંહણ લોકોની પાછળ દોડતી હોવાનું સામે આવ્યું છે. અત્રે જણાવવાનું કે તાજેતરમાં સિંહના હુમલાના ઘણા કેસો સામે આવ્યા છે જેમાં અનેક લોકોના મોત પણ નિપજ્યા છે. જેને લીધે આ વિસ્તારોમાં રહેતા લોકોની ચિંતા વધી છે.
જે એશિયાઈ સિંહ માણસોના મિત્ર જેવા ગણાતા હતા અને માણસ તથા સિંહ સાથે સાથે રહેતા હતા ત્યારે અચાનક એવું તે શું થયું છે કે સિંહો હવે માણસો પર હુમલા કરવા લાગ્યા છે? સવા મહિનામાં જ હુમલામાં સાત લોકોના મોત નિપજ્યા છે. હાલમાં જ ગિરનાર ચડતા એક બાળક પર સિંહે હુમલો કરીને ફાડી ખાધો.
૧૨ જૂને ઘંટિયાળમાં ૭ વર્ષના બાળકનું મોત
૧૫ જૂને જૂનાસાવરમાં મોત
૧૬ જૂને કોવાયામાં ૨૯ વર્ષના પ્રકાશચંદ્રનું મોત
૧૭ જૂને ગઢડામાં નાગજી ગુજરિયાનું મોત
૨૪ જૂને ચતુરીમાં ૫ વર્ષના બાળકનું મોત
૬ જુલાઈએ ઠવીમાં રાજુ વાઘેલા પર હુમલો
૯ જુલાઈએ અંટાળિયામાં સોહીલ મેમણનું મોત
૧૧ જુલાઈ ગીરનાર પર મયુરસિંહ મહેન્દ્રસિંહનું મોત
૧૨ ઓક્ટોબર સુધીનો સમય સિંહો માટે મેટિંગ પિરિયડ ગણાય છે. એટલે કે સંવનન કાળ. આ સમય દરમિયાન સિંહોના શરીરમાં હોર્મોન્સમાં ફેરફાર થતા હોય છે. જેના કારણે તેઓ ખુબ ગુસ્સામાં પણ રહેતા હોય છે. તેઓ સામાન્ય રીતે મનુષ્ય પર હુમલો કરતા નથી પરંતુ જો પજવણી થાય તો જીવલેણ હુમલો કરી શકે છે.

