જીજ્ઞેશ પટેલ Manavadarતા.૨૦
માણાવદરથી ૧૫ કિ.મી. દુર આવેલ સાતલપુરની ધારે એક અત્યંત અમાનવીય અને કમકમાટીભરી ઘટના સામે આવી છે. અહીં કોઈ અજ્ઞાત અસામાજિક તત્વો દ્વારા એક અબોલ નંદી મહારાજ પર કુહાડી વડે જીવલેણ અને ઘાતકી હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલો એટલો ભયાનક હતો કે કુહાડી આખેઆખી નંદીના શરીરમાં ખૂંપી ગઈ હતી. ઘટનાને પગલે સમગ્ર પંથકના ગૌપ્રેમીઓ અને સ્થાનિક લોકોમાં ભારે અરેરાટી સાથે રોષની લાગણી વ્યાપી ગઈ છે.
આ ઘટના અંગે માણાવદર તાલુકાના ગૌરક્ષક પ્રમુખ લાખાભાઈ રાવલિયાને સાતલપુરની ધારેથી ફોન દ્વારા માહિતી મળી હતી કે એક નંદી લોહીલુહાણ હાલતમાં ઊભો છે અને તેના પાછળના ભાગમાં કુહાડી ખૂંપેલી છે. માહિતી મળતાની સાથે જ માણાવદર ગાયત્રી મંદિર ગૌશાળા ગ્રુપની ટીમ એક ક્ષણનો પણ વિલંબ કર્યા વિના તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને ભારે જહેમત બાદ નંદી મહારાજનું સુરક્ષિત રેસ્ક્યુ કર્યું હતું.
માણાવદર ગાયત્રી મંદિર ગૌસેવા ટ્રસ્ટના ઉપપ્રમુખ દેવાભાઈ રાડાએ વિગતો આપતા જણાવ્યું હતું કે, નંદીને ઘટનાસ્થળેથી તાત્કાલિક બચાવીને મિતડી રોડ પર આવેલી ગાયત્રી મંદિર ગૌસેવા ટ્રસ્ટની હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા છે. જ્યાં પશુ ચિકિત્સકોની દેખરેખ હેઠળ નંદીના શરીરમાંથી કુહાડી કાઢીને તેમની સઘન સારવાર શરૂ કરી દેવામાં આવી છે. હાલ નંદી ગૌશાળા ખાતે સારવાર હેઠળ છે.

