Rajkot,તા.૨૧
Rajkot મહાનગરપાલિકાની નવનિયુક્ત શાસક પાંખની બીજી જનરલ બોર્ડ બેઠક શરૂ થાય તે પહેલાં જ મનપા કચેરીમાં ભારે હોબાળો જોવા મળ્યો હતો. કોંગ્રેસના કોર્પોરેટરો આજી રિવરફ્રન્ટ પ્રોજેક્ટમાં થયેલા વિલંબ, જંગલેશ્વર વિસ્તારમાં ડિમોલિશન દરમિયાન થયેલા ખર્ચ સહિતના વિવિધ મુદ્દાઓને લઈને વિરોધ નોંધાવવા બેનરો સાથે સભાખંડમાં પ્રવેશવાનો પ્રયાસ કરતા વિજિલન્સ ટીમે તેમને રોક્યા હતા. જેના કારણે બંને પક્ષ વચ્ચે બોલાચાલી અને ઝપાઝપી સર્જાઈ હતી.
વિરોધ પક્ષે આક્ષેપ કર્યો હતો કે શહેરના અનેક વિકાસકાર્યો વર્ષોથી માત્ર બજેટમાં જ દર્શાવવામાં આવે છે, પરંતુ જમીન પર તેનું અમલીકરણ થતું નથી. ખાસ કરીને આજી રિવરફ્રન્ટ પ્રોજેક્ટ છેલ્લા દસ વર્ષથી ચર્ચામાં હોવા છતાં હજુ સુધી પૂર્ણ ન થતાં કોંગ્રેસના કોર્પોરેટરોએ સત્તાધીશો અને તંત્ર સામે અનેક સવાલો ઉઠાવ્યા હતા. ઇન્ટરસેપ્ટર લાઇન માટે કરાયેલા ખર્ચ અને અટવાયેલા વિકાસકાર્યો અંગે પણ સ્પષ્ટતા માંગવામાં આવી હતી.
બેઠક દરમિયાન જંગલેશ્વર વિસ્તારમાં કરવામાં આવેલી ડિમોલિશન કામગીરી પાછળ થયેલા આશરે રૂ. ૨.૭૨ કરોડના ખર્ચ પર પણ ગંભીર ચર્ચા થઈ હતી. કોર્પોરેટર દીપ્તિબેન સોલંકીએ ટેબલ ભાડા, જમવાના ખર્ચ, પીવાના પાણી, વીડિયોગ્રાફી સહિતના વિવિધ ખર્ચને લઈને પારદર્શિતા પર પ્રશ્નો ઉઠાવ્યા હતા. તેમણે સમગ્ર ખર્ચની તપાસ કરીને જો ગેરરીતિ થઈ હોય તો જવાબદાર અધિકારીઓ પાસેથી વસૂલાત કરવાની માંગ કરી હતી.
જનરલ બોર્ડમાં માત્ર વિપક્ષ જ નહીં પરંતુ ભાજપના કોર્પોરેટરોએ પણ પ્રજાલક્ષી પ્રશ્નો પર તંત્રને આડે હાથ લીધું હતું. શહેરમાં દૂષિત પાણી, પાણીના ઓછા ફોર્સ, ગંદકી, ડ્રેનેજ અને સફાઈ જેવા મુદ્દાઓ પર અનેક કોર્પોરેટરોએ એકસાથે અસંતોષ વ્યક્ત કર્યો હતો. પાણીની સમસ્યાને લઈને અધિકારીઓના જવાબોથી સભ્યો સંતુષ્ટ ન થતાં મેયરે સંબંધિત અધિકારીઓને તાત્કાલિક કાર્યવાહી કરવા સૂચના આપી હતી.
ગેરકાયદે મટન અને અન્ય નોનવેજ વસ્તુઓના ખુલ્લા વેચાણનો મુદ્દો પણ બેઠકમાં ભારે ગાજ્યો હતો. ભાજપના કોર્પોરેટરોએ આરોગ્ય વિભાગની કામગીરી સામે પ્રશ્નો ઉઠાવી નિયમિત ચેકિંગ અને કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી. અધિકારીઓએ કાર્યવાહી થતી હોવાનો દાવો કર્યો હતો, પરંતુ કોર્પોરેટરો તેમના જવાબોથી સંતુષ્ટ દેખાયા નહોતા.
શહેરના કોમર્શિયલ વિસ્તારોમાં પાર્કિંગના દુરુપયોગ અને ટીપી પ્લોટ્સ પરના ગેરકાયદે દબાણનો મુદ્દો પણ ચર્ચામાં રહ્યો હતો. તંત્રે સ્વીકાર્યું હતું કે ટીપીના ૨૬૮ પ્લોટ પર દબાણ છે. કોર્પોરેટરોએ આ મામલે લાંબા સમયથી કાર્યવાહી કેમ થઈ નથી તે અંગે સવાલો ઉઠાવ્યા હતા. ખાનગી સોસાયટીઓમાં ડ્રેનેજ સફાઈ, પ્રિ-મોન્સૂન કામગીરી અને શહેરની સફાઈ વ્યવસ્થા અંગે પણ વિસ્તૃત ચર્ચા થઈ હતી. મેયરે અધિકારીઓને વરસાદ પહેલાં બાકી રહેલી કામગીરી ઝડપથી પૂર્ણ કરવા અને સફાઈ માટે વિશેષ અભિયાન શરૂ કરવાની સૂચના આપી હતી. બેઠકના અંતે મેયર ડો. નેહલ શુક્લે જણાવ્યું હતું કે જનરલ બોર્ડમાં કુલ ૬૧ પ્રશ્નો રજૂ થયા હતા અને દરેક પ્રશ્ન પર વિગતવાર ચર્ચા થઈ રહી છે. તેમણે સ્પષ્ટ કહ્યું કે ચૂંટણી બાદ તમામ કોર્પોરેટરોનો મુખ્ય હેતુ પ્રજાના પ્રશ્નોનો ઉકેલ લાવવાનો છે અને જ્યાં અધિકારીઓના જવાબ સંતોષકારક નહીં હોય ત્યાં તંત્ર સામે કડક વલણ અપનાવવામાં આવશે. તેમણે તમામ પ્રાથમિક સેવાઓ જેમ કે પાણી, સફાઈ, રસ્તા અને સ્ટ્રીટ લાઇટ અંગે ઝડપી કામગીરી માટે અધિકારીઓને જવાબદાર બનાવવાની ખાતરી પણ આપી હતી.

