જગતગુરુ શંકરાચાર્ય પૂ. સ્વામી શ્રી સદાનંદ સરસ્વતીજી મહારાજે આશીર્વાદ આપ્યા
(મિલાપ રૂપારેલ દ્વારા)Amreli તા.૨૨
અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના સુપ્રસિદ્ધ ભુરખિયા હનુમાનજી મંદિરે નવનિર્માણની દિશામાં મહત્વપૂર્ણ પગલું ભરાયું છે. જગતગુરુ શંકરાચાર્ય પૂજ્ય સ્વામી શ્રી સદાનંદ સરસ્વતીજી મહારાજના પવિત્ર સાનિધ્યમાં મંદિરના નૂતન નિર્માણ માટે આશીર્વાદ અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ અવસરે મંદિર પરિસરમાં ભગવાન શ્રીરામ અને ભગવાન મહાદેવના ભવ્ય મંદિરોના નિર્માણની પણ જાહેરાત કરવામાં આવી હતી.
અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના ભુરખિયા ગામે આવેલ સુપ્રસિદ્ધ શ્રી ભુરખિયા હનુમાનજી મંદિર ખાતે જગતગુરુ શંકરાચાર્ય પૂજ્ય સ્વામી શ્રી સદાનંદ સરસ્વતીજી મહારાજ આજે પધારતા સમગ્ર વિસ્તારમાં ભક્તિમય વાતાવરણ સર્જાયું હતું. તેમના આગમનને લઈને ગ્રામજનો અને ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.
મંદિર પરિસરમાં દીકરીઓ દ્વારા પુષ્પવર્ષા કરી જગતગુરુનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ જગતગુરુએ ભુરખિયા હનુમાનજીના દર્શન-પૂજન કરી વિશેષ આરાધના અર્પણ કરી હતી. દર્શન બાદ યોજાયેલી ધર્મસભામાં મોટી સંખ્યામાં ભક્તોએ ઉપસ્થિત રહી ધર્મલાભ મેળવ્યો હતો.
આ પ્રસંગે ભુરખિયા હનુમાનજી મંદિરના નવનિર્માણ માટે જગતગુરુએ આશીર્વાદ આપ્યા હતા તેમજ મંદિરના સર્વાંગી વિકાસ અંગે દિવ્ય માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. સાથે જ મંદિર પરિસરમાં ભગવાન શ્રીરામ અને ભગવાન મહાદેવના ભવ્ય મંદિરોનું પણ નિર્માણ કરવામાં આવશે તેવી માહિતી આપવામાં આવી હતી.
જગતગુરુના આગમન નિમિત્તે મંદિર પ્રશાસન, ટ્રસ્ટી મંડળ તેમજ ભુરખિયા ગામના ગ્રામજનોએ ભવ્ય સામૈયાનું આયોજન કર્યું હતું. સમગ્ર કાર્યક્રમ દરમિયાન ભક્તિ, શ્રદ્ધા અને આધ્યાત્મિકતાનો અનોખો માહોલ સર્જાયો હતો. નવા મંદિર નિર્માણથી ભુરખિયા હનુમાનજી ધામનું ધાર્મિક અને આધ્યાત્મિક મહત્વ વધુ ઉજાગર થશે તેવી ભાવના ભક્તોમાં વ્યક્ત થઈ હતી.

