Mumbai,તા.29
નિર્માતા અમિત જાનીની ફિલ્મ ‘કાલા હિરણ: ધ બેટલ ફોર લિગસી’નું વિવાદાસ્પદ ટીઝર ચોવીસ જ કલાકમાં હટાવી દેવાનો દિલ્હી હાઇકોર્ટે આદેશ આપ્યો હતો. જેની સામે ફોજદારી કેસ હજી પેન્ડિંગ હોય તેવી વ્યક્તિની પ્રતિષ્ઠાને હાનિ કરે તેવી સામગ્રી ઓનલાઇન રહેવા દઇ શકાય નહીં તેમ જણાવી જસ્ટિસ જ્યોતિ સિંહે આ ટીઝરને ચોવીસ કલાકમાં સોશ્યલ મિડિયા પરથી હટાવવાનો આદેશ આપ્યો હતો. અદાલતે જણાવ્યું હતું કે જો નિર્માતા આ આદેશનું પાલન નહીં કરે તો સોશ્યલ મિડિયા પ્લેટફોર્મ્સને આ લીન્કસ હટાવવા જણાવાશે. કેમ કે આબરૃ એકવાર જાય એટલે તે પાછી આવતી નથી.
સલમાનખાને આ ફિલ્મ દ્વારા તેના પર્સનાલિટી રાઇટ્સનો ભંગ થતો હોવાની તથા ફિલ્મમાં તેની બદનામી કરે તેવી સામગ્રી હોવાની રજૂઆત કરી હતી. આ ટીઝરમાં સલમાનખાન અંધારી આલમ સાથે કડી ધરાવતો હોવાનું જણાવાયું હતું. આને કારણે ઉભાં થનારાં પૂર્વગ્રહને કારણે ૧૯૯૮ના કાળિયાર શિકાર કેસમાં તેની સામે ન્યાયી ખટલો ચલાવવાનો તેનો અધિકાર છીનવાઇ જાય તેમ છે.
તેમ સલમાનના વકીલોની ટીમે જણાવ્યું હતું.
સલમાન ખાને મોકલેલી કાનુની નોટિસને નિર્માતા અમિત જાનીએ એક ઇન્ટરવ્યુ દરમ્યાન જાહેરમાં ફાડી નાંખતા મામલો બીચક્યો હતો. અદાલત સમક્ષ આ વર્તનનો વિવાદ પણ પહોંચતા અદાલતે ઝડપથી પગલાં લઇ ટીઝરને દૂર કરવાનો આદેશ આપ્યો હતો.

